પૂર્વછાયો-
વળી વડોદરા શહેરમાં, પૂર્યા જે પરચા મહારાજ । તે લેખે ન આવે લખતાં, એમ કર્યાં જનનાં કાજ ।।૧।।
જણ જણ પ્રત્યે જુજવા, વળી પરચાનો નહિ પાર । ઔકહ્યા ન જાય કોઇથી, એવા થાય ચમત્કાર ।।૨।।
હેત જોઇ હરિજનનાં, પ્રભુજી થયા પ્રસન્ન । નિત્ય પ્રત્યે નરનારીને, આપે દયાનિધિ દર્શન ।।૩।।
જેજે રીત્યે જનના, મહારાજે પુર્યા મનોરથ । તેતે કહું સહુ સાંભળો, સ્વામી સહજાનંદની સામર્થ્ય ।।૪।।
ચોપાઇ-
કહું સામર્થી નાથની હવે, ચડે ખુમારી જેને સાંભળવે । ઔએક ભક્ત બ્રાહ્મણ અકામ, તેનું સદાશિવ એવું નામ ।।૫।।
તેની સુતા તે નામ ઉમૈયા, તે ઉપર મહારાજની દયા । થાય ધારણા દેખે છે ધામ, લિયે આવીને તેહનાં નામ ।।૬।।
સુરપુર ને કૈલાસ જેહ, વૈકુંઠ વળી ગોલોક તેહ । શ્વેતદ્વિપ ને અક્ષરધામ, એહ આદિ લિયે કઇ નામ ।।૭।।
દેખે ધામ ને ધામના પતિ, સહજાનંદ સુખ મૂરતિ । કરે દર્શન તેહનાં નિત્યે, પ્રભુ બોલાવે બાઇને પ્રીત્યે ।।૮।।
એક દન કહે એમ નાથ, આજ જમશું અમે તારે હાથ । કરજ્યો સુંદર રસોઇ સારી, કેળાં રોટલી કાજુ તૈયારી ।।૯।।
પછી ધારણા માંહિથી જાગી, ઉઠી રસોઇ કરવા લાગી । થઇ રુડી રસોઇ તૈયાર, જમ્યા પ્રકટ પ્રાણ આધાર ।।૧૦।।
દિઠા ઘરને મનુષ્યે મળી, આવી મૂરતિ એમ ન કળી । જાણ્યું પ્રકટ પ્રમાણ પધાર્યા, આજ જન્મ અમારા સધાર્યા ।।૧૧।।
બેઠા દીઠા સૌવે ચ્યાર ઘડી, પછી પધાર્યા ગમ ન પડી । ઔજોઇ આશ્ચર્ય પામિયાં જન, સહુ કહેવા લાગ્યાં ધન્યધન્ય ।।૧૨।।
આતો પરચો દિધો દયાળ, દીનબંધુ દીનપ્રતિપાળ । ઔવળી એક દિવસની વાત, કહું સાંભળજ્યો તે વિખ્યાત ।।૧૩।।
કરી સમાધિ ઉમૈયા બાઇ, આવી હરિ વિરાજતા ત્યાંઇ । કરી દર્શન બેઠી છે પાસ, નિરખ્યા નાથને હૈયે હુલાસ ।।૧૪।।
કહે ઉમૈયા મને મહારાજ, આપો કાંઇક પ્રસાદી આજ । ત્યારે જમતા હતા જીવન, સુંદર ભાત્ય ભાત્યનાં ભોજન ।।૧૫।।
જમી ચળુ કરી રહ્યા નાથ, લઇ રૂમાલને લુયા હાથ । આપ્યો ઉમૈયાને મહારાજે, પ્રસાદીનો તે પૂજવા કાજે ।।૧૬।।
તે આપ્યો રૂમાલ ધારણામાંઇ, લઇ આવી તે ઉમૈયા બાઇ । જાગી જોયું ત્યાં પોતાને પાસ, જોઇ રૂમાલ પૂછે છે દાસ ।।૧૭।।
આતો રૂમાલ રાખતા નાથ, ક્યાંથી આવ્યો બાઈ તારે હાથ । કહે ઉમૈયા સમાધિમાંહિ, આપ્યો ગઢડે લાવી હું આંહિ ।।૧૮।।
ત્યારે સહુ કહે ધન્યધન્ય, થયો પર્ચો કહે એમ જન । વળી એકદિ ધારણા કરી, આવી મહારાજ પાસળ્ય ફરી ।।૧૯।।
કર્યું દર્શન દયાળતણું, થઇ મનમાં મગન ઘણું । તેદિ હતો સંક્રાંતિનો દન, વાલે તેડાવ્યાતા વિપ્ર જન ।।૨૦।।
આપ્યાં અન્ન ધન દાન વળી, લીધાં ગામને બ્રાહ્મણે મળી । તિયાં બેઠીતી ઉમૈયા બાઇ, આપ્યા તલ લાડુ ધન ત્યાંઇ ।।૨૧।।
દિધું સમાધિમાંહિ મહારાજે, એના તાત સદાશિવ કાજે । પછી જાગી છે ઉમૈયા જ્યારે, રહ્યું પ્રત્યક્ષ પ્રમાણ ત્યારે ।।૨૨।।
તે આપ્યું સદાશિવને લઇ, વળી ત્યાંની લીલા સર્વે કઇ । પછી જાણી અલૌકિ પ્રસાદી, દીધી લીધી બાઇ ભાઇ આદિ ।।૨૩।।
સર્વે જને કર્યો જેજેકાર, ધન્યધન્ય હરિ અવતાર । વળી એક દિવસને માંઇ, કરી ધારણા ઉમૈયા બાઇ ।।૨૪।।
ગઇ શ્રીમહારાજને પાસ, સામું જોઇ બોલ્યા અવિનાશ । કહે કેમ આવે નિત્યનિત્ય, એવી શી છે અમમાંહિ પ્રીત્ય ।।૨૫।।
કહે બાઇ તમે તો શ્રીકૃષ્ણ, હશે અભાગી નહિ કરે દ્રષ્ણ । માટે આવી છું દર્શન કાજ, નથી કામ બીજું મહારાજ ।।૨૬।।
ત્યારે હસી ભરી મૂઠી હાથે, આપી સાકર સુંદર નાથે । તર્ત તુલસીનાં મંજર ત્રોડી, આપી પ્રસાદી ઉત્તમ રૂડી ।।૨૭।।
હતો જન્માષ્ટમીનો તે દન, આપી પંચાજીરી તે પાવન । કેવડો જે સુવાસે ભરેલ, આપ્યો નાથે તે માથે ધરેલ ।।૨૮।।
આપી પ્રસાદી કરીને મહેર, કહે નાથ તું જા હવે ઘેર । આવી ઉમૈયા તે દેહમાંઇ, લાવી પ્રસાદી પ્રકટ ત્યાંઇ ।।૨૯।।
અલૌકિ એહ છે પ્રસાદી, જેને ઇચ્છે ભવ બ્રહ્મા આદિ । સહ્યો શિવે જે સારૂ સંતાપ, થયો કદી મત્સ્ય જે સારૂ આપ ।।૩૦।।
એવી પ્રસાદી દુર્લભ જેહ, પામે સમાધિમાં જન તેહ । એતો વાત છે આશ્ચર્ય ઘણી, કહીએ મોટયપ શું હરિતણી ।।૩૧।।
વળી એક દિવસની વાત, અતિ તાણી ગયો વરષાત । સહુ લોક થયાં છે ઉદાસ, મેલી મેઘ આવવાની આશ ।।૩૨।।
કરે ચિંતા સહુ બુઢાં બાળ, કેમ ઉતરશું આવો કાળ । સદાશિવે પણ કર્યો શોચ, આપણા ઘરમાં નહિ પહોંચ ।।૩૩।।
માટે પુછાવું મહારાજ પાસ, પૂછયા વિના ન આવે વિશ્વાસ । પછી પુછાવ્યું ઉમૈયા સાથ, પૂછય મેઘનું શું કહે છે નાથ ।।૩૪।।
પછી ઉમૈયા ધારણા કરી, ગઇ જ્યાં હતા પોત્યે શ્રીહરિ । કરી દર્શન બેઠી છે પાસ, ત્યારે હશી બોલ્યા અવિનાશ ।।૩૫।।
શું પુછવું છે ઉમૈયા તારે, પૂછય સંશય રાખ્ય માં લગારે । ઔબોલી ઉમૈયા કહે મારો તાત, પૂછે કૈયે થાશે વરષાત ।।૩૬।।
સુણિ બોલિયા સુંદરશ્યામ, તારે વર્ષાતનું શું છે કામ । બેઠી કર નચિંત ભજન, તને મળશે વસ્ત્ર ને અન્ન ।।૩૭।।
કહે ઉમૈયા હું નથી કહેતી, મેંતો પૂછયું છે લોકની વતી । ત્યારે નાથ કહે જા તું ત્યાંઇ, થાશે મેઘ ઘડી ચ્યારમાંહિ ।।૩૮।।
કહેજ્યે ત્યાં જઇને તું વાત, નથી વાર આવ્યો વરષાત । આવી એમનું એમજ કહ્યું, ઘડી ચ્યારમાંહિ સાચું થયું ।।૩૯।।
નોતું વર્ષવું મેઘને મને, વર્ષ્યો ઘન વાલાને વચને । વુઠયો મેઘ ને આવ્યો આનંદ, સહુ જય બોલે જનવૃંદ ।।૪૦।।
ધન્ય બાઇ ધન્ય તારી ભકિત, આતો પર્ચો થયો મોટો અતિ । વળી એક દિવસની વાત, સહુ સાંભળજ્યો તે સાક્ષાત્ ।।૪૧।।
બેઠી ઉમૈયા ધારણા માંઇ, ગઇ પ્રભુ પાસળે એ બાઇ । કર્યાં દ્રગે ભરીને દર્શન, જોઇ મહારાજ થઇ મગન ।।૪૨।।
કહે નાથ આ હળી છે છોડી, નિત્ય આવેછે યાં ધ્રોડી ધ્રોડી । એમ કહી હતો પાસે હાર, નાખ્યો એહના ગળા મોઝાર ।।૪૩।।
આપ્યા ગજરા તોરા પેરેલ, અતિજાડા સુગંધી ભરેલ । આવી સમાધિ માંહિથી જ્યારે, રહ્યા પોતા પાસળે એ ત્યારે ।।૪૪।।
વળી એક દિવસની વાત, આપ્યાં જામફળ વાલે સાત । આપે સમાધિમાંહિ જે ચીજ, રહે પ્રકટ પ્રમાણ તેજ ।।૪૫।।
વળી એકદિ આંબાનું ફળ, આપ્યું અતિ મીઠું જે અમળ । વળી એકદિ પડીયો લઇ, ગયા લાડુ મોતીયા બે દઇ ।।૪૬।।
તેતો તાજા તરત કરેલ, પોતા આગે થાળમાં ધરેલ । તે આપ્યા છે અલબેલે લઇ, વાત મોટી જાય નહિ કઇ ।।૪૭।।
એમ અલૌકિક ચીજ લાવી, વેંચે આલોકમાંહી તે આવી । સમાધિમાં મળે જેહ જેહ, થાય પ્રકટ પ્રમાણ તેહ ।।૪૮।।
નથી વાત જેવડી એ વાત, અલૌકિક વસ્તુ સાક્ષાત્ । એવી રીત્ય ન દીઠી સાંભળી, સહુ જન વિચારજ્યો વળી ।।૪૯।।
આજ સામર્થી વાવરે બહુ, એક જીભે હું કેટલી કહું । જનનાં લાડ પાળે છે જેહ, નથી આવતાં કહ્યા માં તેહ ।।૫૦।।
લખ્યા પરચા મેં જે જન તણા, નથી એટલા છે બીજા ઘણા । આજ અતિ આપે છે આનંદ, ધન્યધન્ય કહે નિષ્કુળાનંદ ।।૫૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે ઉમૈયાબાઇને પરચા પૂર્યા એ નામે એકસોને તેંતાલિસમું પ્રકરણમ્ ।।૧૪૩।।