સાઠયમું પ્રકરણ

ચોપાઇ-
એમ યજ્ઞા કરી યદુનાથ, ચાલ્યા શ્યામળો સખાને સાથ । રહ્યા જેતલપુરમાં જઇ, સંઘ સરવે સંગાથે લઇ ।।૧।।
ત્યાંથી સંઘને શીખજ કરી, પોતે ચાલ્યા પશ્ચિમ દેશે હરિ । સારો પહેરી સુંદર સુરવાળ, ઝગે જરકશી જામો વિશાળ ।।૨।।
માથે બાંધી છે પાઘ સોનેરી, કમર કશી કેસર રેંટા કેરી । બાજુ કાજુ કુંડળ રૂપાળાં, હાથે હેમકડાં બે વળાળાં ।।૩।।
હૈયે હાર અપાર શોભાળા, ઉર ઉતરી મોતીની માળા । કોટે કનકની કંઠી શોભે, શિશે શિરપેચ જોઇ મન લોભે ।।૪।।
ચડયા ઘણામૂલે હરિ ઘોડે, બીજા સખા અસવાર જોડે । ચાલ્યા વાટમાં એવાના એવા, સર્વે જનને દર્શન દેવા ।।૫।।
જેજે વાટમાં આવિયાં ગામ, તેણે નિરખ્યા સુંદર શ્યામ । દેતા દર્શન દીનદયાળ, આવ્યા પ્રભુજી દેશ પંચાળ ।।૬।।
સુંદર ગામ સારંગપુર નામ, તિયાં પધાર્યા સુંદર શ્યામ । રૂડા ભક્ત જીવો ને રાઠોડ, આવ્યા હરિ કરી તિયાં ધ્રોડ ।।૭।।
રહી રાત્ય એક તિયાં રાજ, આવ્યા કારિયાણી મહારાજ । તિયાં ભક્ત વસે એક માંચો, નહિ તે કોઇ નિયમમાં કાચો ।।૮।।
નિરલોભી ને અતિ નિષ્કામી, તેને ઘેર પધારીયા સ્વામી । તિયાં રહ્યા હરિ એક દિન, પછી આવ્યા ગઢડે જીવન ।।૯।।
ભક્ત સભાગી એભલ જીયાં, રહ્યા કાંઇક કૃપાળુ તિયાં । પછી ત્યાંથી સધાવીયા શ્યામ, આવ્યા નાથ કરિયાણે ગામ ।।૧૦।।
તિયાં રહ્યા રાત એક હરિ, આવ્યા રાયપર કૃપા કરી । સખા સર્વે છે શ્યામસાથ, આવ્યા કોટડે બંધીયે નાથ ।।૧૧।।
ગયા ગોંડળ ને જેતપર, આવ્યા ધોરાજી શ્યામસુંદર । જઇ જમનાવડે જગદીશ, ત્યાંથી પાછો કર્યો પરવેશ ।।૧૨।।
આવ્યા દુધિવદર કંડોરડે, ત્યાંથી પધારીયા કાલાવડે । ભક્ત જાદવજીને ભુવન, રહ્યા રાત્ય ત્યાં પ્રાણજીવન ।।૧૩।।
ત્યાંથી સખાને શીખજ દઇ, પોતે ચાલ્યા સેવક બે લઇ । ત્યાંથી મોડે ગયા કરી મહેર, ભક્ત રણમલજીને ઘેર ।।૧૪।।
પછી આવ્યા અલૈયે જીવન, ભક્ત નારાયણને ભવન । ત્યાંથી ગયા છે ભાદર ગામ, ભક્ત ડોસો જ્યાં રતનોરામ ।।૧૫।।
રહ્યા રાત્ય કરી હરિ મહેર, વસતા વશરામને ઘેર । પછી ત્યાંથી કર્યો પરવેશ, ગયા જોડીયેથી કચ્છદેશ ।।૧૬।।
આવી અંજારમાં રાત્ય રહ્યા, ત્યાંથી વાલો ધમડકે ગયા । ભક્ત રામસિંઘ રાયધણે, કરી સેવા ભરી ભાવે ઘણે ।।૧૭।।
તિયાં રહ્યા દન દોયચાર, પછી ભુજ પધાર્યા મોરાર । દઇ જનને દર્શનદાન, તિયાં રહ્યા પોતે ભગવાન ।।૧૮।।
કર્યો હુતાસનીનો સમૈયો, આપ્યો આનંદ ન જાય કહીયો । અતિ ઉડાડે રંગ ગુલાલ, કર્યો અલબેલે અલૌકિક ખ્યાલ ।।૧૯।।
લીધો લાવો નાથ સાથ જને, ફાગણશુદી પુન્યમને દને । તેદિ ભુજમાં ઉત્સવ કર્યો, સર્વે જને મને મોદ ભર્યો ।।૨૦।।
કરી અલબેલે લીલાલેર, ગંગારામ હીરજીને ઘેર । દઇ સુંદરને સુખ શ્યામ, ત્યાંથી ગયા માનકુવે ગામ ।।૨૧।।
તિયાં ભક્ત અદોભાઇ નામ, વળી તેજો કેશવ ને શ્યામ । તેને દીધાં છે દર્શનદાન, ત્યાંથી તેરે ગયા ભગવાન ।।૨૨।।
તિયાં તેડાવિયા સર્વે સંત, દિધાં દર્શન સુખ અત્યંત । ત્યાંથી આવીયા કાળેતળાવ, જોઇ ભક્ત ભીમજીનો ભાવ ।।૨૩।।
રહ્યા દિન દોચારેક ત્યાંઇ, પછી ફરી આવ્યા તેરામાંઇ । ભક્ત નાગજી સંઘજી સુતાર, તિયાં આવ્યા મુનિ ને મોરાર ।।૨૪।।
કરી રસોઇ જમાડયા સંત, જમ્યા જન ભેળા ભગવંત । પછી બોલીયા સુંદરશ્યામ, ભરિલીયોને જળનાં ઠામ ।।૨૫।।
એમ કહીને સંત ચલાવ્યા, વાલો પોતે વળાવવા આવ્યા । પછી મળ્યા સહુને મહારાજ, તમે રાજી રહેજ્યો મુનિરાજ ।।૨૬।।
એમ કહીને શીખજ દિધી, પોતે વાટ માંડવીની લીધી । તિયાં ભક્ત મેઘો વશરામ, ટોપણ દેવશી સુંદર નામ ।।૨૭।।
તેને દઇ દરશન નાથ, સર્વે જનને કર્યાં સનાથ । ત્યાંથી નાથ બેઠા છે નાવડે, આવ્યા ભાદરે અલૈયે મોડે ।।૨૮।।
કરી કંડોરડાની ચોરાશી, આવ્યા ધોરાજીએ અવિનાશી । રહે ભાડેર પાતળભાઇ, રહ્યા એક દિન પ્રભુ ત્યાંઇ ।।૨૯।।
મેઘપુર આવ્યા કરી મહેર, સોની નારાયણ ભક્તને ઘેર । ત્યાંથી પ્રભુ આવ્યા પિપલાણે, રાખ્યા હરિને જન કલ્યાણે ।।૩૦।।
પછી આવ્યા આખે અલબેલો, દવે નારાયણ ઘેર છબીલો । ત્યાંથી આવ્યા વાલો અગત્રાઇ, જીયાં વસે છે પર્વતભાઇ ।।૩૧।।
તિયાં રહ્યા હરિ બહુદિન, તેડાવિયા તિયાં હરિજન । કરવા ઉત્સવ અષ્ટમી કેરો, હૈયામાંહિ છે હર્ષ ઘણેરો ।।૩૨।।
તિયાં મોટો મંડપ કરાવ્યો, માંહિ મેડો કર્યો મનભાવ્યો । તિયાં બેઠા વાલો વનમાળી, સુંદર મૂરતિ રૂડી રૂપાળી ।।૩૩।।
જોઇ જનને સમાધિ થાય, કરે લીળા નાવા નિત્ય જાય । પછી દ્વિજ ધનહીન જોઇ, તેના સુતને આપી જનોઇ ।।૩૪।।
ફર્યા ફુલેકે ગામમાં નાથ, અંસે અસિ શ્રીફળ લઇ હાથ । પછી આવ્યો અષ્ટમીનો દન, બહુ ગુલાલ લાવિયા જન ।।૩૫।।
ભરે મુઠી હેતે હરિ હાથે, નાખે નાથ નિજજન માથે । થયા રંગે રાતા સહુ જન, પાડે તાળી કરે કીરતન ।।૩૬।।
એમ સારો ઉત્સવ કર્યો શ્યામે, અલબેલે અગત્રાઇ ગામે । આપ્યો આનંદ જનને જીવને, શ્રાવણવદી અષ્ટમીને દને ।।૩૭।।
તેદિ લીળા કરી અગત્રાયે, કરાવી આંબે પર્વતભાયે । પછી પધારીયા ગઢજુને, સાથે લીધો છે સંઘ સહુને ।।૩૮।।
સંઘ દેખી દુષ્ટ દાજીયા, પછી રાજા પાસે રાવે ગીયા । લેશે સાહેબ શહેર તમારૂં, એનું માણસ ઉતારો બારૂં ।।૩૯।।
તૈયે રાજા કહે સુણો તમે, એનું દીધું કરૂં રાજ્ય અમે । એહ લેશે તો સુખેથી લીયો, એને ગામમાં આવવા દિયો ।।૪૦।।
પછી શહેરમાં શ્યામ પધાર્યા, નિજજનને મોદ વધાર્યા । પોતે દિવસ એક ત્યાં રહ્યા, પછી નાવા દામોદર ગયા ।।૪૧।।
નાઇ નિસર્યા મોહનલાલ, ચર્ચ્યું ચંદન વિપરે ભાલ । તેને દીધી છે દક્ષિણા બોળી, આપી મહોર નાથે અણતોળી ।।૪૨।।
પછી આવિયા શહેરમાં શ્યામ, ત્યાં વાલે કર્યો વિશ્રામ । ત્યાંથી ચાલીયા શ્યામ સુંદર, આવ્યા નરસિંહ મેતાને મંદિર ।।૪૩।।
તિયાં બેસીયા ઘડી બેચાર, પછી આવિયા છે પુર બહાર । સર્વે સંઘ સંગે લઇ શ્યામ, પછી આવ્યા ફણેણી ગામ ।।૪૪।।
તિયાં સર્વેને શીખજ દિધી, એવી લીળા અલબેલે કીધી । સર્વે જનને સુખીયા કરી, પોતે પધાર્યા પંચાળે હરિ ।।૪૫।।
બહુબહુ લીળા કરે લાલ, જોઇ જનને થાય નિહાલ । જે કોઇ યોગીના ધ્યાનમાં નાવે, તે અલબેલો લાડ લડાવે ।।૪૬।।
કરે લીળા અતિશે અપાર, કહેતાં કોણ પામે તેનો પાર । જેમ સભર ભર્યો મેરાણ, પિવે પંખી તે ચાંચ પ્રમાણ ।।૪૭।।
તેમ અતિ અગાધ મહારાજ, કોણ કળે તોલે કવિરાજ । પણ જે પિયે તે સુખી થાય, નિશ્ચે નિષ્કુળાનંદ એમ ગાય ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાઠયમું પ્રકરણમ્ ।।૬૦।।