અધ્યાય ૮૩ - શ્રીકૃષ્ણ ભગવાન જે રીતે સ્ત્રીઓને પરણ્યા એ વિષે પોતપોતાના વિવાહની દ્રૌપદીની પાસે વાતો કહેતી અષ્ટ પટરાણીઓ.

શુકદેવજી કહે છે- હે રાજા ! ગુરૂ અને ગતિરૂપ ભગવાને આ પ્રમાણે ગોપીઓ પર અનુગ્રહ કરીને યુધિષ્ઠિરને તથા બીજા પણ સર્વે સંબંધીઓને કુશળ પૂછયું.૧

આ પ્રમાણે શ્રીકૃષ્ણે પૂછેલા, સત્કાર કરેલા અને તેમનાં ચરણનાં દર્શનથી નિષ્પાપ થયેલા તે લોકો આનંદથી નીચે પ્રમાણે બોલ્યા.૨ 

સંબંધીઓ કહે છે- હે પ્રભુ ! મહાત્માઓના મન થકી મુખ દ્વારા કોઇ સમયે નીકળેલું અને પ્રાણીઓને જન્મ આપનારી અવિદ્યાને કાપનારું, તમારા ચરણારવિંદની કથારૂપ અમૃતને જે લોકો કાનરૂપી પડીઆઓથી બહુ જ પીએ છે, તેઓનું અમંગળ ક્યાંથી હોય? ૩ ભક્તજીવોને વિષે અનાદિ અવિદ્યાથી કરાયેલી ત્રણે અવસ્થાઓને સ્વસ્વરૂપના જ્ઞાનથી નાશ કરનારા, આનંદના તો સમુદ્રરૂપ, અખંડિત જ્ઞાનવાળા, કાળગતિથી નાશ પામેલા વેદોનું રક્ષણ કરવા માટે પોતાના યોગૈશ્વર્યથી મત્સ્યાદિ અવતારોને ધારણ કરનારા, અને પરમહંસોના પરમ ગતિરૂપ, આવા તમોને અમો વારંવાર નમસ્કાર કરીએ છીએ.૪

શુકદેવજી કહે છે- આ પ્રમાણે લોકો ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા, તે સમયે યાદવો અને કૌરવોની સ્ત્રીઓ મળીને ત્રિલોકે ગાયેલી ભગવાનની કથાનું પરસ્પર વર્ણન કરવા લાગી. એ સ્ત્રીઓની વાતોનું હું તમારી પાસે વર્ણન કરૂં છું, તે સાંભળો.૫

દ્રૌપદી પૂછે છે- હે રૂક્મિણી ! હે ભદ્રા ! હે જાંબવતિ ! હે નગ્નજીતી ! હે સત્યભામા ! હે કાલિંદી ! હે શૈબ્યા ! હે રોહિણી ! હે લક્ષ્મણા ! હે કૃષ્ણની સ્ત્રીઓ ! પોતાની માયાથી મનુષ્યલોકનું અનુકરણ કરતા શ્રીકૃષ્ણ ભગવાન જેવી રીતે તમોને પરણ્યા એ વાત અમને કહો.૫-૭

રૂક્મિણી કહે છે- મને શિશુપાળની સાથે પરણાવવા સારૂ રાજાઓ ધનુષ ધરીને સજ્જ થયા હતા, ત્યાં અજેય યોદ્ધાઓ પણ જેના ચરણની રજને માથે ચઢાવે છે એવા ભગવાન, જેમ સિંહ બકરાના અને ગાડરના ટોળામાંથી પોતાના ભાગને લઇ જાય તેમ લઇ ગયા, તે ભગવાનના ચરણનું પૂજન મને પ્રાપ્ત થજો.૮

સત્યભામા કહે છે- ભાઇ પ્રસેનના વધથી પરિતાપ પામેલા મારા પિતાએ મૂકેલા અભિશાપને મટાળવા સારૂ, ભગવાને રીંછના રાજાને જીતીને મણિ લાવી મારા પિતાને આપતાં, ભગવાન ઉપર આરોપ મુકવાના અપરાધથી ભય પામેલા મારા પિતાએ, જો કે મારૂં વાગ્દાન બીજાને થઇ ચુક્યું હતું, તોપણ શ્રીકૃષ્ણને મારૂં દાન આપ્યું.૯  

જાંબવતી કહે છે- મારા પિતાએ આ શ્રીકૃષ્ણને ''પોતાના ઇષ્ટદેવ અને સ્વામી રામચંદ્ર છે'' એમ નહીં જાણતાં એમની સાથે સત્યાવીશ દિવસ સુધી યુદ્ધ કર્યું. પછી સાક્ષાત્ આ જ રામચંદ્ર છે, એવું પરીક્ષા દ્વારા જ્ઞાન થતાં મારા પિતાએ પગમાં પડીને પૂજનરૂપે મણિની સાથે શ્રીકૃષ્ણને મારૂં પણ દાન આપ્યું. એ શ્રીકૃષ્ણની હું દાસી છું.૧૦

કાલિંદી કહે છે- મને પોતાના ચરણના સ્પર્શની ઇચ્છાથી તપ કરતી જાણીને, પ્રથમ પોતાના મિત્ર અર્જુન દ્વારા મળીને જેણે મારૂં પાણિગ્રહણ કર્યું તે ભગવાનના ઘરમાં હું વાશીદું વાળનારી છું.૧૧

મિત્રવિંદા કહે છે- લક્ષ્મીના નિવાસરૂપ જે ભગવાન, સ્વયંવરમાં આવીને રાજાઓને તથા અપકાર કરતા મારા ભાઇઓને પણ જીતી લઇ, સિંહ જેમ કુતરાઓના ટોળાંમાંથી પોતાના ભાગને લઇ જાય તેમ મને દ્વારકામાં લઇ ગયા, તે ભગવાનના ચરણ ધોવાનું કામ મને દરેક જન્મમાં મળજો.૧૨

 નગ્નજિતી કહે છે- મારા પિતાએ રાજાઓના બળની પરીક્ષા લેવાને માટે સાંઢેલા, તીક્ષ્ણ શીંગડાંવાળા, ભારે બળવાળા અને વીરપુરૂષોના દુષ્ટ અભિમાનને ઉતારનારા સાત બળદોને બાળકો જેમ બકરીનાં બચ્ચાને બાંધી લે તેમ, ભગવાને રમતાં રમતાં બાંધી લીધા હતા.૧૩

આ પ્રમાણે જે મારું મૂલ્ય પરાક્રમ જ હતું તે મને પરણી, માર્ગના રાજાઓને જીતીને મારા પિતાએ આપેલી દાસીઓ તથા ચાર અંગવાળી સેનાની સાથે મને ભગવાન દ્વારકામાં તેડી ગયા. તે ભગવાનનું દાસીપણું મને પ્રાપ્ત થજો.૧૪

ભદ્રા કહે છે- હે દ્રૌપદી ! ભગવાન શ્રીકૃષ્ણ મારા મામાના પુત્ર છે. મારું ચિત્ત એક ભગવાનમાં જ લાગેલું હતું. જ્યારે મારા પિતાને આ વાતની ખબર પડી ત્યારે સ્વયં મારા પિતાએ ભગવાનને બોલાવીને અક્ષૌહિણી સેના અને દાસીઓની સાથે મને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધી.૧૫

હું મારું પરમ કલ્યાણ એમાં જ સમજું છું, કે કર્મને અનુસારે મને જ્યાં જ્યાં જન્મ લેવો પડે, ત્યાં સર્વત્ર મને શ્રીકૃષ્ણના ચરણકમળનો સ્પર્શ પ્રાપ્ત થતો રહે.૧૬

લક્ષ્મણા કહે છે- હે દ્રૌપદી ! વારંવાર નારદજીના ગાયનમાંથી ભગવાનનાં જન્મ કર્મ સાંભળવામાં આવતાં, લક્ષ્મીજી પણ લોકપાળોને મૂકીને ભગવાનને જ વર્યાં છે. એવો વિચાર કરી મારૂં ચિત્ત પણ ભગવાનમાં જ લાગ્યું હતું.૧૭

દીકરી પર પ્રીતિ રાખનારા બૃહત્સેન નામના મારા પિતાએ મારો અભિપ્રાય જાણી શ્રીકૃષ્ણની પ્રાપ્તિને માટે ઉપાય કર્યો.૧૮

હે દ્રૌપદી ! જેમ તમારા સ્વયંવરમાં અર્જુનને આપવાની ઇચ્છાથી તમારા પિતાએ મત્સ્યવેધનું આયોજન કર્યું હતું, તેમ મારા સ્વયંવરમાં પણ મારા પિતાએ મત્સ્યવેધનું આયોજન કર્યું હતું, પરંતુ તમારા સ્વયંવરની અપેક્ષાએ મારા સ્વયંવરમાં એ વિશેષતા હતી કે, મત્સ્ય બહારથી ઢાંકેલો હતો પણ કેવળ જળમાં તેનો પડછાયો જોયામાં આવતો હતો. માટે દૃષ્ટિ નીચે અને નિશાન ઉપર હોવાથી એ મત્સ્ય કૃષ્ણ વિના બીજા કોઇથી ભેદાય એમ ન હતો.૧૯

આ વાત સાંભળી સર્વ અસ્ત્ર તથા શસ્ત્રના તત્ત્વને જાણનારા હજારો રાજાઓ પોતપોતાના ઉપાધ્યાયોની સાથે મારા પિતાના પુરમાં આવ્યા હતા.૨૦

સૌ સૌનાં પરાક્રમ અને અવસ્થા પ્રમાણે મારા પિતાએ પૂજેલા રાજાઓએ સભામાં મત્સ્યવેધ કરવા સારૂ ધનુષબાણ લીધાં, પણ સર્વેના મન મારામાં લાગવાથી વીંધી શક્યા નહીં.૨૧

કેટલાક ધનુષબાણ લઇને મૂકી દીધાં, કેટલાક ધનુષમાં દોરી જ ચઢાવી શક્યા નહીં, અને કેટલાક કાંડા સુધી દોરી ખેંચી પણ ધનુષનો ઝપાટો લાગવાથી પડી ગયા.૨૨

જરાસંધ, અંબષ્ટ, શિશુપાળ, ભીમ, દુર્યોધન, કર્ણ અને બીજા વીરલોકોએ ધનુષમાં દોરી પૂરી રીતે ચઢાવી, પણ તેઓ કોઇ મત્સ્યની સ્થિતિને જ જાણી શક્યા નહીં.૨૩

પછી અર્જુને જળમાં મત્સ્યનો આભાસ જોઇ તથા તેની સ્થિતિ પણ જાણી લઇને સાવધાનપણાથી બાણ નાખ્યું, અને તે બાણ મત્સ્યને અડયું પણ તેથી તે કપાયો નહીં.૨૪

આ પ્રમાણે અભિમાની ક્ષત્રિયો માનભંગ પામીને અટકતાં શ્રીકૃષ્ણે ધનુષ લઇ દોરી ચઢાવી તથા લીલામાત્રથી તેમાં બાણ ચઢાવીને મધ્યાહ્ન કાળના અભિજીત મુહૂર્તમાં એકવાર જળમાં મત્સ્ય જોઇને તેને બાણથી કાપીને પાડી દીધો.૨૫-૨૬

આ સમયમાં પૃથ્વી અને સ્વર્ગમાં દુંદુભિ વાગવા લાગ્યાં અને જય જય શબ્દો થવા લાગ્યા. હર્ષથી વિહ્વળ થયેલા દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા.૨૭

પછી નવાં ઉત્તમ રેશમી વસ્ત્ર પહેરી અને ચોટલામાં માળાઓ ગુંથીને લાજ સહિત હસતા મોઢાવાળી હું સુવર્ણની ઉત્તમ રત્નોવાળી માળા હાથમાં લઇને ઝાંઝરના ઝમકારાવાળા પગથી તે સભામંડપમાં આવી.૨૮

જે મારા હૃદયમાં પ્રેમ હતો, તે મેં ઘણા કેશવાળું અને કુંડળથી શોભી રહેલા ગાલવાળું મોઢું ઉંચું કરી તથા શીતળ હાસ્ય સહિત કટાક્ષોથી ચારેકોર ધીરે ધીરે રાજાઓને જોઇને શ્રીકૃષ્ણના ગળામાં પોતાની માળા પહેરાવી.૨૯

તેટલી વારમાં મૃદંગ, પટહ, શંખ, ભેરી અને આનક આદિ વાજાં વાગવા લાગ્યાં, નટ અને નર્તકીઓ નાચવા લાગી, અને ગવૈયાઓ ગાવા લાગ્યા.૩૦

હે દ્રૌપદી ! આ પ્રમાણે હું પ્રભુ શ્રીકૃષ્ણને વરતાં, સ્પર્ધા કરનારા અને કામદેવથી પરવશ થએલા મોટા મોટા રાજાઓ તે વાતને સહન કરી શક્યા નહીં.૩૧

એટલી વારમાં ચાર ઉત્તમ ઘોડાથી જોડેલા રથમાં મને બેસાડી, બે હાથથી મારૂં આલિંગન કરી અને બે હાથથી ધનુષબાણ લઇ શ્રીકૃષ્ણ યુદ્ધમાં સજ્જ થઇ ગયા.૩૨

દારૂક સારથીએ સોનાના સામાનવાળો રથ હાંક્યો. મૃગો જોઇ રહેતાં જેમ સિંહ ચાલ્યો જાય, તેમ રાજાઓના દેખતાં ભગવાન ચાલ્યા ગયા.૩૩

કેટલાક રાજાઓ ધનુષ ઉપાડીને જેમ કૂતરા સિંહની પછવાડે દોડે, તેમ ભગવાનને રોકવા સારૂ તેમની પછવાડે દોડયા, અને કેટલાક રાજાઓ આગળથી જઇને માર્ગમાં સજ્જ થઇ ગયા.૩૪

શારંગ ધનુષમાંથી નીકળેલા બાણોના સમૂહોથી જેઓના હાથ, પગ અને ગળાં કપાઇ ગયાં, એવા તે રાજાઓ યુદ્ધમાં પડી ગયા અને કેટલાક યુદ્ધ મૂકીને ભાગી ગયા.૩૫

પછી સૂર્ય જેમ અસ્તાચળમાં જાય તેમ શ્રીકૃષ્ણ બહુજ શણગારેલી, પૃથ્વીમાં તથા સ્વર્ગમાં વખણાએલી, સૂર્યને ઢાંકનાર ધ્વજાવાળી અને વિચિત્ર તોરણોવાળી પોતાની દ્વારકા નગરીમાં પધાર્યા.૩૬

મારા પિતાએ ઘણાં મૂલ્યનાં વસ્ત્ર, અલંકાર, શય્યા, આસન અને બીજા સામાનોથી, મિત્રો, સંબંધીઓ અને બાંધવોની પૂજા કરી.૩૭

શ્રીકૃષ્ણ પૂર્ણ છે તોપણ તેમને ભક્તિને લીધે દાસીઓ, સર્વ પ્રકારની સંપત્તિઓ, યોદ્ધા, હાથી, રથ, ઘોડા અને સર્વોત્તમ આયુધો આપ્યાં.૩૮

આ અમે આઠજણી સર્વ સંગની નિવૃત્તિ અને તપના પ્રભાવથી તે આત્મારામ સાક્ષાત્ શ્રીકૃષ્ણના ઘરની દાસીઓ થએલી છીએ.૩૯

સોળહજાર અને એકસો સ્ત્રીઓ કહે છે- નરકાસુરે દિગ્વિજયમાં જીતી લીધેલા રાજાઓની કન્યાઓ અમોને નરકાસુરે પોતાના મહેલમાં કેદ કરેલી હતી, અને અમો સંસારથી છોડાવનારા ભગવાનના ચરણારવિંદનું સ્મરણ કરતી હતી, આ વાતને જાણીને શ્રીકૃષ્ણ ભગવાન પોતે પૂર્ણકામ છતાં પણ યુદ્ધમાં પરિવાર સહિત નરકાસુરને મારી નાખીને પરણ્યા છે.૪૦

હે દ્રૌપદી ! અમે ચક્રવર્તિપણાને, ઇંદ્રપદવીને, તે બન્ને પ્રકારના વૈભવને , અણિમાદિ સિદ્ધિઓને, બ્રહ્માની પદવીને, સાલોક્યાદિક મુક્તિઓને અથવા કૈવલ્યમોક્ષને પણ ઇચ્છતી નથી; પરંતુ લક્ષ્મીજીના સ્તન ઉપર લગાવેલાં કેસરની સુગંધવાળી એ ભગવાનની સર્વોત્તમ ચરણરજને જ માથે ધરવાને ઇચ્છીએ છીએ.૪૧-૪૨

મહાત્મા છતાં પણ ગાયો ચારતા ભગવાનના ચરણની રજને ગોપીઓ, ભીલડીઓ, ખડ અને લતાઓ જેમ ઇચ્છે, અને ગોવાળો પણ જેમ તેમના ચરણના સ્પર્શને ઇચ્છે છે, તેમ અમે પણ ઇચ્છીએ છીએ.૪૩