પૂર્વછાયો-
ચાલ્યા પછી ગઢડા થકી, સંઘ લઇને સુંદર શ્યામ । ભક્ત ભાવિક બોટાદમાં, રહ્યા રાત્ય એક એહ ઠામ ।।૧।।
ચોપાઇ-
પછી ત્યાંથી ચાલ્યા સંઘસાથ, આવ્યા સુંદરીયાણે શ્રીનાથ । જમી જન જીવન સધાવ્યા, જઇ વાગડ અણિયાળિ આવ્યા ।।૨।।
રહે જસકે રોજકે જન, દીધાં દયાળે તેને દર્શન । પછી રહ્યા કમિયાળે નાથ, જાણી જખમ જનનો હાથ ।।૩।।
જમી બોરુ રહ્યા ગળિયાણે, આવ્યા વરતાલમાં સંધ્યા ટાણે । દીધાં દાસને દર્શન દાન, નિરખ્યા જને ભાવે ભગવાન ।।૪।।
પછી જન બોલ્યા જોડી હાથ, ભલે આવ્યા અનાથના નાથ । બહુ દિનના હતા પિયાસી, દીધાં દર્શન આજ અવિનાશી ।।૫।।
એમ કહી બેઠા સન્મુખ, નાથ નિરખી નિગમ્યાં દુઃખ । જને રસોઇ કરાવી ભલી, જમ્યા તેમાંથી નાથ રોટલી ।।૬।।
પાસે હતા મુનિ બે મરાળ, આપ્યો અલબેલે તેને થાળ । પછી પોઢિયા પ્રાણજીવન, જાગ્યા બ્રાહ્મમુહૂર્તે ભગવન ।।૭।।
કરી દાતણ ને સ્નાન કીધાં, પછી દાસને દર્શન દીધાં । પછી શ્રીનારાયણની મૂર્તિ, જોઇ વખાણી છે વળી અતિ ।।૮।।
પછી વડોદરા થકી જન, આવ્યા હતા કરવા દર્શન । તેના સંઘમાં જઇને શ્યામ, દઇ દર્શન ને પુરી હામ ।।૯।।
પછી જને કરાવ્યાતા થાળ, જમ્યા દયા કરીને દયાળ । પછી શાલ દુશાલ અંગરખી, હાથે પહેરાવ્યાં હરિને હરખી ।।૧૦।।
ધૂપ દીપ ઉતારી આરતિ, પછી કરજોડી કરી વિનતિ । ભલે પ્રકટયા પ્રાણઆધાર, અમ જેવાનો કરવા ઉધાર ।।૧૧।।
આજ સુફળ થયો જનમ, મળ્યા પ્રગટ પુરૂષોત્તમ । હવે છીએ તમારા હો નાથ, કુળ કુટુંબ અમે સહુ સાથ ।।૧૨।।
પછી નાથ કહે નિર્ભય રહીએ, છો અમારાં ઝાઝું શું કહીએ । કહી એટલું ચાલિયા નાથ, ગયા ચોતરે સહુ જનસાથ ।।૧૩।।
તિયાં કર્યા ઉત્તર પ્રશન, સુણી સહુ જન થયા મગન । એવી વાત કરી અવિનાશે, સુણી અતિ હેતે કરી દાસે ।।૧૪।।
એવી વાત થાય નિત્ય નિત્ય, સાંભળે જન દઇ મનચિત્ત । સારા સુંદર વરષમાંય, કાર્તિકસુદિ દ્વાદશી કહેવાય ।।૧૫।।
તેદિ મુહૂર્ત જોઇ શુભ અતિ, સ્થાપી શ્રીનારાયણની મૂરતિ । વેદ વિધિ કરી વિપ્રજને, પધરાવ્યા પ્રભુ શુભ દને ।।૧૬।।
લક્ષ્મીનારાયણ સુખદાય, સ્થાપ્યા મધ્યના મંદિરમાંય । ભક્તિ ધર્મ પોતાનું સ્વરૂપ, સ્થાપ્યું ઉત્તર ડેરે અનૂપ ।।૧૭।।
રાધા ને વૃંદાવનવિહારી, પાસે પોતાની મૂરતિ સારી । કર્યો દક્ષિણ ડેરામાં સ્થાપ, નિજજનના ટાળવા તાપ ।।૧૮।।
તીયાં વરત્યો છે જયજયકાર, ધન્યધન્ય બોલે નરનાર । પછી જમાડિયા વિપ્રજન, આપ્યાં મનવાંછિત ભોજન ।।૧૯।।
દીધિ દક્ષિણા વસ્ત્ર રૂપૈયા, તેણે વિપ્ર રાજી મન થયા । પછી પાંચ દિવસ પોતે રહ્યા, ત્યાંથી વસોયે વાલો આવિયા ।।૨૦।।
વસે વસોમાંહિ જન ઘણાં, સર્વે પ્યાસી પ્રભુદર્શનતણાં । તેને ઘરો ઘર જઇ નાથ, દઇ દર્શન કર્યાં સનાથ ।।૨૧।।
પછી સંગે હતા મુનિજન, તેને કાજે કર્યાંતાં ભોજન । તેતો પિરશિયાં પોતે વળી, જમાડી સહુ સંત મંડળી ।।૨૨।।
પછી ઘોડે થયા અસવાર, કર્યો મુનિને નમસ્કાર । મુનિ રહેજ્યો આનંદમાં તમે, મળશું વેલા વેલા વળી અમે ।।૨૩।।
એમ કહી ચાલ્યા ભગવાન, સર્વે સંત થયા શોકવાન । અહો બહુદિન રાખ્યા સાથ, આજ ગયા વિજોગીને નાથ ।।૨૪।।
અહો નિત્યે થાતાં દર્શન, એક હતા એવા પણ દન । આજ મૂકીને ચાલ્યા મોહન, હવે ક્યારે થાશે દર્શન ।।૨૫।।
એમ કહી અકળાણા અતિ, પછી અંતરે ધારી મૂરતિ । થયા સચેત સહુ મુનેશ, ગયા ફરવા દેશપ્રદેશ ।।૨૬।।
તેદિ જમતા પાનબીડી નાથ, તે જમાડતો હું મારે હાથ । ત્યાંથી આવ્યા વટામણ ગામ, રહ્યા રાત ત્યાં સુંદરશ્યામ ।।૨૭।।
જમી જાખડેથી કમિયાળે, દીધાં દર્શન જનને દયાળે । રહી રાત ચાલ્યા ત્યાંથી નાથ, લઇ મુક્તાનંદજીને સાથ ।।૨૮।।
ગાંફ ખડર્ય ઝિંઝર રહ્યા જાણી, ત્યાંથી કુંડળ ને કારીયાણી । પછી આવ્યા ગઢડે મહારાજ, કરી અલબેલો એહ કાજ ।।૨૯।।
તિયાં રહ્યા રાજી થઇ આપે, દિયે દર્શન ને દુઃખ કાપે । જન જમાડે પ્રભુને પ્રીત્યે, જમે પાનબીડી પોતે નિત્યે ।।૩૦।।
જમ્યા પાન દિન પંચવિશ, પછી ન જમીયા જગદીશ । ત્યાર પછી રહ્યા દિન દશ, લિધા અભાગિયે અપજશ ।।૩૧।।
પછી દુષ્ટની દુષ્ટતા જાણી, પ્રભુ પધારિયા કારિયાણી । તિયાં રહ્યા દન દોયચાર, પછી આવ્યા ગઢડા મોઝાર ।।૩૨।।
ગઢડામાં રહે ઘણું ઘણું, ધન્ય ભાગ્ય એ ભૂમિકાતણું । એક રહી ગઇ વાત અનૂપ, સુણ્યા સરખી છે સુખરૂપ ।।૩૩।।
આગે આવ્યાંતાં અયોધ્યાવાસી, તેની વાત મેં નોતિ પ્રકાશી । તેહ હવે કહું છું વિસ્તારી, સુણી સુખ પામે નરનારી ।।૩૪।।
અનુક્રમે મળી કે ન મળી, પણ કહેવી છે વાત સઘળી । રામપ્રતાપ ને ઇચ્છારામ, તેતો રહ્યા હતા નિજધામ ।।૩૫।।
તિયાં સંતે વાત જઇ કરી, તમારે ઘેરે પ્રકટયા હરિ । કહી એંધાણી સહિત વાત, આવી પ્રતીતિ થયા રળિયાત ।।૩૬।।
એવું સુણી ચાલ્યાં તતકાળ, વૃધ્ધ જોબન ને નાનાં બાળ । સંગે લઇ અશ્વ ને પાલખી, આવ્યાં સહજમાં ન થયાં દુઃખી ।।૩૭।।
પશ્ચિમ ખંડમાં પંચાળ દેશ, જીયાં હરિ વિચરે હમેશ । કાજુ ગામ વરતાલ જાણી, પોતે હતા ત્યાં સારંગપાણી ।।૩૮।।
તિયાં આવ્યાં અયોધ્યાનાં વાસી, સામા જઇ મળ્યા અવિનાશી । કાર્તિક માસ શુદી ચતુરથી, તેદિ આવ્યાં અયોધ્યાપુરથી ।।૩૯।।
આવ્યાં અયોધ્યાવાસી એ દન, કર્યાં મહારાજનાં દરશન । મળી લળી લાગ્યાં સહુ પાય, ચાલ્યાં નીર તે નયણમાંય ।।૪૦।।
કરી રૂદન ચરણ ન મૂકે, આંખ્યમાંહિથી આંસુ ન સૂકે । હેતે હિબસે વિયોગ દુઃખે, ભાંગ્યા અક્ષર બોલેછે મુખે ।।૪૧।।
હે મહારાજ આવું કેમ કીધું, ચાલ્યા ફરીને દર્શન ન દીધું । જેમ દર્શન ન દીધું દયાળ, તેમ પાછી ન લિધી સંભાળ ।।૪૨।।
શિયો વાંક અમારો હો નાથ, ચાલ્યા અમને કરી અનાથ । વાલા તમે અમને વિસાર્યાં, અમે વિલખિ વિલખિ હાર્યાં ।।૪૩।।
તમે ચાલ્યા ત્યાંથી જગદીશ, તેને વર્ષ થયાં અઠયાવિશ । તેમાં એક સંદેશો ન કહાવ્યો, એવડો શિયો અભાવ આવ્યો ।।૪૪।।
હશે વાંક વાલાજી અમારો, એમાં દોષ નથી જો તમારો । હશે અપરાધ અમારા નાથ, જોશો માં એમ કહી જોડયા હાથ ।।૪૫।।
નાથ કહે નથી દોષ તમારો, છે સ્વભાવ એવો જ અમારો । જીયાં રહીએ તિયાં હળિમળિ, વિસાર્યા ન સંભારીએ વળી ।।૪૬।।
હોય હરિમાંહિ હેત જેને, અમે નિત્ય સંભારૂં છું તેને । બીજાં સાથે છે થોડેરૂં હેત, એમ બોલ્યા કરૂણાનિકેત ।।૪૭।।
જેમ હતું પોતાનું વર્તન, તેમ જણાવી દીધું જીવન । એમ મળ્યા સંબંધિને શ્યામ, પામ્યા અયોધ્યાવાસી આરામ ।।૪૮।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીલક્ષ્મીનારાયણદેવની પ્રતિષ્ઠા કરી એ નામે નેવુંમું પ્રકરણમ્ ।।૯૦।।