પૂર્વછાયો-
એવા સ્વામી શ્રીહરિ, ચરિત્ર અતિ અનુપ । પાછા પ્રથમથી સંક્ષેપે, કહું સાંભળજ્યો સુખરૂપ ।।૧।।
પોતે પુરૂષોત્તમ પ્રગટી, બહુ વાવરી સામર્થ્ય । જોરે લેવા જીવ શરણે, એજ સારવો અર્થ ।।૨।।
પાપી પરદારા પથી, મદ્યપાની માંસારી સોઇ । તસ્કર પરપ્રાણહર, તરે કરે આશ્રય કોઇ ।।૩।।
પોતા બળે મહા પંચ પાપી, કર્યા ભવજળ પાર । લોભી લંપટી કપટી કામી, કોણ પુરૂષ ને કોણ નાર ।।૪।।
ચોપાઇ-
એવા અઘવંતા નરનાર, આવે શરણે પામે ભવપાર । પામે સમાધિ સુખ પ્રાપતિ, થાય લોક પરલોકમાં ગતિ ।।૫।।
સુરપુર ને દેખે કૈલાસ, વૈકુંઠ હરિ હરિના દાસ । ગોલોક ને શ્વેતદ્વીપ સોઇ, ધામ અક્ષર જન તે જોઇ ।।૬।।
જેજે લોકના આચરણ જેહ, દેખે કહે યથારથ તેહ । જેજે લોકના જે અધિપતિ, કરે પ્રગટ પ્રભુની વિનતિ ।।૭।।
એમ જન જોઇ બહુ ધામ, માને પોતાને પૂરણકામ । વળી દેખે બ્રહ્માંડે બ્રહ્માંડ, દેખે પોતાનું પારકું પંડ ।।૮।।
મન બુધ્ધિ ચિત્ત અહંકાર, દેખે પ્રાણ ઇંદ્રિય પરિવાર । ઘાટ શુભ અશુભ જે થાય, તેતો પર પોતાના જણાય ।।૯।।
એમ દેખે સમાધિયે જન, કરે પ્રગટ પ્રમાણ ભજન । પરાપાર જે પૂરણબ્રહ્મ, જેને નેતિ નેતિ કહે નિગમ ।।૧૦।।
તેજ સુખદાય સહજાનંદ, જગજીવન જે જગવંદ । જે કોઇ સર્વે કારણના કારણ, તેણે કર્યું છે તન ધારણ ।।૧૧।।
સર્વે અવતારના અવતારી, તેજ સહજાનંદ સુખકારી । જે કોઇ સર્વે ધામના ધામી, જાણો તેજ સહજાનંદ સ્વામી ।।૧૨।।
શશિ સુર અજ અમરેશ, શેષ મહેશ દેવ ગણેશ । પૃથ્વી પાથ પાવક પવન, દિગપાળ કાળ માયા ઘન ।।૧૩।।
એહ આદિ જે બીજા અનેક, જેની ન લોપે આગન્યા એક । તેજ મૂરતિ જાણીને જન, કરે સહજાનંદનું ભજન ।।૧૪।।
અતિ પ્રત્યક્ષ પરોક્ષ ન લેશ, એવી વાતો થાય દેશોદેશ । થાય પ્રકટ પૂજા બહુપેર, પ્રકટ ગુણ ગાય ઘેરઘેર ।।૧૫।।
થાય અર્ચા પૂજા ને આરતિ, કરે સ્તવન જન વિનતિ । ધરે મોરમુગટ વનમાલ, છત્ર ચમર કરે મરાલ ।।૧૬।।
પૂજા પ્રકટ પ્રકટ ભજન, કરે નરનારી બહુ જન । નિરસંશય થઇ નરનાર, ભજે પ્રગટ પ્રમાણ આધાર ।।૧૭।।
તેનાં હરે દુઃખ દીનબંધુ, કૃપાળુ દયાળુ સુખસિંધુ । કામ ક્રોધ લોભ મોહ આદિ, નડયા છે જે જીવને અનાદિ ।।૧૮।।
એવા શત્રુ અજીતને જીતી, કરાવે નિજચરણમાં પ્રીતિ । એમ અનંત જીવ ઉધ્ધાર્યા, ભવસાગર પાર ઉતાર્યા ।।૧૯।।
દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર લઇ, નરનાર ઉધારિયાં કઇ । પેખી પોતાની સામર્થી શ્યામ, આપ્યાં આશ્રિતને નિજધામ ।।૨૦।।
શ્વેતદ્વીપ વૈકુંઠ ગોલોક, પામ્યા અક્ષરધામ અશોક । છતે તને છે મગન જન, વળી કરે પ્રગટ ભજન ।।૨૧।।
માને મળ્યા શ્રીહરિ સાક્ષાત, ન કરે કોઇ વાયદે વાત । બીજા મતપંથ મોળા પડયા, રહ્યા તે પણ સડયા બગડયા ।।૨૨।।
એમાં જીવ મુમુક્ષુ જે હતા, આવ્યા પ્રગટ પ્રભુને ગોતતા । ઉદય અસ્તમાંઇ એક વાત, પ્રભુ સહજાનંદજી સાક્ષાત ।।૨૩।।
બાળ જોબન ને વૃધ્ધ જેહ, તેને ન રહ્યો તેમાં સંદેહ । એમ પ્રકટપણે નરનાર, કરે ભજન સહુ અપાર ।।૨૪।।
દેવ ભૈરવ ભવાની પીર, વળી વૈતાળ વૈતાળી વીર । મંત્ર જંત્ર ને મુંઠ કામણ, દૈત્ય ભૂત પ્રેત પિતૃગણ ।।૨૫।।
ટોળા નાટક ચેટક ચોટે, તેની બીક નહિ મિષ ખોટે । એમ પ્રકટ પ્રભુને પામી, બીજી શંકા તે સર્વે વામી ।।૨૬।।
નહિ અંતરે કોઇનો ભાર, પામી પ્રકટ ધર્મકુમાર । વળી નિજનિજ ધર્મપાળે, પ્રકટ મૂરતિ નાથ નિહાળે ।।૨૭।।
પ્રકટ પ્રભુનું કરે ભજન, તેણે જન રહેછે મગન । કોઇ વાતની ન રહી શંકા, દીધા કાળ માયા પર ડંકા ।।૨૮।।
અતિ પ્રકટનું બળ લઇ, બીજી વાતતણી બીક ગઇ । એમ પ્રકટ પણાની વાત, જણાણી જગમાંહિ વિખ્યાત ।।૨૯।।
થાય પરચા અતિ અપાર, ન માને એવો કોણ ગમાર । જ્યારે મુકે સતસંગી દેહ, આવે નાથ તેડવાને તેહ ।।૩૦।।
મરે વિમુખ કરી હાયહાય, મુવા પછી જમપુર જાય । એમ દેખી દો પ્રસિધ્ધ વિધિ, ભજે સહજાનંદ સુખનિધિ ।।૩૧।।
વાટે ઘાટે એ થાય ઉચ્ચાર, પ્રભુ પ્રકટ વિના અંધાર । નથી વાત એ છાની છપાડયે, છે છતરાઇ તે ચોડે ધાડે ।।૩૨।।
એવું કરીને પ્રકટપણું, કર્યું કલ્યાણ બહુ જીવતણું । પછી નાથે વિચાર્યું અંતરે, જ્યારે હું નહિ હઉં આ ધરે ।।૩૩।।
ત્યારે મારા આશ્રિત નરનાર, થાશે નિરાલંબ નિરધાર । માટે એને કરૂં આલંબન, બીજાં થાશે જે આગળ્યે જન ।।૩૪।।
તેનાં કલ્યાણ કરવા સારૂં, કરી મંદિર મૂર્તિયો બેસારૂં । વળી મારૂં ગુરૂપણું જેહ, સ્થાપું ધર્મકુળમાંહિ તેહ ।।૩૫।।
એમ વિચારીને તતખેવ, પછી નરનારાયણ દેવ । લક્ષ્મીનારાયણ આદિક સારી, પોતાની મૂર્તિયો બેસારી ।।૩૬।।
અવધપ્રસાદ ને રઘુવીર, કર્યા આચાર્ય ગુણે ગંભીર । મૂર્તિ દ્વારે ઐશ્વર્ય જણાવી, પૂર્યા પરચા સમાધિ કરાવી ।।૩૭।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે પુરૂષોત્તમનો મહિમા તથા પ્રકટપણું કહ્યું એ નામે એકસોને એકમું પ્રકરણમ્ ।।૧૦૧।।