આઠમું પ્રકરણ

પૂર્વછાયો-
પછી સંભારી એ શાપને, સર્વે કરવા લાગ્યા શોક । પુણ્ય ભૂમિ આ પરહરી, જાવું જોશે જાણું મૃત્યુલોક ।।૧।।
પાપ પેખી પૃથ્વીતણાં, કેમ રહેશે સુખ શરીર । અવળે સવળું એટલું, સંગે ચાલશે નરવીર ।।૨।।
કાંઇક તેનો હર્ષ છે, કાંઇક શોક છે મન । દુરવાસાને દર્શને, થયું હર્ષ શોક ચિંતવન ।।૩।।
વળતા નારાયણ બોલિયા, તમે શોક મ કરો લગાર । ઇચ્છા અમારે એવી હતી, અવનિએ લેવા અવતાર ।।૪।।

ચોપાઇ-
મારી ઇચ્છા વિના એવી વાત, ન થાય માનજો મારા તાત । આવ્યા ઋષિને કરી જે રાવ, ત્યારનો મેં માંડયો છે ઉપાવ ।।૫।।
આવ્યા દુર્વાસા મારી ઇચ્છાએ, આવી ન પામ્યા સન્માન કાંયે । દીધો શાપ મેં ન વાર્યા તેને, બોલ્યા જેમ મેં બોલાવ્યા એને ।।૬।।
જાણું નિમિત્ત વિના નિરધાર, કેમ લઇએ સહુ અવતાર । માટે ચિંતા કરશોમાં કાંએ, શાપ થયો છે મારી ઇચ્છાએ ।।૭।।
કાંજે પૃથ્વીએ વ્યાપ્યું છે પાપ, તેણે સાધુ પામે છે સંતાપ । માટે પુત્ર તમારો થાઇશ, હરિનામે નિશ્ચે કહેવાઇશ ।।૮।।
મારા સાધુની રક્ષાને સારૂં, થાશે ભૂમિએ વિચરણ મારૂં । ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, પ્રવર્તાવીશ ભૂમિએ અતિ ।।૯।।
માટે ચિંતા મ કરશો લગાર, લિયો દ્વિજ કુળે અવતાર । આપ ઇચ્છા ધારી ઉર વિષે, લિયો જન્મ જુદા જુદા દેશે ।।૧૦।।
સુણી નારાયણની એ વાણ, સહુ પાયે લાગ્યા જોડી પાણ । પછી આપ આપણે આશ્રમ, ગયા મુનિ ને ભક્તિ ધરમ ।।૧૧।।
પછી ભક્તિ ધરમ ઋષિ જેહ, ઉદ્ધવાદિક સરવે તેહ । કાળે કરી આ ભૂમિ મોઝાર, સહુ લેવા ઇચ્છયા અવતાર ।।૧૨।।
દેશ દેશ લેવાને જનમ, ઇચ્છયા જાણી વેળા એ વિષમ । ધર્યાં દ્વિજજાતિ માંહિ તન, કહું સાંભળજ્યો સહુ જન ।।૧૩।।
થઇ વાત એ બદ્રિકાશ્રમ, લેશે જન્મ ઋષિ ભક્તિ ધર્મ । એવું જાણી જે હતા અદેવ, તે પણ ત્યાર થયા તતખેવ ।।૧૪।।
કહે અસુર અભાગી એમ, કાઢશે એ અધર્મને કેમ । એવું શું આપણું પડી ભાંગશે, જે એ સર્વે અધર્મ ત્યાગશે ।।૧૫।।
નથી ગયું નખોદ આપણું, જે ચાલશે એનું બળ ઘણું । માટે જ્યાં જ્યાં એ લે અવતાર, ત્યાં ત્યાં તત્પર રહો તૈયાર ।।૧૬।।
એનાં સંબંધીમાં કરો પ્રવેશ, જ્યાં જ્યાં જન્મે એહ મુનીશ । રાખી ખટકો થાઓ હુશિયાર, પ્રવર્તાવો અધર્મ અપાર ।।૧૭।।
જિયાં તિયાં થકી એને ઝાલો, મતિ અતિશે અવળી આલો । કહું છું મને તો સુઝે છે એમ, કહો તમને સુઝે છે કેમ ।।૧૮।।
એવું સાંભળી બોલ્યા અસુર, જેમ કહો તેમ કરીએ જરૂર । મર બણવાની હોય તે બણે, પણ એને તો જોશું આપણે ।।૧૯।।
કરશું જુદા જુદા પરવેશ, દેશું દુઃખ બહુ અહોનિશ । એમ પરિયાણિયા એ અસુર, બોલ્યાં નરનારી કરી જોર ।।૨૦।।
એક કહે થાઉં એની માત, નિત્ય શિખવું પાપની વાત । એક કહે થાઉં એની માસી, નાખું મોહ ને માયાની ફાંશી ।।૨૧।।
એક કહે થાઉં એની બેન, રોઇ કળકળી કરાવું ફેન । એક કહે થાઉં હું દિકરી, મારી ચિંતામાં ન ભજે હરિ ।।૨૨।।
એમ બોલી અસુરની નારી, કરીએ બહુવિધ વિઘ્ન ભારી । ત્યારે બોલ્યા અસુર વળતા, અમે બહુ જાણુ છું ખળતા ।।૨૩।।
કહે એક થાઉં એનો બાપ, મારી કુટી ને કરાવું પાપ । કહે એક થાઉં એનો ભાઇ, નાખું અતિશે અધર્મમાંઇ ।।૨૪।।
કહે એક થાઉં એનો કાકો, બતાવું પાપ મારગ પાકો । કહે એક થાઉં એનો મામો, કરાવું અતિ અધર્મ સામો ।।૨૫।।
કહે એક થાઉં એનો બાળ, કરૂં ભક્તિ ને ધર્મનો કાળ । કહે એક હેતુ એનો થઇ, નિયમ એક રહેવા દિયું નહિ ।।૨૬।।
કહે એક થાઉં એનો સખો, કરે ભજન ત્યાં રચાવું ડખો । કહે એક થાઉં એનો સગો, કરૂં એના કલ્યાણમાં દગો ।।૨૭।।
કહે એક થાઉં એનો ગુરુ, જગે અઘ એટલાં હું કરૂં । કહે અવિદ્યા થાઉં હું નાર, મ જાળથી કાઢે પગ બાર ।।૨૮।।
નાનાં બાળક બહુ ઉપજાવી, દીયું હેત હું એમાં બંધાવી । છોરા છોરી ઝીણું ઝીણું બોલી, ખાશે એના કળેજાંને ફોલી ।।૨૯।।
એમ સહુ મળી આપણે કરશું, જેણે થાય એ જીવનું નરશું । એમ ખરા ખબરદાર થાઓ, આવ્યો અવસર મ ભૂલો દાવો ।।૩૦।।
એના કુટુંબમાં પ્રવેશ કરીએ, ગુરુ સંબંધીનું રૂપ ધરીએ । એના ઉરથી અધર્મ ન ટળે, એમ કરવું આપણે સઘળે ।।૩૧।।
એમ પરસ્પર પરિયાણ્યું, જોર અતિશે પોતાનું જાણ્યું । કર્યો અસુરે મનસુબો એવો, ઘટે પાપી અદેવને જેવો ।।૩૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અસુર ઉદ્ભવ નામે આઠમું પ્રકરણમ્ ।।૮।।