એકસો ને ચોથું પ્રકરણ

રાગ સામેરી-
નાથ કહે સહુ સાંભળો, જેણે કરી કહ્યા ભગવાન । આ તને તે નવ કર્યું, અમથું કરો છો અનુમાન ।।૧।।
વેદ અમે વાળ્યા નથી, નથી શંખાસુર આદિ મારિયા । જેણે કરી ભગવાન જાણો, તે મત્સ્ય પ્રભુ મોર્યે થિયા ।।૨।।
પિઠય ઉપર ગિરી ધરી, નથી મથીયો અમે મેરાણ । ચૌદ રત્ન લીધાં તેતો, કૂર્મ પ્રભુ પ્રમાણ ।।૩।।
હિરણ્યાક્ષ હણી પૃથવી, વાળી નથી આ વાર । જે પ્રાક્રમે પ્રભુ કહ્યા, એતો વરાહ અવતાર ।।૪।।
હિરણ્યકશિપુ મારીને, કરી જન પ્રહ્લાદની સાર । એહ પ્રતાપે પ્રભુ ખરા, તે તો નૃસિંહ અવતાર ।।૫।।
પંડ વધારી ભરી પૃથિવી, બળી છળીને લીધું રાજ । તેહ અમે કિધું નથી, એતો વામનજી મહારાજ ।।૬।।
તાતને હેતે હણ્યા ક્ષત્રિ, ફેરી ફરશિ એકવિશ વાર । તે પ્રતાપે પ્રભુ કહોતો, એતો પરશુરામ અવતાર ।।૭।।
ખર ડુખર ને કુંભકર્ણ, નથી માર્યો મેં રાવણ રાજ । એતો પ્રભુ રઘુનાથજી, બાંધી પાજ પત્ની કાજ ।।૮।।
કાળી નાથી કર ગિરિ ધરી, ઇંદ્રનું માન ઉખાડિયું । બ્રહ્માને મન ભંગ કરી, વિશ્વ માને મુખમાં દેખાડિયું ।।૯।।
અઘાસુર બકાસુર કેશી, વત્સ ધેનુકાસુર વૃષભ । વ્યોમાસુર ભૌમાસુર વળી, મુરદાનવ મધુકૈટભ ।।૧૦।।
કંસ ને વળી કાલયવન, શંખચૂડ ને શાલવ સહિ । બાણાસુર શિશુપાળ સરખા, જરાસંધ જેવા કહિ ।।૧૧।।
દંતવક્રાદિ દુષ્ટ દમ્યા, રમ્યા વ્રજયુવતિ સંગ । એહ પ્રાક્રમે કૃષ્ણ પ્રભુ, તેતો અમે ન કર્યાં અંગ ।।૧૨।।
જોઇ દુષ્ટ યજ્ઞા કરતા, મદ્ય ને માંસારી થયા । તેને મોહ પમાડી જીવ તાર્યા, તે પ્રભુ બુધ્ધજી કહ્યા ।।૧૩।।
પાખંડી બહુ પ્રકટી, સત્યધર્મ નાશ કરશે । જીવને શુધ્ધ બોધ દેવા, કલકિ તન ધરશે ।।૧૪।।
એહ આદિ અનંત દેહ, ધર્યા ધરણી ઉપરે । ખળબળ ખંડન કરી, તાર્યા જન બહુ એણિપેરે ।।૧૫।।
એમ અનેક અવતારમાં, બહુ બહુ કરીયાં કાજ । એહ માયલું અમમાં, કહો શું દીઠું તમે આજ ।।૧૬।।
એહ પ્રાક્રમે પ્રભુપણું, અમમાંહી એકે નથી । ન માનો તો જુવો નજરે, કહું તમને હું શું કથી ।।૧૭।।
એમ વાત કરી હરિ, સર્વે સંત સાંભળતાં । સુણી વચન વાલાતણાં, મુનિ મરકી બોલ્યા વળતાં ।।૧૮।।
નભ કહે હું નભ નહિ, કહે પવન હું નહિ પવન । તેજ કહે હું તેજ નહિ, એમ કહ્યું શ્રીભગવન ।।૧૯।।
જળ કહે હું જળ નહિ, ધરા કહે હું ધરા નહિ । સિંધુ કહે હું સિંધુ શાનો, તેમ પ્રભુ કહે હું પ્રભુ નહિ ।।૨૦।।
સૂર્ય કહે હું સૂર્ય શિયો, શશિ કહે હું શશિ નથી । એનો ઉત્તર એક ન મળે, જને વિચાર્યું મનથી ।।૨૧।।
એમ આવ્યું એ વાતમાં, સંતજને સમઝી લયું । આપણે તો આનંદ છે, પણ બીજાનું તો ઘર ગયું ।।૨૨।।
એવું સુણી સંત સર્વે, લાગ્યા શિશ ડોલાવવા । કેવી વાત કરી હરિ, દુષ્ટ જન ભૂલાવવા ।।૨૩।।
હરિજન મન હરખિયાં, જોઇ જીવનની જુગતિ । આવી વાતે અન્ય જનનું, અવળું થાશે અતિ ।।૨૪।।
મસ્તજાતિ ભગવાનની, ઇચ્છા આવે તેમ ઓચરે । સંત સુણી સુખ પામે, અસંત ને અવળું કરે ।।૨૫।।
સંત સર્વે લીલા જાણી, ચિત્તમાં નિત્ય ચિંતવે । અસંત કહે આપણ જેવા, મનુષ્ય કરી મન લેખવે ।।૨૬।।
મનુષ્ય જાણી મોટા મોટા, ભ્રમિને ભૂલા પડયા । આપ બુદ્ધિએ અનુમાન કરી, થડ મુકી ડાળે ચડયા ।।૨૭।।
મનુષ્ય ચરિત્ર જોઇને, પારવતી નવ પ્રિછિયાં । રોતા દેખી શ્રીરામને, ભવાની ભૂલી ગયાં ।।૨૮।।
પનંગારી પાર્ષદ મોટો, નિત્ય રહે હરિને સંગે । નાગપાશે નાથ બાંધ્યા, દેખીને ભૂલ્યો અંગે ।।૨૯।।
બ્રહ્મા આવ્યા ભાળવા, ભૂલ્યા અન્ય આચારમાં । ચરિત્ર જોઇ મહારાજનાં, વિધિ પડયા વિચારમાં ।।૩૦।।
હર્યાં વત્સ વળી બાલકાં, પછી આવીને પેખીયું । બહુ વિધિએ વિલોક્યું, પણ અણુ ન્યૂન ન દેખિયું ।।૩૧।।
એવા એવાને એમ થયું, તો અવરનો શિયો આશરો । ચરિત્ર જોઇ ચળે નહિ, તેહ ભક્ત હરિનો ખરો ।।૩૨।।
નરતન ધરી નાથજી, કાંઇ કાંઇ હોયે કરતા । સુતા બેઠા જાગતા, ખાતા પીતા ઓચરતા ।।૩૩।।
જે જે ચરિત્ર કરે હરિ, તે જનનાં મન હરવા । લલિત લીળા લાલની, છે મુનિને ધ્યાન ધરવા ।।૩૪।।
એમ સમઝી સંત સર્વે, મોહ ન પામે મનમાં । જેમ જેમ લીલા જુવે, તેમ તેમ રહે મગનમાં ।।૩૫।।
જે જે વાત હરિએ કરી, તે સર્વે સંતે સાંભળી । પાડી ના પ્રભુપણાની, પણ સંતની મતિ નવ ચળી ।।૩૬।।
પછી સંત બોલિયા, મુનિ વિચારી મનથી । મત્સ્યાદિ દેહે કર્યાં પ્રાક્રમ, તેતો તમે કર્યાં નથી ।।૩૭।।
પણ જેવું જણાય છે અમને, તેવું કહેશું કરભામિને । સમઝી સમાગમ કર્યો છે, જાણી અંતરજામીને ।।૩૮।।
આગળ તમે જે ઓચર્યા, તેનું એમ જણાય છે આજ । નિરસંશય નિશ્ચય કરી, કહેશું કર જોડી મહારાજ ।।૩૯।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિ મનુષ્યચરિત્ર કથન નામે એકસોને ચોથું પ્રકરણમ્ ।।૧૦૪।।