પૂર્વછાયો-
વળી સહુ સાંભળજ્યો, કહું ત્યાર પછીની વાત । મોટા સુત જે ધર્મના, શ્રીરામપ્રતાપ વિખ્યાત ।।૧।।
તેનો તે વિવાહ આદર્યો, પ્રીતે કરીને રૂડી પેર । સુવાસિની નામે સુંદરી, પરણાવ્યાં બળદેવ ઘેર ।।૨।।
રૂડાગુણ રૂપે અતિ, એક પતિવ્રતા સતીપણું । પ્રીતે કરીને પિયુ પોતાનો, સેવે સુવાસિની હેતે ઘણું ।।૩।।
પછી બીજું વર્ષ બેસતાં, આનંદે ઉત્સવ આદર્યો । કુંવરના કુશળ કાજે, દેવ ઋષિનો આદર કર્યો ।।૪।।
ચોપાઇ-
હેતે પૂજ્યા હનુમાન બળી રે, વ્યાસ ને કૃપાચારજ વળી રે । અશ્વત્થામા વિભીષણ જેહ રે, માર્કંડેય પરશુરામ તેહ રે ।।૫।।
એ સર્વેને વિવિધ પ્રકારે રે, પૂજ્યા લઇ ષોડશ ઉપચારે રે । જમાડયા વિપ્ર ને હરિજન રે, આપી દક્ષિણા થઇ પ્રસન્ન રે ।।૬।।
બાળ કાજે કરે બહુ વિધિ રે, રાખે હેત અતિશે સંબંધી રે । એમ કરતાં વિત્યાં વર્ષ દોય રે, ત્રીજું વર્ષ વરતિયું સોય રે ।।૭।।
આવી જેઠ વદની પંચમી રે, માતતાત જ્યોતિષિને ગમી રે । તેદિ કર્યો છે કુળ આચાર રે, બાળ વાળ ઉતાર્યા તે વાર રે ।।૮।।
કર્યો મોટો ઉત્સવ તે દન રે, તેડાવ્યા વિપ્ર ને હરિજન રે । તેનાં કામ કાજમાંહિ માત રે, ભુલી ગયાં છે સુતની વાત રે ।।૯।।
પોતે રહ્યાં જન જમાડવા રે, પુત્ર પરને આપ્યો રમાડવા રે । તેને તેડી ગયાં બીજાં બાળ રે, જોવા સુંદર વાડી રસાળ રે ।।૧૦।।
તિયાં ફળ દીઠાં મીઠાં ઘણાં રે, જામફળી સિતાફળી તણાં રે । નાળીકેરી અનુપ અનાર રે, કર્યા અંબફળના ત્યાં આહાર રે ।।૧૧।।
જાંબુ લીંબુ ને રાણો રૂપાળી રે, ગુંદી કર્મદી પાકી રસાળી રે । દ્રાક્ષ ખારેક ખલેલાં ખરાં રે, રહ્યાં લેવા તે સૌ છોકરાં રે ।।૧૨।।
હરિને બેસાડી તરુ તળે રે, ફર્યાં બાળક વૃક્ષ સઘળે રે । એમ કરતાં આથમ્યો દન રે, આવ્યો એ સમે અસુર જન રે ।।૧૩।।
કાળીદત્ત નામે છે કપટી રે, થયો અર્ભક અસુર મટી રે । બન્યો કુબુદ્ધિ બાળક જેવો રે, કોઇ થકી ન કળાય એવો રે ।।૧૪।।
આવી ભેળું માંડયું છે રમવા રે, મનમાં છે હરિને દમવા રે । કાઢી કૃત્યાઓ તેનો છે ક્રોધ રે, વેર વાળવાનો છે વિરોધ રે ।।૧૫।।
થયો ગરીબ ઘટમાં ઘાત રે, ભર્યો કપટે દગે કુજાત રે । રમ્યો બાળ સંગ બહુ વાર રે, પછી વિસ્તારી માયા અપાર રે ।।૧૬।।
કરી રાતી આંખ્યો તતકાળ રે, વાધ્યો અંગે થયો વિકરાળ રે । ફાડયું મુખ ફાટયો જાણે આભરે, કાઢી જીભ લાંબી વિશ વાંભરે ।।૧૭।।
કરડે દાંત ક્રોધમાં અતિ રે, આવ્યો કૃષ્ણ મારવા કુમતિ રે । થયો ભૂંડો ભયંકર બહુ રે, તેને દેખી બિન્યા બાળ સહુ રે ।।૧૮।।
કર્યા લાંબા કર તતકાળ રે, ઝાલી કરવા બાળકનો કાળ રે । ત્યાંતો વાંકી દષ્ટિ કરી નાથે રે, જોયું દૈત્ય કાળીદત્ત માથે રે ।।૧૯।।
તેણે દાઝયું કુબુદ્ધિનું દેહ રે, પછી કોપિયો અસુર તેહ રે । કરી આસુરી માયા ઉત્પન્ન રે, ચડી ઘટા ને ચાલ્યો પવન રે ।।૨૦।।
આવી આંધી ને રજની મળી રે, કરે ઝબકારા બહુ વિજળી રે । થાય ગાજમાં ઘોર કડાકા રે, દિયે દામિની તેમાં ઝડાકા રે ।।૨૧।।
વર્ષે મેઘ રહે નહિ મણારે, ચાલ્યાં પૂર પૃથ્વીપર ઘણાં રે । ઝરે મેઘ મચી બહુ ઝડી રે, વાયુ વેગે વૃક્ષ ગયાં પડી રે ।।૨૨।।
ત્રુટિ પાંખો પંખી પડયાં ભોમ રે, મૃગ જાતિ થયાં છે બફોમ રે । થયો અતિશે મોટો ઉત્પાત રે, પડી વચમાં વેરણ રાત રે ।।૨૩।।
બહુ ઉપદ્રવે બિન્યાં બાળ રે, નાસી ગયાં બીજે તતકાળ રે । બેસાર્યાતા આંબાતળે હરિ રે, તેની ન રહી ખબર ખરી રે ।।૨૪।।
ચડી ટાઢય તેણે તન ધ્રુજે રે, મળી રાત્યમાં કાંઇ ન સુજે રે । એવી માયા વિસ્તારી અસુર રે, મારવા હરિજીને જરૂર રે ।।૨૫।।
ફેરે દષ્ટિ ને જુવે સઘળે રે, દીઠા હરિ બેઠા આંબા તળે રે । ત્યારે ઉડી આકાશમાં ચડયો રે, આવી અંબ વૃક્ષ પર પડયો રે ।।૨૬।।
જેમ હિમાચળની શિખર રે, ત્રુટી પડે પર્ણકુટિ પર રે । એમ પડયો અસુર અભાગી રે, તેની ઝપટે પડયું ઝાડ ભાંગી રે ।।૨૭।।
તેને તળે બેસી રહ્યા બાળ રે, થયો નહિ વાંકો એક વાળ રે । જેમ રહ્યા ગોવર્ધન હેઠય રે, રહ્યા તરુતળે તેની પેઠય રે ।।૨૮।।
વાયુ વરસાદ ને વિજળી રે, તેના પરાભવની પીડા ટળી રે । રહ્યા અચળ પર્વતપ્રાય રે, અસુરનું ન ઉપજ્યું કાંય રે ।।૨૯।।
પછી અસુર ક્રોધ કરીને રે, ગયો ઝાલવા હાથે હરિને રે । ત્યારે વાંકી દષ્ટિએ જોયું નાથેરે, પામ્યો મોહ પડયો ભૂમિ માથેરે ।।૩૦।।
પામ્યો મુર્છા ને વ્યાકુળ થયો રે, શુદ્ધ શરીરની ભૂલી ગયો રે । થઇ વિકળ ને ભમ્યો વન રે, ત્યાં પ્રચંડ વાતો તો પવન રે ।।૩૧।।
તેને વેગે પડતાંતાં ઝાડ રે, મુવો ચંપાઇ પશુને પાડ રે । જેમ આખુ અહિકરંડ કાપે રે, જાગે વ્યાળ મરે મૂષો આપે રે ।।૩૨।।
જેમ કાપે કોઇ બેઠાની ડાળ રે, પડે કૂપે મરે તતકાળ રે । જેમ કરોળિયો કરે વિલાસ રે, પામે પોતાની જાળમાં નાશ રે ।।૩૩।।
એમ પોતાની માયામાં મુવો રે, આપ પાપે પાપી નાશ હુવો રે । મુવો દૈત્ય માયા મટી ગઇ રે, વાયુવેગ વિજળી ન રઇ રે ।।૩૪।।
ત્યારે શાંતિ પામ્યાં સહુ બાળ રે, પછી કરી કૃષ્ણની સંભાળ રે । જ્યારે ન દીઠા પોતાને પાસ રે, ત્યારે બહુ થયાં છે ઉદાસ રે ।।૩૫।।
પછી કરે છે સાદ પોકારી રે, જ્યાં હો ત્યાંથી બોલો સુખકારી રે । કરે સાદ ઘણું ઘણું ગોતે રે, જડયા નહિ ઝાડ બહુ જોતે રે ।।૩૬।।
ત્યારે ભૂલ્યાં શરીર સંભાળરે, કહે હે કૃષ્ણ હે હરિ બાળ રે । એમ સાદ કરી શોધ્યા અતિ રે, પણ લાધ્યા નહિ પ્રાણપતિ રે ।।૩૭।।
ત્યારે વ્યાકુળ થયાં છે બાળ રે, રુવે કર ઘસે કરે કતાળ રે । કહે ક્યાંથી લાવ્યાં એને આંહીરે, હવે શું કહેશું જઇ ગામમાંહી રે ।।૩૮।।
એનાં માબાપને તે શું કહેશું રે, બીજાને ઉત્તર શિયો દેશું રે । ન રહ્યું મુખ દેખાડવા જેવું રે, કર્યું કામ તો આપણે એવું રે ।।૩૯।।
એમ બોલે પરસ્પર વાણ રે, ત્યાંતો થયું છે ગામમાં જાણ રે । ફરકયાં પુરૂષનાં અંગ ડાબાં રે, એવાં અપશુકન થાવા લાગ્યાં રે ।।૪૦।।
ફરક્યાં નારીનાં જમણાં અંગ રે, તેણે સહુ થયાં મન ભંગ રે । ત્યાંતો ભક્તિ કહે સુત મારો રે, એને કોણ તેડી ગયું બારો રે ।।૪૧।।
ખોળી કાઢો ખબર એની વેલી રે, પુત્ર વિના માતા થઇ ઘેલી રે । થયા ધર્મ તે વ્યાકુળ વળી રે, પામી મૂરછા પડિયા ઢળી રે ।।૪૨।।
પછી આવ્યાં જન મળી સહુ રે, કરે બાળનો ખરખરો બહુ રે । કહે છોકરાં ગયાં હતાં વાડી રે, તેડી ગયાં તિયાં એ અનાડી રે ।।૪૩।।
પછી ચાલ્યાં ગોતવા નરનાર રે, કરી દિવી ફાનસો અપાર રે । કરે જેષ્ટિકા અસિ કમાન્યું રે, આવ્યાં જીયાં એ વૃક્ષ આંબાનું રે ।।૪૪।।
માત તાત લીએ લડથડિયું રે, પુત્ર વિયોગનું દુઃખ પડયું રે । એવે સમે હરિ પાસે વળી રે, આવી ધર્મ નારી બારે મળી રે ।।૪૫।।
સુત જાણી લીધા સૌએ ખોળે રે, બાળ ધવરાવ્યા ભાવ બોળે રે । હરિ માતાની પુરવા હામ રે, થયા દ્વાદશ સ્વરૂપે શ્યામ રે ।।૪૬।।
એવે સમે ગામના રહેનાર રે, આવ્યાં ખોળતાં સહુ નરનાર રે । કહે છોકરાં આ વૃક્ષ તળે રે, અમે મુક્યા હતા મળી સઘળે રે ।।૪૭।।
તેતો વૃક્ષ પડિયું છે ભાંગી રે, જોઇ તેને સૌને બીક લાગી રે । કહે આવું રુખ પડયું જીયાં રે, નોય બાળક કુશળ તિયાં રે ।।૪૮।।
એમ અંતરે થઇ ઉદાસ રે, આવ્યાં જોવા એ વૃક્ષને પાસ રે । ત્યારે શ્રદ્ધાદિ નારી દ્વાદશી રે, મુકી બાળક ને ગયું ખશી રે ।।૪૯।।
મળ્યા ગોતતાં મામીને નાથ રે, તેણે આપ્યા છે ભક્તિને હાથ રે । પામી પુત્ર રાજી થયાં બાળા રે, આપી ભાભીને મોતિની માળા રે ।।૫૦।।
પછી સુત હેતે ધવરાવ્યા રે, જાણ્યું નવે અવતાર આવ્યા રે । વળતાં જોયાં વાડી વૃક્ષ જ્યારે રે, મુવો પુરૂષ પડયો દીઠો ત્યારે રે ।।૫૧।।
પછી પુછયું બાળકને તેનું રે, કહ્યું બાળકે વૃત્તાંત એનું રે । એતો આવ્યોતો કરવા ઘાત રે, કોણ જાણે થઇ કેમ વાત રે ।।૫૨।।
ત્યારે પામિયાં વિસ્મય સહુ રે, આતો વિઘન વીતિયું બહુ રે । પછી ઉગ્યો ચંદ્ર આવ્યાં ઘેર રે, ભક્તિ ધર્મ બોલ્યાં એ પેર રે ।।૫૩।।
કહ્યું શ્રીકૃષ્ણ છે આ જરૂર રે, તે વિના ન મરે એ અસુર રે । જ્યારે કાળીદત્ત દૈત્ય મુવો રે, ત્યારે જાણ્યું સૌનો નાશ હુવો રે ।।૫૪।।
છે આ સમર્થ આપશે સુખ રે, ભિડયા હૃદામાં વિસાર્યું દુઃખ રે । ત્યારે હતું જે હરિનું જ્ઞાન રે, ટળ્યું તે લાગ્યા સુત સમાન રે ।।૫૫।।
પછી વિરમ્યું જાણી એ વિઘન રે, કર્યા પાઠ પૂજા દાન પુણ્ય રે । કર્યું સંસ્કાર બાળકતણું રે, તેણે કરીને શોભ્યા છે ઘણું રે ।।૫૬।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઘનશ્યામમહારાજે કાળીદત્તનો નાશ કર્યો એ નામે ઓગણીસમું પ્રકરણમ્ ।।૧૯।।