પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ષટ્ત્રિંશઃ પ્રકાર ૩૬

દોહા -
વળી શ્રીહરિ કે' સહુ સાંભળો, બહુ બહુ બનાવ્યાં મંદિર ।
અનેક જીવ ઉદ્ધારવા, કર્યું કામ ૧અનામ અચિર ।।૧।।
સુંદર મંદિર સારાં થયાં, સ્થાપી મૂરતિયો મનોહર ।
પણ મદનમોહન મારા મનમાં, અતિ સારા લાગેછે સુંદર ।।૨।।
નાનો દેશ નિરસ અતિ, દેહાભિમાનિને દુઃખરૂપ ।
તિયાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટરૂપ ।।૩।।
માટે મારે એ મંદિરપર, ઘણું ઘણું રહેછે હેત ।
ધન્ય ધન્ય એહ સંતને, જે ઇયાં રહે કરી પ્રીત ।।૪।।

ચોપાઇ -
મારે વચને જે ઇયાં રહેછેરે, સુખ દુઃખ શરીરે સહેછેરે ।
એક મને કરવાને રાજીરે, નથી રાખી શરીરશું ૨સાજીરે ।।૫।।
એહ સંત બીજા સંત જેહરે, બરોબર માનું કેમ તેહરે ।
હોય બરોબર બેહુ જ્યારેરે, ત્યારે ૩તમ ઘણું ઘેર મારેરે ।।૬।।
પણ એમ જાણશો માં કોયરે, જેહ ત્યાગ વા'લો મને નોયરે ।
માટે સે'જે સે'જે તપ થાયરે, એવું છે જો એ મંદિર માંયરે ।।૭।।
એહ સંતને જમાડશે જેહરે, મોટા સુખને પામશે તેહરે ।
બીજા જક્તના જમાડે ક્રોડયરે, તોયે આવે નહિ એની જોડયરે ।।૮।।
એને પૂજી ઓઢાડે અંબરરે, વળી પાયે લાગે જોડી કરરે ।
તેતો જન જાયે બ્રહ્મમો'લરે, સત્ય માનજો છે મારો કોલરે ।।૯।।
જેહ જન મારા રાજીપામાંરે, રહે હાથ જોડી ઉભા સામારે ।
એથી સંત બીજા કોણ સારારે, એવા સંત લાગે મને પ્યારારે ।।૧૦।।
દેહાભિમાની તો દિઠા ન ગમેરે, જે કોઇ ભક્તિથી ભાગતા ભમેરે ।
એમ શ્રીમુખે કહે વળી વળીરે, સત્ય લખ્યું જાણજો સાંભળીરે ।।૧૧।।
જેવો સંતનો કર્યો સતકારરે, તેવો મૂરતિમાં છે ચમત્કારરે ।
જેહ દિનથી બેઠી એ મૂરતિરે, તેહ દિનથી થયું સુખ અતિરે ।।૧૨।।
શે'રમાં પણ થયો સમાસરે, દેશી પ્રદેશી વસ્યા કરી વાસરે ।
જિયાં હતાં વાંસડાનાં ઘરરે, તિયાં થઇ હવેલિયો સુંદરરે ।।૧૩।।
તેતો મદનમોહન પ્રતાપરે, સહુ સુખિયાં થયાં છે આપરે ।
તેતો જાણે છે પોતાના જનરે, બીજાને તો મનાય નહિ મનરે ।।૧૪।।
પણ જાણે અજાણે જે જનરે, કરશે મદનમોહનનાં દર્શનરે ।
તેતો આલોક પરલોક માંઇરે, મોટા સુખને પામે સદાઇરે ।।૧૫।।
જાણે અજાણે લેશે જે નામરે, તેતો જન છે પૂરણકામરે ।
ભાવ સહિત કરશે ભજનરે, તેનું બ્રહ્મમો'લે છે સદનરે ।।૧૬।।
તેહ સારૂં છે ધોલેરે ધામરે, બહુ જીવનું કરવા કામરે ।
દેશી પ્રદેશી આવી ત્યાં બહુરે, કરે હરિનાં દર્શન સહુરે ।।૧૭।।
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણરે, આવે ત્યાંથી તણાઇ તતક્ષણરે ।
સો સો જોજનથી આવે જનરે, કરે મદનમોહનનાં દર્શનરે ।।૧૮।।
તેતો અવિચળ ધામમાં આપેરે, જાશે પ્રગટ પ્રભુ પ્રતાપેરે ।
તેમાં સંશય કરશો માં કોયરે, હરિ ધારે તે શું ન હોયરે ।।૧૯।।
માટે એ મૂરતિ દ્વારે કરીરે, જાશે બહુ જીવ ભવ તરીરે ।
તેહ સારૂં કર્યું છે મહારાજેરે, અમૃતપદ પમાડવા કાજેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ષટ્ત્રિંશઃ પ્રકારઃ ।।૩૬।।