પૂર્વછાયો -
બહુ ભક્ત બુરાનપુરમાં, ભાવે કરી ભજે ભગવંત । સહાય કરે જેની શ્રીહરિ, પળ પળમાંહિ અનંત ।।૧।।
તેણે ખુમારી તનમાં, મનમાં તે મોદ ન માય । નરનારી નિઃશંક થઇ, ગુણ ગોવિંદના ગાય ।।૨।।
અતિ કેફ છે અંગમાં, સતસંગનું સુખ જોઇ । મસ્ત રહે સહુ મનમાં, કંગાલ ન માને કોઇ ।।૩।।
પ્રકટ પ્રભુ પ્રકટ પ્રાપતિ, પ્રકટ માને કલ્યાણ । પ્રકટ પરચા પળેપળે, પૂરે છે શ્યામ સુજાણ ।।૪।।
ચોપાઇ-
તેણે કરી સહુ નરનારી, ભજે સ્વામી શ્રીજીને સંભારી । નિત્યે સતસંગમાંહિ બેસે, બીજી વાત અંતરે ન પેસે ।।૫।।
જ્યારે થાય સતસંગી ભેળા, ત્યારે ગાય મહારાજની લીળા । સર્વે ઉત્સવ સમૈયા સાર, તેનું ધ્યાન કરે નરનાર ।।૬।।
એહ વાત ચિંતવતાં મને, જાગતાં સુતાં દેખે સ્વપને । પછી કરે માંહોમાંહિ વાત, તેણે રહે સહુ રળિયાત ।।૭।।
એમ કરતાં વીતે નિશદિન, થાય સમાધિ સ્વપને દર્શન । પછી એમ બોલ્યા હરિદાસ, ચાલો પ્રકટ પ્રભુને પાસ ।।૮।।
કરી આવિયે દર્શન સહુ, નિર્ખિ આનંદ પામશું બહુ । એમ કરી પરસ્પર વાત, ચાલ્યો સંઘ સજી પરભાત ।।૯।।
બાઇ ભાઇ બુઢાં બાળ સંગે, ચાલ્યાં સર્વે અતિશે ઉમંગે । બાંધી ખરચી ખાવાને કાજ, લીધી પૂજા પૂજવા મહારાજ ।।૧૦।।
ધીરે ધીરે કરતાં મુકામ, ચાલ્યાં સમરતાં હરિનામ । આવ્યાં ઝાડીમાંહિ જ્યારે જન, ત્યારે ચોરે કર્યું છે વિઘન ।।૧૧।।
ઘોડાં વેલ્ય ને ઘરેણાં જેહ, વસ્ત્ર વાસણ લીધાંછે તેહ । ખરચી ખાવાની રહેવા ન દિધી, સર્વે વસ્તુ તે લુંટીજ લીધી ।।૧૨।।
વળી બાંધી પછવાડે બે હાથ, લઇ ચાલ્યા ચોર પોતા સાથ । ગયા સઘન ઝાડીમાં જ્યારે, બોલ્યા હરિજન તેહ વારે ।।૧૩।।
કહે માંહોમાંહિ એમ મળી, રખે દુઃખ માનો કોઇ વળી । હશે ભક્તિ આપણીમાં ભૂલ્ય, ત્યારે આપણાં થયાં આ શૂલ ।।૧૪।।
માટે સહુ થઇ સાવચેત, ભજો ભાવે હરિ કરી હેત । હમણે આવશે ઘોડલે ચડી, વેળ્ય વાલ્યમ નહિ કરે વળી ।।૧૫।।
આવી છોડાવશે અવિનાશ, જાણે બંધિવાન નિજદાસ । એમ કરતાં માંહોમાંહિ વાત, પધાર્યા પ્રભુ પોત્યે સાક્ષાત ।।૧૬।।
બહુ સખા હતા પોતાસંગે, આપે ચડયાતા તાતે તુરંગે । આવી ચોરને મારવા લાગ્યા, ચોર મૂકી ઝટોઝટ ભાગ્યા ।।૧૭।।
જાય કિયાં લીધા સર્વે ઝાલી, કર્યા મોર ઘુમરિયે ઘાલી । સર્વે વસ્તુ તે સંભારી લીધી, એ પાસે એકે રહેવા ન દીધી ।।૧૮।।
તોય ન મેલે ચોરને નાથ, બાંધી લઇ ચાલ્યા પોતાને સાથ । ત્યારે ચોર બોલ્યા એમ મુખે, શું કરૂં મરૂંછું સહુ ભૂખે ।।૧૯।।
માટે ન કરવાનું આ કીધું, તેનું ફળ તરત અમે લીધું । હવે જેમ કહો તેમ કરીયે, એવું સુણી દયા કરી હરિયે ।।૨૦।।
જાઓ મુકી દિયે છીએ આજ, હવે કરશો માં આવું કાજ । એમ ચોરથી મુકાવી જન, સંઘ સંગાથે ચાલ્યા જીવન ।।૨૧।।
જીયાંલગી ઉતરીયા ઝાડી, તિયાંલગી રહ્યા સંગે દાડી । જ્યારે આવ્યાં છે વસ્તીનાં ગામ, ત્યારે અદૃશ્ય થયાછે શ્યામ ।।૨૨।।
પછી સતસંગી સર્વે તે મળી, કરે માંહોમાંહિ વાત વળી । જોજ્યો શ્રીહરિની આ સામર્થી, છે જો મોટી છોટી કાંઇ નથી ।।૨૩।।
આપ્યો પરચો પ્રકટ આવી, ગયા ચોર કરથી મુકાવી । આવી વાત કહો કિયાં હોય, સતસંગ વિના બીજે નોય ।।૨૪।।
પછી ધીરેધીરે સહુ ચાલી, આવ્યાં મહારાજ પાસે તે હાલી । કરી દર્શન પ્રસન્ન થયાં, પછી વાટનાં વિઘન કહ્યાં ।।૨૫।।
ત્યારે હસીને બોલ્યા મહારાજ, અમે આવી કર્યું એહ કાજ । ત્યારે જન કહે વનમાંય, તમ વિના કરે કોણ સહાય ।।૨૬।।
વળી નિમાડય દેશની વાત, સુણી સહુ થાશો રળિયાત । ગામ સરસોદમાં જન જેહ, કણબી રામજી નામે છે તેહ ।।૨૭।।
તેના શરીરમાં નહિ સુખ, હતું દેહમાંહિ અતિ દુઃખ । તેની પીડામાં બહુ પિડાય, કરે સુખ થાવાનો ઉપાય ।।૨૮।।
દેવ પિત્ર ભૈરવ ભવાની, બહુ માનતા એહને માની । વડી જમાડયા સાધુ સન્યાસી, જોગી જંગમ વળી વનવાસી ।।૨૯।।
તેણે રોગ ટળ્યો નહિ રંચે, સામુ થયો છે દુઃખનો સંચે । પછી સહજાનંદી સંત જે છે, આવ્યા તેજ ઘેરે અણઇચ્છે ।।૩૦।।
કર્યાં દર્શન રામ પટેલે, ગ્રહ્યાં ચરણ તે નવ મેલે । કહે હું છઉં શરણ તમારી, તમે ખબર રાખજ્યો મારી ।।૩૧।।
ત્યારે સંત કહે બહુ સારૂં, તમે ધારો જે નિયમ અમારૂં । પછી હાથમાંહિ જળ લઇ, મેલ્યું સંતને ચરણે તેઇ ।।૩૨।।
સંત કહે નારાયણ નામ, ભજ્ય તજ્ય તું સરવે કામ । તન તારું રહે કે ન રહે, થયું કલ્યાણ તું માની લહે ।।૩૩।।
જ્યારે આવશે દેહનો કાળ, ત્યારે લેવા આવશે દયાળ । કહી સંત એટલું વચન, ચાલ્યા એને બતાવી ભજન ।।૩૪।।
ઔપછી રામે માંડયું એ રટણ, કરે સ્વામીશ્રીજીનું સ્મરણ । પછી થયા થોડા ઘણા દન, આવી અવધ્યે તજીયું તન ।।૩૫।।
ત્યારે તેડવા આવ્યા મહારાજ, ભેળા સંત સખાનો સમાજ । આવ્યા ગામને ગોંદરે નાથ, નિર્ખિ બહુ જન થયાં સનાથ ।।૩૬।।
કહે કોણ તમે કિયાં જાશો, આ ગામમાંહિ કેમ સમાશો । કહે અમે સ્વામિનારાયણ, આવ્યા ભક્ત રામજી કારણ ।।૩૭।।
હમણાં કરશું વાડીમાં નિવાસ, પછી જાશું રામજીને પાસ । એમ કહી વાડીમાં ઉતર્યા, બહુ જીવ કૃતારથ કર્યા ।।૩૮।।
દિધાં બહુ જનને દર્શન, પ્રભુ પોત્યે થઇને પ્રસન્ન । પછી આવ્યા રામજીને ઘેર, કરી મોટી મહારાજે મહેર ।।૩૯।।
ઉઠી રામજી લાગ્યો છે પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય । દિઠા સંત પ્રભુજીને સાથે, જેણે નિયમ ધરાવ્યાંતાં હાથે ।।૪૦।।
પછી નાથ કહે સુણો જન, ચાલો અમ સાથે તજી તન । એવી સાંભળી વાલાની વાણ, તજ્યા તર્ત રામજીએ પ્રાણ ।।૪૧।।
ઘરપરના માણસ જોતે, તન તજી ચાલ્યો તર્ત પોત્યે । સહુ જોઇને આશ્ચર્ય પામ્યાં, ધન્યધન્ય કહી શિશ નામ્યાં ।।૪૨।।
પછી ગામ સઘળે તે જાણ્યું, અતિમોટું આશ્ચર્ય પરમાણ્યું । કહે આપણે ન જાણ્યું કાંઇ, જાણ્યું પ્રકટ આવ્યા છે આંઇ ।।૪૩।।
રહેશે દન આંહિ દોય ચાર, કરશું દર્શન સહુ નરનાર । જો જાણીયે અલૌકિક અંગ, ચરણ ગ્રહી ન મુકીયે સંગ ।।૪૪।।
પણ એ પળ ગઇ તે ગઇ, વારુ ભાગ્ય મોટે ભેટય થઈ । એહ વાત અતિશય મોટી, હશે પાપી તે માનશે ખોટી ।।૪૫।।
એમ બોલે ગામલોક વાણ, થયો પરચો પ્રકટ પ્રમાણ । એવી રીત્યે અપરમપાર, થાય પરચા તે લાખ હજાર ।।૪૬।।
ઔકહેતાં લખતાં ન આવે છેક, લખીએ એકતો રહે અનેક । દેશદેશ ગામગામ પ્રત્યે, આપે નાથજી પરચા તે નિત્યે ।।૪૭।।
જણજણ પ્રત્યે જુજવા, થાય પરચા નિત્ય પ્રત્યે નવા । ઔઆજ વાવરે છે જે સામર્થી, તે તો લખતાં લખાતી નથી ।।૪૮।।
આગે ધર્યા અવતાર ઘણા, જાણો સર્વે આ શ્રીહરિ તણા । પણ આજ વાળ્યો આડો અંક, પ્રભુ પ્રકટયા પૂર્ણ મૃગાંક ।।૪૯।।
જેજે આ વારે કરીયાં કાજ, તેતે આગે ન કર્યાં મહારાજ । સર્વે શાસ્ત્રમાં વાત સાંભળી, આજના જેવી ક્યાંઇ ન મળી ।।૫૦।।
આજની તો રીત્ય છે અલેખે, પણ હોય ધીમંત તે દેખે । આજ અઢળ ઢળ્યા અપાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ત્રેપનમું પ્રકરણમ્ ।।૧૫૩।।