દોહા -
વળતું વાલમે વિચારિયું, આંહિ મંદિર કરીએ એક ।
માંહિ બેસારિયે મૂરતિ, અતિ સારી સહુથી વિશેક ।।૧।।
ગઢડે મહારાજ ઘણું રહ્યા, એમ જાણે છે સહુ જન ।
માટે મંદિર કરાવિએ, મર આવી કરે દરશન ।।૨।।
મૂરતિ દ્વારે મનુષ્યનું, થાશે કોટિનું કલ્યાણ ।
એહ ઉત્તમ ઉપાય છે, એમ બોલિયા શ્યામ સુજાણ ।।૩।।
સુણી સંત રાજી થયા, રાજી થયા સહુ હરિજન ।
પછી મોટું મંદિર કરાવવા, અતિ ઉતાવળું ભગવન ।।૪।।
ચોપાઇ -
કર્યું ખાત મુહૂર્ત હરિ હાથેરે, તિયાં હું પણ હતો સંગાથેરે ।
નાખી નાથે પાયો નકિ કર્યુંરે, એમ આપે મંદિર આદર્યુંરે ।।૫।।
હાં હાં કરતાં થયું તૈયારરે, વળી ઘણી લાગી નહિ વારરે ।
કર્યું મોટું મંદિર બે માળરે, કરાવિયું હેતેશું દયાળરે ।।૬।।
થયું મંદિર પુરૂ જે વારરે, માંહિ મૂરતિ પધરાવી તે વારરે ।
ગુણ સાગર જે ગોપીનાથરે, તેતો પધરાવ્યા પોતાને હાથરે ।।૭।।
રાધા સહિત શોભે અતિ સારારે, જે જુવે તેને લાગે પ્યારારે ।
એતો વાસુદેવ ભગવાનરે, જે જુવે તે થાય ૧ગુલતાનરે ।।૮।।
એ જે ગોપીનાથની મૂરતિરે, એતો સુંદર શોભે છે અતિરે ।
એવી મૂરતિ એમ પધરાવીરે, સુંદર મંદિર સારૂં બનાવીરે ।।૯।।
બાંધ્યું ધામ શ્યામે સહુ કાજરે, મે'ર કરીને પોતે મહારાજરે ।
૨કંક દેશનું કરવા કલ્યાણરે, કર્યું કામ એ શ્યામ સુજાણરે ।।૧૦।।
જેજે જન કરે દરશનરે, મૂરતિ જોઇ થાયે મગનરે ।
કરે દંડવત પરણામરે, તેતો પો'ત્યા છે પરમ ધામરે ।।૧૧।।
વળી મન કર્મ ને વચનેરે, નિરખ્યા ગોપીનાથ જે જનેરે ।
તેતો પામશે અક્ષરધામરે, થાશે જન તે પૂરણકામરે ।।૧૨।।
એમ દયા કરીને દયાળેરે, કર્યાં કલ્યાણ બહુનાં આ કાળેરે ।
કોઈ ભાવ અભાવે આજ ભજેરે, આવે હરિ તેડવા તન તજેરે ।।૧૩।।
ભાવે કરી કરે જે ભગતિરે, તેતો પામે પરમ પ્રાપતિરે ।
અન્ન ધન વાહન વસનેરે, વાસણ ભૂષણાદિ પૂજ્યા જનેરે ।।૧૪।।
ફળ ફુલ આદિક જેહરે, હેતે કરી આપે જન તેહરે ।
કુસુમ હાર તોરા ને ગજરારે, બાજુ કાજુ કુંડળ ગુછ ખરારે ।।૧૫।।
આપી નાથને જોડીયા હાથરે, તેતો થઈ ચુક્યા છે સનાથરે ।
થાય સેવા તે સર્વે જો રીતેરે, કર્યું જન હેતે પોતે પ્રીતેરે ।।૧૬।।
કર્યું કામ એ મોટું મહારાજેરે, સહુ જીવના કલ્યાણ કાજેરે ।
એમ બહુ બહુ કર્યા ઉપાયરે, જીવ લઇ જાવા ધામમાંયરે ।।૧૭।।
તેનો આગ્રહ છે આઠુ જામરે, નથી પામતા પળ વિશરામરે ।
જાણે બાંધી ધામ ઘણાં ઘણાંરે, કરૂં બાર અપાર મોક્ષતણાંરે ।।૧૮।।
ચાર વર્ણ ને આશ્રમ ચારરે, સહુ પામે ભવજળ પારરે ।
મારો આવવાનો અર્થ શિયોરે, જ્યારે જીવને સંકટ રિયોરે ।।૧૯।।
ગઢપુર મંદિરથી અપારરે, કૈક જીવનો કર્યો ઉદ્ધારરે ।
ખાયે પીયે રહે ખુશી રમેરે, આવે નાથ તેડવા અંત સમેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ત્રિંશત્તમઃ પ્રકારઃ ।।૩૦।।