પૂર્વછાયો-
વળી પરચા વર્ણવી, કહું કાનમ દેશના કાંય । ધન્યધન્ય એહ ભક્તને, જેની શ્રીહરિએ કરી સાય ।।૧।।
એક ઉતરાદ ગામમાં, કહીએ કણબી સાકર બાઇ । હરિજન અતિહેત હૈયે, પ્રીત્ય ઘણી પ્રભુમાંઇ ।।૨।।
તેના દેહનો આવિયો, વળી અવધિ પોત્યે અંત । ચ્યાર દિવસ મોરથી, આવ્યા પોત્યે ભગવંત ।।૩।।
ઔઆવી કહ્યું એહ બાઇને, તું કર હરિનું ભજન । આજથકી દન ચારમાં, છુટશે તારું તન ।।૪।।
ચોપાઇ-
પછી માની વાલાનું વચન, બાઇ બેઠી કરવા ભજન । સમરે સ્વામીને શ્વાસઉશ્વાસ, થઇ જક્તસુખથી ઉદાસ ।।૫।।
એમ કરતાં વીત્યા દન ચાર, આવ્યા તેડવા પ્રાણ આધાર । એની ભત્રિજી નામ કેશર, આવ્યા ઘનશ્યામ તેને ઘેર ।।૬।।
આવ્યા પોત્યે પ્રકટપ્રમાણ, સુખસાગર શ્યામ સુજાણ । દિધાં બહુ જનને દર્શન, નિર્ખિ બાઇ થઇ છે મગન ।।૭।।
કહે ધન્યધન્ય મારા નાથ, આજ અમને કર્યાં સનાથ । ઘણે દાડે પધાર્યા છો ઘેર, મુજ રંકપર કરી મહેર ।।૮।।
એમ કહીને આપ્યાં આસન, કર્યાં ભાત્ય ભાત્યનાં ભોજન । પછી નાથ જમ્યા તેને ઘેર, કરી મનમોહનજીએ મહેર ।।૯।।
જમી ઉઠયા આપ્યો મુખવાસ, પછી હાથ જોડી કહે દાસ । આજ આવ્યાનું કારણ કહીયે, સુણિ બોલ્યા સ્વામીજી તૈયે ।।૧૦।।
તારી કાકી સાકરબાઇ નામે, તેને તેડી જાશું નિજધામે । આવ્યા એ સારૂ બેસીને વાજી, તેડી જાતાં તું રાજી કુરાજી ।।૧૧।।
ત્યારે બોલી છે કેશરબાઇ, એહ જીવની ધન્ય કમાઈ । જેને તેડવા આવ્યા છો તમે, શિદને કુરાજી થાયે અમે ।।૧૨।।
એવું સાંભળી બોલ્યા મહારાજ, નહિ તેડી જાઇએ એને આજ । પણ ચાર દન મોર આવી, એને તેડયાનું ગ્યાતા ઠરાવી ।।૧૩।।
તેને કહેજ્યે તું જઇ વચન, કૈયે નહિ છુટે તારૂં તન । એમ કહી પધાર્યા મહારાજ, કરી અલૌકિ એટલું કાજ ।।૧૪।।
વળી વાત કહું એક સારી, હરિજન લેજ્યો હૈયે ધારી । કાનમ દેશમાં કેલોદ ગામ, તિયાં શેખ વલીભાઇ નામ ।।૧૫।।
સાચા સંતની વાત સાંભળી, ગઇ અસત્ય આસતા ટળી । સાચા જાણ્યા સદ્ગુરુ સ્વામી, બીજા જણાણા ખરા હરામી ।।૧૬।।
પીર ફકીર મલાં મલંગ, તેને તજી કર્યો સતસંગ । પછી સહુએ કર્યો એ વિચાર, કર્યા વલીભાઇ નાત્યબાર ।।૧૭।।
ઔતેને વીતિગયાં વર્ષ ચાર, નહિ વલીને સંશય લગાર । ભલો ભક્ત જક્ત નહીં જેને, સ્વામી વિના માને નહિ કેને ।।૧૮।।
ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ, સહુ ઉપર રહી સુજાણ । એમ કરતાં હરિભજન, તેને વીતિ ગયા બહુ દન ।।૧૯।।
પહોંતિ અવધિ દેહની જ્યારે, આવ્યા તેડવા મહારાજ ત્યારે । લાવ્યા રથ વેલ્ય ને વિમાન, આપે અશ્વે બેસી ભગવાન ।।૨૦।।
આવી વાડીમાં ઉતર્યા નાથ, બહુ સખા છે પોતાને સાથ । દિઠું વાડીવાળે તે પ્રસિદ્ધ, રથવેલ્ય વિમાન બહુવિદ્ધ ।।૨૧।।
ઘણાં ઘોડાં બળદ અપાર, બોલ્યો રખવાળો તેહ વાર । મારી ખેતી આ જાશે ખવાઇ, અમારે છે આટલી જીવાઇ ।।૨૨।।
ત્યારે બોલિયા દીનદયાળ, ચિંતા મ કર તું રખવાળ । આ બળદ ને ઘોડાં અમારાં, તારી ખેતિનાં નહિ ખાનારાં ।।૨૩।।
અમે આવ્યા છીએ આંહિ આજ, વલીભાઈને તેડવા કાજ । એમ એને કહી અવિનાશ, પછી આવ્યા વલીભાઇ પાસ ।।૨૪।।
થયાં વલીભાઇને દર્શન, લાગ્યો પાય કહે ધન્યધન્ય । મારે હતો ભરૂંસો તમારો, જાણું જરૂર નહિ વિસારો ।।૨૫।।
ત્યારે નાથ કહે અમે આજ, આવ્યા તમને તેડવા કાજ । એવું સુણ્યું વાલાનું વચન, ચાલ્યા વલીભાઇ તજી તન ।।૨૬।।
દિઠા સતસંગી કુસંગી સહુએ, માન્યું આશ્ચર્ય મનમાં બહુએ । કહે ધન્ય ધન્ય સતસંગ, જીતી ગયા વલીભાઇ જંગ ।।૨૭।।
થયો પરચો પ્રગટ પ્રમાણ, નહિ માને મૂરખ અજાણ । એમ કહી રહ્યાં નરનારી, જોઇ સામર્થી સ્વામીની ભારી ।।૨૮।।
વળી સુરત શહેરની વાત, કહું સહુ સાંભળો વિખ્યાત । તિયાં રહે બહુ હરિજન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૨૯।।
પૂરે પરચા નિત્ય પ્રત્યે નાથ, તેણે મગન રહે સહુ સાથ । એવું સમઝે નહિ કોઇ જન, પ્રભુ આવ્યા વિના છુટે તન ।।૩૦।।
રથ વેલ્ય વાજી ને વિમાન, લાવે અંત સમે ભગવાન । આવે તેડવા જનને નાથ, માગી શિખ જાય હરિ સાથ ।।૩૧।।
એવો સહુને મને વિશ્વાસ, તન તજી જાશું પ્રભુ પાસ । પણ એક વાત છે નવીન, કહું સાંભળો જન પ્રવિન ।।૩૨।।
એક પારશી અરદેશરજી, તેને સતસંગની રીત્ય રજી । સાચા જાણ્યા સહજાનંદ સ્વામી, બીજા જણાણા લોભી હરામી ।।૩૩।।
જોયા જોગી જંગમ સન્યાસી, તપી ત્યાગી વૈરાગી ઉદાસી । પીર ફકીર મલાં મલંગી, દીઠા શેખ ભેખ બહુરંગી ।।૩૪।।
કણ વણ રહ્યા કુકશા ગ્રહિ, એવા દીઠા જગતમાં કહિ । જોઇ લીધું સર્વનું તે સાર, જાણ્યા ભૂલેલ ભૂમિનો ભાર ।।૩૫।।
જ્યારે સાંભળી સ્વામીની વાત, ત્યારે મનમાં પામ્યો નિરાંત । પછી અતિશે વિશ્વાસ આવ્યો, તેડી સ્વામીને શહેરમાં લાવ્યો ।।૩૬।।
ઔઅતિ આદરે પધરાવ્યા નાથ, હતા મુનિ પંચ શત સાથ । કરી પૂજા ઘેર પધરાવી, સારી સેવા કરી મનભાવી ।।૩૭।।
લીધો લોચન ભરીને લાઓ, જાણ્યું આવો નાવે ફરી દાઓ । તિયાં નાથ રહ્યા નવ દન, દીધાં બહુ જીવને દર્શન ।।૩૮।।
કરી અનેક જનનાં કાજ, ત્યાંથી પાછા પધાર્યા મહારાજ । તેને વીતિ ગયા બહુ દન, થયું અરદેશરને સ્વપ્ન ।।૩૯।।
દીઠા સહજાનંદ સુખકારી, અતિ તેજોમય મૂર્તિ ભારી । ઔલાગ્યો લળીલળી વળી પાય, નિર્ખિ નયણાં તૃપ્ત ન થાય ।।૪૦।।
પછી નાથ કુંકુમ લઇ લાલ, કર્યો ચંદ્ર અરદેશર ભાલ । કહ્યું સવારે તને રાજન, દેશે મોટયપ માનજ્યે મન ।।૪૧।।
એમ કહી પધાર્યા દયાળ, જાગ્યો અરદેશર તતકાલ । લઇ દર્પણ ને મુખ દેખ્યું, દિઠો ચાંદલો આશ્ચર્ય લેખ્યું ।।૪૨।।
થયું કહ્યું હતું તે મહારાજે, આપી શહેર સુબાગરી રાજે । જેજે કહિતી સ્વપને વાત, તેતો સવારે થઇ સાક્ષાત ।।૪૩।।
પામ્યો પરચો આશ્ચર્ય લેખ્યો, ભાલમાં ચંદ્ર પ્રકટ દેખ્યો । ઔએવાં એવાં આ સમે મહારાજ, કરે છે જનનાં બહુ કાજ ।।૪૪।।
ઔવળી ભક્ત એક ભગુનામ, તેને જાણે તે સઘળું ગામ । લીયે પારકી વઢવેડય વેંચાતિ, કરે નિત્ય કમાણી તેમાંથી ।।૪૫।।
કહે સહુ છે કજીયાદાર, મુવા પછી જાશે જમદ્વાર । પણ ભગુને ભરોસો ભારી, નાથ નહિ જુવે કરણી મારી ।।૪૬।।
લોભી લંપટી છું હું હરામી, પણ નહિ તજે મુજને સ્વામી । એવો ખરો વિશ્વાસ તે દલે, ન ભજે બીજાને કોઇ પળે ।।૪૭।।
એમ વીતિ ગયા બહુદન, આવી અવધિ તજીયું તન । આવ્યા તેડવા પોત્યે મહારાજ, લાવ્યા રથ એક ભગુકાજ ।।૪૮।।
તેણે હસ્તિ જુત્યા જન જોઇ, પામ્યા આશ્ચર્ય તે સહુ કોઇ । કહે માંહો માંહિ એમ મળી, આવી વાત ન દિઠી સાંભળી ।।૪૯।।
હસ્તિ રથ દિઠો દ્રગે આજ, ચાલ્યા ભગુને તેડી મહારાજ । હુવાં દર્શન જન બહુને, થયો પરચો જણાણું સહુને ।।૫૦।।
એવા એ શહેરમાંહી અનેક, થાય પરચા ન લખાય છેક । સર્વે લખતાં ન આવે પાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને એકાવનમું પ્રકરણમ્ ।।૧૫૧।।