પૂર્વછાયો-
ત્યાર પછી જે જે કર્યું, કહું સાંભળજ્યો સહુ સંત । થોડે ઘણે દને કરી, રૂડો વરત્યો ઋતુ વસંત ।।૧।।
સુંદરિયાણે શિરોમણિ, સતસંગી શેઠ સુજાણ । જક્ત વિરક્ત ભક્ત ભલા, કરૂં તેનાં શું હું વખાણ ।।૨।।
ચોપાઇ-
ધન્ય ભક્ત જક્તથી ઉદાસી, ત્રોડી સહુશું ભજ્યા અવિનાશી । એવી સાચી ભગતી સાંભળી, સર્વે સગાં કુટુંબી ઉઠયાં બળી ।।૩।।
કહે આપણે વૈષ્ણવી જન, કરીયે વલ્લભ કુળનું ભજન । તેહમાંહિ તે ન્યૂન શું દિઠું, જે નવા ધર્મમાં મન બેઠું ।।૪।।
પછી સતસંગી બોલ્યા છે તૈયે, નવો ધર્મ એને કેમ કહીયે । એતો ધર્મ છે જુનો અનાદ્ય, સહુ વર્તે છે શાસ્ત્રમર્યાદ ।।૫।।
આપણાનું તો નથી ઠેકાણું, તમે જાણો ને હું પણ જાણું । કામ ક્રોધ લોભ મોહ વળી, તેણે સહુને મૂક્યા છે ગળી ।।૬।।
ગીતામાં જે કહ્યાં નરકદ્વાર, તેમાં વરતે એ તદાકાર । માટે એમાં તે કાંઇ ન દીઠું, ત્યારે સત્સંગમાં મન બેઠું ।।૭।।
એવું સાંભળી સગાં કુટુંબ, સર્વે મળીને ખાધા છે સમ । એને આપણે નહિ વેવાર, આજથી એ કરો નાત્ય બહાર ।।૮।।
તેને વીતિ ગયાં ષટ વર્ષ, તોય મેલ્યો નહિ અમરષ । ગયા સુધામે તેહનો તાત, ત્યારે ન તેડિ નોતરે નાત ।।૯।।
પછી આવ્યા છે પ્રભુજી પાસ, શેઠ વનો પુંજો હરિદાસ । આવી કરી હરિને વિનતિ, પ્રભુ પધારિયે પ્રાણપતિ ।।૧૦।।
સર્વે સંગ લઇ મુનિ સાથ, સખા સહિત પધારિયે નાથ । પછી સંત સંગે લઇ શ્યામ, હરિ આવ્યા સુંદરિયાણે ગામ ।।૧૧।।
સર્વે અયોધ્યાવાસી છે સંગે, પ્રભુ પધાર્યા અતિ ઉમંગે । ગાતે વાતે તેડી લાવ્યા ઘેર, કરી સેવા સારી બહુપેર ।।૧૨।।
સુંદર ભોજન વ્યંજન કરી, અતિ હેતે જમાડિયા હરિ । પછી મોતૈયા મોદક લઇ, નાથે જન જમાડિયા જઇ ।।૧૩।।
બહુ બહુ કરી મનુવાર, ફર્યા પંગત્યમાં પંચવાર । એમ નિત્યે જમાડે છે નાથ, જમે જન તે હરિને હાથ ।।૧૪।।
બહુ બહુ દિયે દરશન, અતિ અલબેલો છે પ્રસન્ન । બહુ પ્રશ્ન ને ઉત્તર થાય, સંત રમે રાસ ગીત ગાય ।।૧૫।।
પછી આવી વસંત પંચમી, સુખદાયક સહુને ગમી । લાવ્યા રંગ સો રંગ ગુલાલ, લઇ ત્રાંસળી ઉઠીયા લાલ ।।૧૬।।
નાખે રંગ રમે સખા સાથ, અતિ આપે રંગાણા છે નાથ । પછી લઇ ગુલાલની ઝોળી, ફેંકે ફાંટું રમે હરિ હોળી ।।૧૭।।
રંગે રમીને આવ્યા ઉતારે, આપ્યાં વસ્ત્ર જનને તે વારે । આપે જમીને જન જમાડયા, અતિ દાસને હર્ષ પમાડયા ।।૧૮।।
એમ ઉત્સવ કરી દયાળ, આવ્યા મહારાજ તે ભેંશજાળ । રહી રાત્ય પધારિયા શ્યામ, આવ્યા નાગડકે લોયે ગામ ।।૧૯।।
ત્યાંથી બોટાદ આવ્યા બહુનામી, જમ્યા સંત પોતે વળી સ્વામી । પછી આવ્યા ગઢડે ગોવિંદ, આપી સહુ જનને આનંદ ।।૨૦।।
ત્યાર પછી થોડે ઘણે દન, ચાલ્યા ગુર્જરદેશે જીવન । કરી મજલે મજલે મુકામ, ચાલ્યા સુખમાં સુંદર શ્યામ ।।૨૧।।
આવ્યા અમદાવાદ દયાળ, સંગે જન સમૂહ મરાળ । આવ્યા સત્સંગી સહુ સમૈયે, બની શોભા જાય નહિ કૈયે ।।૨૨।।
બહુવિધનાં વાજાં ત્યાં વાજે, આવ્યાં લોક દરશન કાજે । ચારે આશ્રમ ને વર્ણ ચાર, આવ્યાં દરશને નર નાર ।।૨૩।।
ગાતેવાતે પધાર્યા મહારાજ, કૈક જનનાં કરવા કાજ । આવી ઉતર્યા મંદિરમાંઇ, નરનારાયણ રાજે ત્યાંઇ ।।૨૪।।
સતસંગી સાંખ્યયોગી સંત, ઉતર્યા ભક્ત ને ભગવંત । કર્યાં સુંદર સારાં ભોજન, જમ્યા જનને ભાવે જીવન ।।૨૫।।
પછી પોઢિયા જીવનપ્રાણ, જાગ્યા સુખે સવારે સુજાણ । જાગ્યા પ્રભુજી પ્રભાત કાળે, કર્યો નિત્યવિધિ ત્યાં દયાળે ।।૨૬।।
પછી ચોતરે પાટ ઢળાવી, તેહ ઉપર બેઠા છે આવી । જોયું અમૃતદૃષ્ટિએ આપ, હર્યા જનતણા તન તાપ ।।૨૭।।
પછી જન પ્રભુપૂજા કાજ, લાવિયા બહુવિધ સમાજ । તેણે પૂજીયા પ્રાણઆધાર, કંઠે આરોપ્યા સુંદર હાર ।।૨૮।।
ઘેરી સુગંધે ગુલાબફુલ, તોરા ગજરા તેના અમૂલ્ય । તે લઇ અર્પ્યા છે હરિને અંગે, પછી પાય લાગ્યા છે ઉમંગે ।।૨૯।।
એમ લીયે લાવો વળી જન, દિયે દન સારો દરશન । વળી આવે છે પુરના જન, કરવા કૃપાનિધિનાં દર્શન ।।૩૦।।
કૈક આવીને પુછે છે પ્રશન, તેનો ઉત્તર આપે જીવન । સુણી ઉત્તર મગન થાય, પામી આશ્ચર્ય ને ઘેર જાય ।।૩૧।।
એમ લીળા કરે અલબેલો, રંગ રસિયો છેલછબિલો । પહેરી વસ્ત્ર અનૂપમ અંગી, શિરપાઘ વસંતિ સોરંગી ।।૩૨।।
એવાં દર્શન દિયે દયાળ, નિર્ખિ મગન જન મરાલ । એમ કરતાં સાત દન ગયા, આવ્યો હુતાસની દન તિયાં ।।૩૩।।
પછી મંગાવ્યા રંગ સોરંગ, કેશું કસુંબી રંગ પતંગ । લાવ્યા સખા આપ્યો હરિ હાથે, નાથે ઢોળ્યો સહુ સખા માથે ।।૩૪।।
નાખ્યો ઉપરે રંગ ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ । જેમ ફુલ્યું કમળદળ વળી, તેમ શોભે છે સંતમંડળી ।।૩૫।।
ડોડો કમળ મધ્યે દયાળ, ફરતિ પાંખડી શોભે મરાલ । એમ ખેલે સખા સંગે નાથ, નિર્ખિ જન થયા છે સનાથ ।।૩૬।।
વાજે વાજીંત્ર ત્યાં અપાર, બોલે જય સહુ નરનાર । પછી નાવાને ચાલિયા નાથ, સર્વે સખા જન લઇ સાથ ।।૩૭।।
નાહી મહારાજ મોટેરે ગયા, દઇ દરશન તર્ત આવિયા । આવી બેઠા છે ઉંચે આસન, દિયે સહુ જનને દર્શન ।।૩૮।।
એમ કરતાં વીતિ છે રાત, સુખે પોઢી જાગ્યા પરભાત । કરી દાતણ નાહ્યા દયાળ, જમ્યા જન હેતે હરિ થાળ ।।૩૯।।
પછી જમાડીયા જન સોઇ, હતી ઘેબરની તે રસોઇ । ફર્યા પંગતમાં પાંચવાર, બહુ બહુ કરી મનુવાર ।।૪૦।।
એમ આનંદે ઉત્સવ કરી, પછી ત્યાંથી પધારિયા હરિ । આવ્યા અસલાલીયે મહારાજ, સંગે હરિજન મુનિરાજ ।।૪૧।।
કર્યાં સુંદર સારાં ભોજન, જમ્યા નાથ જમાડીયા જન । ધન્ય ધન્ય ભક્ત વેણીભાઇ, જેની પ્રીત અતિ પ્રભુમાંઇ ।।૪૨।।
તેના મનોરથ પૂરા કરી, પછી ત્યાંથકી ચાલિયા હરિ । ગામ જેતલપુરમાં જન, ભક્ત આસજી આદિ પાવન ।।૪૩।।
તેને ઘેર પધાર્યા ગોવિંદ, સંગે સખા લઇ જનવૃંદ । તિયાં ભક્તે કરાવ્યાં ભોજન, જમ્યા નાથ સાથે સખાજન ।।૪૪।।
પછી સાથે લઇ સર્વે સમાજ, આવ્યા મેમદાવાદ મહારાજ । રહિ રાત્ય આવ્યા વરતાલ, કરવા લીળા અલૌકિક લાલ ।।૪૫।।
હતો ઉત્સવ આડો પક્ષ એક, રાખ્યા સંત કરી દયા નેક । નિત્ય દિયે દરશન દાન, બહુ ભાવે કરી ભગવાન ।।૪૬।।
થાય પ્રશ્ન ને ઉત્તર અતિ, સુખ આપે સુખમય મૂરતિ । કહે જેને મળ્યા ભગવાન, તેને કોઇ ન વ્યાપે વિઘન ।।૪૭।।
જેમ વેજુ વસુધાનું કરે, તેની ચોટ પાછી નવ ફરે । તેમ પ્રભુને મળતાં જન, રહેવું સદાય નિઃશંક મન ।।૪૮।।
એવી વાતો કરે બહુબહુ, સુણી મગન થાય જન સહુ । પછી આવ્યો ઉત્સવનો દન, આવ્યાં દરશને બહુ જન ।।૪૯।।
રામનવમી ને એકાદશી, કર્યા ઉત્સવ હેતે હુલસી । કર્યા વિપ્રે વેદના ઉચ્ચાર, હોમ્યા કુંડે હવિષ્યાન્ન સાર ।।૫૦।।
વેદ વિધિયે ઉત્સવ કરી, આપ્યાં દાન પછી હર્ષ ભરી । ઘોડી પલાણ ચર્મ ને અસિ, આપી પાડી સહીત મહિષી ।।૫૧।।
ધેનુ સવત્સિ ઓઢાડી ઝુલ્ય, આપ્યાં વસ્ત્ર કસુંબી અમૂલ્ય । સોના દોરો ને પોશ રૂપૈયા, લઇ દ્વિજ રાજી બહુ થયા ।।૫૨।।
એમ ઉત્સવ આનંદે કરી, પછી ત્યાં થકી પધાર્યા હરિ । આવ્યા પાંચાળ દેશમાં નાથ, સર્વે લઇ નિજજન સાથ ।।૫૩।।
આવીતી બ્રહ્માનંદને ભાગ, તેહ ઉપાધિ કરાવી ત્યાગ । નિરબંધનું બંધન કાપી, નિજ સમીપની સેવા આપી ।।૫૪।।
કર્યા સુખી તે સુખરાશી, ચૈત્રશુદિ સુંદર એકાદશી । તેદિ ઉત્સવ કર્યો અવિનાશી, કરી લીળા તે કહી પ્રકાશી ।।૫૫।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે જેતલપુર થઇને વરતાલ પધાર્યા ને ત્યાં રામનવમીનો ઉત્સવ કર્યો એ નામે અઠ્ઠાણુંમું પ્રકરણમ્ ।।૯૮।।