ઓગણસાઠમું પ્રકરણ

રાગ સામેરી -
વળતા તે વિપ્ર બોલીયા, મહારાજ શું કહો છો તમે । જેમ આપો આગન્યા, તેમ સહુ કરીએ અમે ।।૧।।
મહારાજ કહે એક તમે, એક અમારો તમસાથ । તમે લેજ્યો લાડવા, એ લેશે જેષ્ટિકા હાથ ।।૨।।
પિરશે પોતાનાં પારકાં, જો કરશો જરાય । તો તમને એ તાડશે, તેની રાવ રોષ ન કાંય ।।૩।।
પછી ભર્યાં મોદકનાં ગાડલાં, તેણે જુતા જોધ્ધ જુવાણ । પાક ફરે પંગત્યમાં, એમ જમાડે જીવનપ્રાણ ।।૪।।
તોય બ્રાહ્મણ ભુંડાઇ ન તજે, લઇ બેઠા એક એક લાકડી । તૈયે મહારાજ કહે કાઠિયો, તમે આવો સહુ ઘોડે ચડી ।।૫।।
લેવરાવી સૌને લાઠિયો, કાઠી આવિયા ઘોડે ચડી । વિના ગોળીએ વછોડીયો, ત્યાં બંધુકો બહુ પડી ।।૬।।
ભાંગી ભડાકે કોઠીયો, સુંદર દાળની સોળ । જાણે દુષ્ટ વિઘન પાડશું, સામું પડયા પોતાને રોળ ।।૭।।
ખોટે ડારે ડરાવિયા, કહે ઉઠશો જમતાં કોય । જરૂર તેને મારશું, તમે ઉઠજ્યો એવું જોય ।।૮।।
જુક્તિ કરીને જમાડીયા, નવ પડવા દીધું વિઘન । એમ રૂડી રીતશું, મહારાજે કરાવ્યો જગન ।।૯।।
પછી દિવસ વળતે, તેડયા પુરાણી પંડિત । કરી ચરચા ચોકમાં, ત્યાં થઇ પોતાની જીત ।।૧૦।।
લાખો લોક ભેળા થયા, નિરખવા નયણે નાથ । તેમાં નર તસકરા, આવ્યાતા નાખવા હાથ ।।૧૧।।
જોયો સર્વે સંઘને, બહુ ખબરદાર દીઠા ખરા । પછી અશ્વ ઉપરે, આવી તાકીયા તસકરા ।।૧૨।।
ત્રણ દિવસના ભુખ્યા તરષા, નયણે નિદ્રા નવ કરી । આવીને જુવે અશ્વને, ત્યાં ઘોડે ઘોડે દીઠા હરિ ।।૧૩।।
પછી પ્રભુને પાય લાગ્યા, કહે દયા કરજ્યો દયાળ । જ્યાંથી ગુહ્ના છુટીયે, ત્યાં કર્યા ગુહ્ના કૃપાળ ।।૧૪।।
પછી સત્સંગી થઇ, વળી ગયા પોતાને ઘેર । એમ પોતે અનેક રીત્યે, કરી તે લીલાલેર ।।૧૫।।
દાસનાં દુઃખ કાપવા, આપવા દર્શન દાન । હરેફરે હરિ સંઘમાં, વળી બેસે મેડે ભગવાન ।।૧૬।।
મેડા ઉપર મહાપ્રભુ, પળ મેલિને પોઢયા ઘડી । અજાણે એક જન આવ્યો, મનફર મેડે ચડી ।।૧૭।।
જબકી જીવન જાગિયા, વળી અચાનક ઉઠયા હરિ । કોણ હતું અમપાસળે, એમ કહીને રીશ કરી ।।૧૮।।
પહેર્યાં હતાં બહુપેરનાં, વળી ઘરેણાં ઘણાં ઘણાં । અંગોઅંગ ઓપતાં, સુંદર તે સુવર્ણતણાં ।।૧૯।।
વેઢ વિંટી ને કનક કડાં, પોંચી અંગોઠી ઓપતી । બાજુ કાજુ બેરખા વળી, શોભે કાને કુંડળ અતિ ।।૨૦।।
કંઠે હાર તે હેમના, હુલર હીરા સાંકળી । અંગોઅંગ આભૂષણ પહેરી, પોઢયાતા પોતે વળી ।।૨૧।।
એવા સમામાં ઉઠાડિયા, વળી જાલ્મ નરે જગદીશ । તે સારૂં સહુ ઉપરે, મહારાજે કરી રીશ ।।૨૨।।
પછી આભૂષણ ઉતારીયાં, અને ફેંકીયાં ફરતાં વળી । અંબર એક અંગે રાખ્યું, બીજાં મેલિયાં સર્વે મળી ।।૨૩।।
કેણે ન જવાય પાસળે, વળી બીક લાગે સહુને । જોઇ જીવન રૂઠડા, વળી દુઃખ થયું બહુને ।।૨૪।।
પછી ભાઇ રામદાસજી, ધીરેધીરે પાસે ગયા । મહારાજ વસ્ત્ર ઓઢિયે, અમ ઉપર કરી દયા ।।૨૫।।
પછી વસ્ત્ર પહેરીયાં, હસી પ્રભુજી બોલ્યા વળી । હતી ઉદાસી અતિ ઘણી, પણ હવે તો સર્વે ટળી ।।૨૬।।
પછી વિપ્ર તેડાવિયા, તમે કરો શીઘ્ર રસોઇ । લાખો માણસ જમશે, વળી કેમ રહ્યા છો સોઇ ।।૨૭।।
બ્રાહ્મણ ભેળાણા ઉંઘમાં, સુતા તે સદને સંતાય । તે એકોએકને ઉઠાડિયા, પ્રભુ પોતે ઝાલી બાંય ।।૨૮।।
પછી મનમાન્યા મોદક કરી, જમે વાડવ યૂથનાં યૂથ । પાર ન આવે પંગત્યનો, વળી મળ્યા વિપ્ર વરૂથ ।।૨૯।।
આપે સીધાં અતિ ઘણાં, માગે સાઠય ત્યાં શત પાંચ । કોઇ રીતે સરાજામની, વળી આવે નહિ લેશ આંચ ।।૩૦।।
જેજેકાર તે થઇ રહ્યો, આપે અન્ન તે અતિઘણું । ભેટય બાંધી બ્રાહ્મણે, જે જમીયે તે આપણું ।।૩૧।।
પછી થઇ પૂર્ણાહુતિ, યજ્ઞા નિર્વિઘન થયો । બંકાશિર ડંકા દઇ, પ્રૌઢ પ્રતાપ જણાવિયો ।।૩૨।।
પછી વિદ્યા જોઇ વિપ્રની, દીધાં દાન દક્ષિણા ઘણી । રાજી કરી વળી વાડવા, વળાવિયા ભુવનભણી ।।૩૩।।
વળી ખરચતાં ખૂટયા નહિ, વધ્યા લાડવા લાખો સહિ । ગોળ ઘી ને દાળ રસાળ, વળી પિષ્ટનો પાર નહિ ।।૩૪।।
પછી પુછયું નાથને, આ મોદકનું કેમ કરીએ । આપો ઘરોઘર ગામમાં, એમ હુકમ કીધો હરિએ ।।૩૫।।
પછી માંડયા આપવા, ભરીભરી મોદક ટોપલા । આલતાં ખુટયા નહિ, પોતા લાડવા અતિભલા ।।૩૬।।
વહેંચતાં વધી પડયા, તે નાખ્યા જળમાં જંતુને । મહારાજે આપી આગન્યા, વળી સાજામાંદા સંતને ।।૩૭।।
પછી સંઘ સર્વેને શીખ આપી, જાઓ સહુ સહુને ઘેર । પંચ વરતને પાળજ્યો, પ્રભુ ભજજ્યો રૂડિ પેર ।।૩૮।।
પછી પોતે પધારીયા, કરી તે જયજયકાર । કરી લીળા ડભાણમાં, અલબેલે અપરમપાર ।।૩૯।।
પોત્યે યજ્ઞા પૂરો કર્યો, પોષસુદી પુન્યમતિથિ । તેદિ યજ્ઞા પૂરો થયો, કર્યો યથાયોગ્ય કાંઇક કથી ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ડભાણમાં યજ્ઞાની સમાપ્તિ કરી એ નામે ઓગણસાઠમું પ્રકરણમ્ ।।૫૯।।