રાગ સિંધુકડખો-
એવું સાંભળીને આવીયું, વળી દુષ્ટજનનું દળ । સાધુને માંડયા સંતાપવા, બહુ બહુ દેખાડે છે બળ ।।૧।।
સંત શ્રીનગર માંહિ, નિત્ય જાતાતા ભિક્ષાઅર્થ । તેને અસુરે આવી આંતર્યા, મારે કરે અતિ અનરથ ।।૨।।
ગેડી ધોકા પડે લાકડી, વળી કંદે ભાંગી કટિયું । કર્યા પ્રહાર કડિયાળીએ, તેતો સંતે સરવે સહ્યું ।।૩।।
તપસી ઋષિ કૃશ તનમાં, તેને માથે મોટ ચડાવિયા । મનગમતો માર દેતા, ઉતારાપર લઇ ગિયા ।।૪।।
તિયાં જઇ તાડન કરી, ફરી બાંધિયા બહુપેર । અસુરને હાથ આવી પડયા, જેને જરાયે ન મળે મેર ।।૫।।
કોઇ કહે કાન નાક કાપો, કોઇ કહે કરો ઘાત જીવની । કોઇ કહે ભુજ ચરણ ભાંગો, એમ બોલે સેના શિવની ।।૬।।
ભાખે ભૂંડી ગાળો મુખથી, તેતો જેજે બોલે તે થોડીયું । જાણું મસ્તક પાંચમું, કાપી બ્રહ્માનું ચોડીયું ।।૭।।
કોઇક સંત કલે વકલે, અસુરહાથ આવ્યો નહિ । તેણે ખબર ખોખરે વળી, આવીને સર્વે કહી ।।૮।।
સુણી શ્રીહરિ શ્રવણે, અંગે ઉભી થઇ રોમાવળી । એવો કોણ અવનિ ઉપરે, જે મારા સંતને મારે વળી ।।૯।।
કરી નજર અતિ કરડી, થયાં લોચન લાલ વિશાળ । ભ્રકુટિભ્રંગ ચડાવિયો, દેખી કંપવા લાગ્યો કાળ ।।૧૦।।
શશિ સૂરજ ઝાંખા પડયા, વળી ઉઠિયો અજ અકળાઈ । શિવ કહે સંહાર વળશે, આજ નથી રહેવાનું કાંઈ ।।૧૧।।
ઇંદ્ર સુરને ભય ઉપજ્યો, વળી દલે ડર્યા દિગપાળ । જોઇ કોપ મહારાજનો, તેણે કંપ્યો પન્નગ પયાળ ।।૧૨।।
વળતા પ્રભુજી બોલીયા, સુણી સંત માનજ્યો સત્ય । આ રાજ્યમાં રહેવું નહિ, તમે જાઓ શહેર સુરત્ય ।।૧૩।।
અધર્મી અધિપતિ અતિ, જીયાં ધર્મની વાત ગઇ । તિયાં તમ જેવા સંતને, પળ એક પણ રહેવું નઇ ।।૧૪।।
ચાલો સંત તમે ચોપશું, વળી અતિ ઉતાવળા આંહિથી । સાધુ સર્વે સધાવજો, અમે રહેશું આંહિ ધોકાપંથી ।।૧૫।।
પછી ચરણે લાગી ચાલીયા, વળી સંત સર્વે મંડળી । સંત ચારશે સામટા થઇ, ગઇ સુરત મુક્તમંડળી ।।૧૬।।
પછી રહ્યા પોતા પાસળે, વળી ખરી તે ક્ષત્રિજાત । તેને તે આગળ શ્રીહરિ, કરવા તે લાગ્યા વાત ।।૧૭।।
કહો ભાઇ કેમ કરશું, આતો અસુરે ઉપાડિ ઝાલિયું । સંતને તૈયે શીખ આપી, જ્યારે આપણું નવ ચાલિયું ।।૧૮।।
એવું સુણિ ક્ષત્રિ ખણશિયા, પ્રભુ પાછા વાળો સંતને । તમારા પ્રતાપ થકી, જુઓ અમારી રમત્યને ।।૧૯।।
આજ અવસર આવિયો, જેને માગે મોટા સુર । અમારા ઇષ્ટને પીડિયા, તેને જોશું અમે જરૂર ।।૨૦।।
પડયે કામે પુઠય ફેરવે, વળી કરગરે કાયર હુઇ । ધિકધિક તેના જીવતને, એની જનેતા ભારે મુઇ ।।૨૧।।
ગામ ગરાસ કોટ કારણે, વળી રણે ચડે ચડિચોટ । ભૂપભડે શિર પડિ રહે, એમ લડી થાય લોટપોટ ।।૨૨।।
એહ રીત્ય ક્ષત્રિતણી, તેની જાણે સહુ કોઇ વાત । ખોટાસારૂં વેખે ધન મુકે, આતો સાચું છે સાક્ષાત ।।૨૩।।
આપો અમને આગન્યા, જે જોઇએ એનું અમે જોર । શું થાશે બિચારા શ્વાનથી, છે પ્રભુ અમારી કોર ।।૨૪।।
પછી પ્રભુજી બોલીયા, આજ જાળવો સહુ આપણે । કાલ્ય જાશું કાંકરીએ, પછી બણવું હોય તે મર બણે ।।૨૫।।
એમ વાત કરતા વહી ગઇ, રહી નહિ રંચ રાત્ય । પહોર એક પોઢી જાગીયા, પોત્યે પ્રભુજી પરભાત્ય ।।૨૬।।
કહે થાઓ સહુ સાબધા, નાવા કાંકરીએ સર । બાળ વૃધ્ધ ને બાઇ માત્ર, તેતો રહેજ્યો સર્વે ઘર ।।૨૭।।
આપે અશ્વને ઉપરે, તરત થયા અસવાર । સર્વે સખા સજ્જ થઇ, સંગે ચાલીયા અપાર ।।૨૮।।
અશ્વે અસવાર ઓળખી, અને ધીરજ નવ શકે ધરી । પગ ન માંડે પૃથ્વી, જાણું ઉડશે પાંખુ કરી ।।૨૯।।
પછી નાહિ નાથ પાછા વળ્યા, અને આવીને ઉતર્યા બાર । પોતે પધાર્યા પુરમાં, ત્યાં આવ્યા અસુર અપાર ।।૩૦।।
મુછ મરડે કાંડાં કરડે, વળી ભર્યા બરડે ભાથ છે । કૈક ભૂરા અતિલંબુરા, પૂરા પાંચ તે હાથ છે ।।૩૨।।
ખડગ ખાંડાં હાથ પબેડાં, સમશેર સાંગ્ય કર ગ્રહિ । બંદુક બરછી ખરિ ખરચી, અસુર ભૂર આવ્યા લઇ ।।૩૩।।
ડાઢાં મોટાં પહેરી લંગોટાં, ડોટું દિયે મારવા । ચાર દશા આવ્યા ધશા, ઠાઉકો કર ઠારવા ।।૩૪।।
વડા વૈરી લીધા ઘેરી, જમતા હતા જીવન વળી । મોટી ડાઢી ખડગ કાઢી, મારવાને ત્રુટયા મળી ।।૩૫।।
વિપ્રે માંડયા વળી વારવા, પણ માને નહિ મદેભર્યા । કાઢી ખડગ કરમાં, હરિજન પર ઘાવ કર્યા ।।૩૬।।
હરિજન કહે હવે પાપીયો, ઉભા રહેજ્યો એહ પગે । અમપર તમે ઘાવ કીધા, અમે ન બોલ્યા ત્યાં લગે ।।૩૭।।
સિંહ સરીખા શોભતા, વળી યુધ્ધમાં જાણે ઘણું । ધાયા ધણેણી મારવા, ખમે ખડગ કોણ ક્ષત્રિતણું ।।૩૮।।
ચાર પાડયા ચોકમાં, જે હતા અસુરમાં અધિપતિ । બીજા ભણેણી ભાગિયા, ભાઇયો આપણી પણ આ ગતિ ।।૩૯।।
વણઠલ વેરાગા ફરતાં નાગાં, ભાગ્યા ભૂર ભૂલી દિશા । રહેતાં મરડતાં અતિઠરડતાં, ખાસડાં ખાતાં ખૂબ ખશ્યા ।।૪૦।।
અતિ અસોયા બહુ બફોયા, કોઇ કોઇને ભેળું નઇ । માર્યા માર્યા કહે મુખથી, એમ રિયોપિયો રહ્યું થઇ ।।૪૧।।
જાણીને મુકયા જીવતા, બહુ લાગી મહારાજની બીક । નહિતો એકે એકને, કરવા તે હતા ઠીક ।।૪૨।।
પછી આવ્યા પાછા વળી, કર્યા પ્રભુને પ્રણામ । ત્યારે નાથ કહે આપણે, હવે રહેવું નહિ આઠામ ।।૪૩।।
હરિ હરિજન હેતુ સહુના, કલ્પવૃક્ષ સમ કહેવાય । તેમાં જે જન જેવું ચિંતવે, તેને તે તેવું થાય ।।૪૪।।
નરતન ધરી નાથજી, વળી સૂર્ય સમ શોભે ઘણું । પણ પાપીને ન પડે પાધરૂં, નડે પાપ પોતાતણું ।।૪૫।।
એમ ભાર ઉતાર્યો ભૂમિનો, વૈશાખવદિ ચતુર્દશી । તેદિ પાપી મારીયા, જે આવ્યાતા મારવા ધશી ।।૪૬।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે અસુરનો નાશ કર્યો એ નામે સત્તાવનમું પ્રકરણમ્ ।।૫૭।।