એકસો ને આઠમું પ્રકરણ

ચોપાઇ-
હવે કહું નિરસ્વાદીની રીત, જેણે તજી છે સ્વાદની પ્રીત । સર્વે સ્વાદ જાણી હરિમાંય, મનવૃત્તિ લોભે નહિ ક્યાંય ।।૧।।
મહારસનું કીધું છે પાન, તેણે થયા મગન મસ્તાન । સુખ સ્વપ્ને ન ગમે સંસાર, વિષયરસ સમજ્યા અસાર ।।૨।।
મહારસ પીધો જેહ જને, તે ન ચાખે બીજો રસ મને । એ રસ પીધો છે શુકજી આદે, તે તો ન રાચે અન્યને સ્વાદે ।।૩।।
એ રસ પીધો છે સનકાદિકે, પીધો નવ યોગેશ્વર નીકે । એ રસ પીધો છે જનક જેવે, જેનું મન ન રહ્યું બીજે પિવે ।।૪।।
એ રસ પીધો છે જન પ્રહ્લાદે, મન માન્યું નહિ બીજે સ્વાદે । એ રસ પીધો છે ધ્રુવ અંબરીષે, એ રસ પીધો ગોપી ગુડાકેશે ।।૫।।
એ રસ પીધો જન જયદેવે, એ રસ પીધો છે ઉધ્ધવ જેવે । એહ આદિ જે ઋષિરાજન, પીધો મહારસ થયા મગન ।।૬।।
જેજે જને હરિરસ પિધો, તેણે સંસારરસ કુચો કીધો । ચૌદ લોકમાં જે રસ રહ્યો, તેતો ઉલટા અન્ન જેવો થયો ।।૭।।
તેનું બીજે તે મન ન માને, જે કોઇ પૂરણ મહારસ પાને । એ રસ આજે આપણને મળ્યો, જે કોઇ સર્વે રસથી છે ગળ્યો ।।૮।।
નથી અન્ય રસ એહ સમાન, જેવો આપણે કીધો છે પાન । એ રસ વિના રસ જે બીજો, તે તો દુઃખરૂપ માની લેજ્યો ।।૯।।
બીજા રસમાં જેહ લોભાણા, તે તો ઝષ જેમ જાળે બંધાણા । ખોયું તન ને ખોટ જ ખાધી, જેની સ્વાદ સાથે પ્રીત બાંધી ।।૧૦।।
ત્યાગી થઇ જે રસને ચાય, તે ત્યાગીનું ત્યાગીપણું જાય । ખાંડ ખારવો તુપ તેજાનો, એહ આદિ દઇ સ્વાદ માનો ।।૧૧।।
ખારૂં ખાટું તીખું તમતમું, ગળ્યું ચિકણું જે મનગમ્યું । મનવાંછિત મગાવી ખાય, તેને ખોટય છે વૈરાગ્યમાંય ।।૧૨।।
શિરો પુરી ને શેવ સુંવાળી, રૂડા મોદક ને રોટી કાળી । વિધવિધનાં વ્યંજન ચાય, તેને ખોટય છે વૈરાગ્યમાંય ।।૧૩।।
ગર્મ નર્મ તે મનને ગમે, સારૂં સ્વાદુ તે જુગતે જમે । એનો ખાતાં અભાવ ન થાય, તેને ખોટય છે વૈરાગ્યમાંય ।।૧૪।।
સારૂં લાગે તે રાખે સંતાડી, થઇ ખાવાની વૃત્તિ હરાડી । રાત્ય દિવસ રસને ધાય, તેને ખોટય છે વૈરાગ્યમાંય ।।૧૫।।
કરે સ્વાદની વાત વખાણી, સુણી આવી જાય મુખે પાણી । તેને અર્થે કરે છે ઉપાય, તેને ખોટય છે વૈરાગ્યમાંય ।।૧૬।।
જીહ્વા માગે છે જુજવા રસ, જન થયા છે જીહ્વાને વશ । તેણે સ્વાદ કેદિ ન તજાય, તેને ખોટય છે વૈરાગ્યમાંય ।।૧૭।।
પંચ ઇંદ્રિનું પોષણ સ્વાદ, પંડય પોષતાં વાધે પ્રમાદ । પછી પુરૂષોત્તમ ન ભજાય, તેને ખોટય છે વૈરાગ્યમાંય ।।૧૮।।
જેને પંડય પોષવા છે પ્રીત, તે શું સમઝે મહારસ રીત । દેખી પુષ્ટ તનને ફુલાય, તેને ખોટય છે વૈરાગ્યમાંય ।।૧૯।।
તેતો કાવે નહિ હરિદાસ, જેને અહોનિશ રસની આશ । એતો જળજંતુ જેવો ગણાય, તેને ખોટય છે વૈરાગ્યમાંય ।।૨૦।।
જે કોઇ કહેવાય છે હરિજન, તેનું લોભે નહિ કિયાં મન । જેણે કર્યું મહારસ પાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૧।।
જેના અંતરમાં નિરવેદ, તેને કોણ પમાડશે ખેદ । નિત્યે હૈયામાં હરિનું ધ્યાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૨।।
જાણી સરવે સાર અસાર, તુચ્છ વસ્તુ કરી તિરસ્કાર । રાખ્યા ભિતરમાં ભગવાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૩।।
બ્રહ્માઆદિ જે કીટ પર્યંત, સર્વે સુખ દુઃખે અંતવંત । જેને પુરૂષોત્તમ સાથે તાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૪।।
એવા સંત મળે શુભમતિ, કહે જોજ્યો આ જીવની ગતિ । રાખ્યા જોઇએ જેહ મુખે રામ, તેમાં રાખે છે વસ્તુ હરામ ।।૨૫।।
જેહ મુખે ભજીયે શ્રીહરિ, તેને બગાડે છે કેફ કરી । ગાંજો ભાંગ્ય ને પિવે છે માદ, ખાયે આમિષ જીવ્હાને સ્વાદ ।।૨૬।।
જે મુખે ભજીયે પરબ્રહ્મ, તે મુખમાંય ખાય છે માજમ । ખાય કવસ્તુ કેફને કાજ, એવા નરને રૂઠયા છે રાજ ।।૨૭।।
જે મુખ હરિભજવા લાગ્ય, તેહ મુખમાં ભરે છે ભાંગ્ય । આપે જરદો તો ન પાડે નાજ, એવા નરને રૂઠયા છે રાજ ।।૨૮।।
જે મુખે જોઇએ નામ પ્રકાશું, તે મુખ હિંગ લસણે વાસ્યું । વળી પાપીને પ્યારી પિયાજ, એવા નરને રૂઠયા છે રાજ ।।૨૯।।
જે મુખે હરિગુણ ગવાય, તે મુખે નર અમલ ખાય । કાઢે કસુંબા કરે અકાજ, એવા નરને રૂઠયા છે રાજ ।।૩૦।।
જે મુખે હરિ ભજીયે દાડી, તે મુખે પાપી પિવે છે તાડી । સર્વે સજે છે નરકનો સાજ, એવા નરને રૂઠયા છે રાજ ।।૩૧।।
કેફે કરીને અકલ જાય, નાસે ડહાપણ ને ડુલ થાય । તોય નિર્લજ્જને નહિ લાજ, એવા નરને રૂઠયા છે રાજ ।।૩૨।।
એહ સર્વે જે વ્યસન કહ્યાં, એક સ્વાદની વૃત્તિમાં રહ્યાં । તેનો જે નર ન કરે તાજ, એવા નરને રૂઠયા છે રાજ ।।૩૩।।
સ્વાદમાંહિ રહ્યાં બહુ શૂળ, સ્વાદ છે સર્વે પાપનું મૂળ । સ્વાદે થાય નરક સમાજ, એવા નરને રૂઠયા છે રાજ ।।૩૪।।
એવા અનેક અવગુણ જોઇ, સંત સ્વાદ કરે નહિ કોઇ । જેહ સમે જેવું મળે અન્ન, જમે નિરદોષ જોઇ જન ।।૩૫।।
અજગર મધુકર વૃત્તિ, ગ્રહે સંતજન અનાસક્તિ । કાંતો અણઇચ્છયું અન્ન આવે, નહિ તો બહુ ઘરથી માગી લાવે ।।૩૬।।
કાચું પાકું જે સુકું સમિષ્ટ, ફળ મૂળ ફુલ પત્ર પિષ્ટ । હોય હરિપ્રસાદિનું અન્ન, જમે જન તે થાય મગન ।।૩૭।।
પણ સ્વાદ સારૂં જે ઉપાય, ન કરે તે નિઃસ્વાદી કહેવાય । આવે સહેજે તે જમે સુજાણ, જેમ તેમ કરી પોષે પ્રાણ ।।૩૮।।
સ્વાદ અસ્વાદની મુકી આશ, ભજે ભગવાન ગ્રાસો ગ્રાસ । જેના અંતરમાંહિ વૈરાગ્ય, તેણે કર્યો છે સ્વાદનો ત્યાગ ।।૩૯।।
કાથો ચુનો ને પાન સોપારી, તજ તમાલ એલચી સારી । જાય જાવંત્રી લવીંગ જે છે, એહઆદિ મુખવાસ ન ઇચ્છે ।।૪૦।।
ચુવા ચંદન તેલ ફુલેલ, પુષ્પહાર ને સુગંધી તેલ । તેને ત્યાગી ન ઇચ્છે તનમાં, જેને વૈરાગ્ય વર્તે છે મનમાં ।।૪૧।।
જે જે ખોળી કહ્યાં ખાન પાન, તજ્યાં તે સંતે થઇ સાવધાન । અતિ કર્યો છે ઉંડો અભાવ, કેદિ ભૂલે થાય નહિ ભાવ ।।૪૨।।
કામ લોભ જીત્યા જેમ જને, તેમ જીત્યો છે સંતે સ્વાદને । થાય ઉંડો અંતરેથી નાશ, ત્યારે તજાય બારથી આશ ।।૪૩।।
જે જે ત્યાગે છે બારથી બળે, તેને માંહિ સ્વાદ રહે છે છળે । લાગ આવે તો કરે છે ઘાત, નહિ તો બેઠો સાંભળે છે વાત ।।૪૪।।
તે તો અંતર ત્યાગથી જાય, બીજે ન ટળે કોટિ ઉપાય । ત્યાગ વૈરાગ્ય વિવેક વિચાર, એહ હોય જ્યાં હોય મુરાર ।।૪૫।।
તેહ વિના વૈરાગ્યનો વેષ, તેણે ન ટળે કામાદિ લેશ । જ્યારે પ્રભુ સાથે પ્રીત લાગે, ત્યારે કામ લોભ સ્વાદ ભાગે ।।૪૬।।
એમ જીત્યો છે જે જને સ્વાદ, તેના ટળીયા સર્વે પ્રમાદ । જીતી સ્વાદ થયા શુધ્ધ આપે, સ્વામી સહજાનંદ પ્રતાપે ।।૪૭।।

પૂર્વછાયો-
સહજ સ્વભાવે સંતને, અંતરમાં રહે છે એમ । મળ્યે પણ મન ન ચળે, અણ મળ્યું ઇચ્છે કેમ ।।૪૮।।
એમ સંત શિરોમણી, જીત્યા સ્વાદને જેહ । પિંડ બ્રહ્માંડ પાર પ્રીતિ, કહું એવા નિરસનેહ ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિરસ્વાદિ વ્રતમાન કહ્યાં એ નામે એકસોને આઠમું પ્રકરણમ્ ।।૧૦૮।।