ચૌદમું પ્રકરણ

પૂર્વછાયો-
પછી ધર્મે ધીરજ ધરી, વળી મને કર્યો વિચાર । તાતે કહ્યું હતું ચાલતાં, તે સાંભરીયું તેહવાર ।।૧।।
કહ્યું કુળદેવ આપણા, સમીરસુત કહેવાય । સંકટમાં સંભાળજ્યો, કરશે એ કષ્ટમાં સહાય ।।૨।।
માટે કષ્ટ મોટું નથી, આથી બીજું કોઇ અન્ય । દૈત્ય દુઃખ દિયે ઘણું, નથી અંગે અશન વસન ।।૩।।
માટે સમીરસુતને, સંભારૂં કરવા સહાય । અંજનીસુત વિના એકે, નથી ટાળવા ઉપાય ।।૪।।

ચોપાઇ-
પછી અયોધ્યામાં જઇ આપરે, જપ્યા હનુમાનજીના જાપરે । મારૂત સુત મંદિરમાં જઇ રે, કરી સ્તુતિ એક પગે રઇરે ।।૫।।
એમ કરતાં ધર્મ સ્તવન રે, થયા પવન સુત પ્રસન્ન રે । આવી સ્વપ્નમાંહિ કહ્યું એમ રે, મને સંભાર્યો નહિ તમે કેમ રે ।।૬।।
હવે દુઃખ તમારૂં દંપતિ રે, નહિ રહેવા દઉં એક રતિ રે । કહું વાત માનો મારી મન રે, વેગે જાઓ તમે વૃન્દાવન રે ।।૭।।
તમ સંગે શાપે મુનિજન રે, જેણે ધર્યાં છે જુજવાં તન રે । તે તમને ત્યાં સહુ મળશે રે, દુઃખ તમારૂં તર્ત ટળશે રે ।।૮।।
એમ ધર્મને કહી હનુમાન રે, પછી થયા પોતે અંતર્ધાન રે । પછી જાગીને થયા પ્રસન્ન રે, સત્ય માન્યું એ ધર્મે સ્વપન રે ।।૯।।
પછી પુત્ર ને મેલી મોસાળ રે, ચાલ્યાં ભક્તિધર્મ તતકાળ રે । આવ્યાં નૈમિષારણ્યે ઉમંગે રે, નથી ચાલતાં કોઇને સંગે રે ।।૧૦।।
પછી ત્યાંથી વૃન્દાવન આવી રે, નિર્ખિ કૃષ્ણ મૂર્તિ મન ભાવી રે । ફુલદોલે ઝુલતા શ્રીકૃષ્ણ રે, એવી મૂર્તિનાં કર્યાં દર્શન રે ।।૧૧।।
પછી ગોવર્ધન જેહ ગિરિ રે, તેને પ્રેમે પ્રદક્ષિણા કરી રે । દઇ પ્રદક્ષિણા બેઠાં દોય રે, તિયાં મળ્યા મુનિજન સોય રે ।।૧૨।।
મરીચ્યાદિ મોટા મોટા મુનિરે, મળ્યા નહિ ઓળખાણ આગુંનીરે। બીજા જન વૃંદાવન રહેનાર રે, તેહ પણ ન જાણે લગાર રે ।।૧૩।।
પછી હરિ ઇચ્છા બળવાન રે, પડી એક બીજાની પિછાન રે । ઋષિ કહે આ ધર્મ ભક્તિ રે, ધર્મ કહે આ મુનિ સુમતિ રે ।।૧૪।।
પછી મળી બેઠાં છે એકાંત રે, કહ્યું એક બીજાનું વૃતાંત રે । કહે ઋષિ રહી નથી મણા રે, દીધાં અસુરે દુઃખ તે ઘણાં રે ।।૧૫।।
ભક્તિ ધર્મ કહે ન જાય કહ્યું રે, જે જે અમારે ઉપર થયું રે । પછી એક બીજાનું જે દુઃખ રે, સુંણી થયું અતિશે અસુખ રે ।।૧૬।।
કહે દુર્વાસા દઇને શાપ રે, પછી બોલ્યા દયા કરી આપ રે । કષ્ટ પડશે તમને અતોલ રે, મિથ્યા નહિ થાય મારો બોલ રે ।।૧૭।।
પણ કૃષ્ણ ધરી અવતાર રે, હરશે દુઃખ તમારૂં તે વાર રે । એહ વાતનો વાયદો થીયો રે, હવે કરીએ ઉપાય શીયો રે ।।૧૮।।
કહે ધર્મ એ ખોટું ન થાય રે, રાખો ધીરજ સહુ મનમાંય રે । કરો શ્રીકૃષ્ણનું આરાધન રે, જેણે રાજી થાય ભગવન રે ।।૧૯।।
હું પણ જપું છું કૃષ્ણનો જાપ રે, જેણે કરી ટળે દુઃખ તાપ રે । તમે પણ તેના અંગના જેહ રે, કરો પાઠ સહુ મળી તેહ રે ।।૨૦।।
પછી સહુ ઋષિએ વિચારી રે, વાત ધર્મની ઉરમાં ધારી રે । કોઇ ભાગવત પાઠ કરે રે, કોઇ ગીતાનો પાઠ ઓચરે રે ।।૨૧।।
કોઇ વાસુદેવ માહાત્મ્ય જેહ રે, કોઇ વિષ્ણુ સહસ્રનામ તેહ રે । કરે વિષ્ણુ ગાયત્રીનો જાપ રે, કોઇ નારાયણ વર્મ આપ રે ।।૨૨।।
કોઇ જપે શ્રીકૃષ્ણનું નામ રે, એમ જાપ કરે આઠુંજામ રે । રાસપંચાધ્યાય વળી જેહ રે, ભક્તિ પાઠ કરે નિત્ય તેહ રે ।।૨૩।।
એમ ભક્તિ ધર્મ ઋષિરાય રે, કરે દિવસમાં એ ઉપાય રે । રાત્રિ માંહિ તાલ ને મૃદંગ રે, ગાય ગીતગોવિંદ ઉમંગ રે ।।૨૪।।
ભક્તિધર્મ ઋષિ બડભાગ્ય રે, એમ આદર્યો છે વિષ્ણુયાગ રે । પછી વૈશાખસુદી એકાદશી રે, કર્યું જાગરણ સહુએ હુલશી રે ।।૨૫।।
ગઇ રાત્ય થયું બ્રહ્મમુહૂર્ત રે, દીઠું બ્રહ્મતેજ તિયાં તર્ત રે । તેમાં દીઠા નંદ ને યશોદા રે, જોઇ ગોપી ગોપ પામ્યાં મુદા રે ।।૨૬।।
વળી દીઠી અષ્ટ પટરાણી રે, રાધિકા રમા ને રૂકિમણી રે । સત્યા સત્યભામા જાંબુવતી રે, લક્ષમણા ને વળી નાગ્નજીતી રે ।।૨૭।।
વળી ધેનુએ શોભે એ ધામ રે, જેનું કહીએ તે ગોલોક નામ રે । તેમાં મૂર્તિ સુંદર શ્યામ રે, દીઠા શ્રીકૃષ્ણ પૂરણકામ રે ।।૨૮।।
સુવર્ણ વસ્ત્રે શોભે છે વળી રે, મુખે રૂડી વજાડે વાંસળી રે । સુંદર શોભે નટવર વેષે રે, રત્ન જડિત મુકુટ છે શીષે રે ।।૨૯।।
મકરાકાર કુંડળ કાને શોભે રે, ઝીણા વક્ર કેશે મન લોભે રે । ભાલે શોભા રહી છે ભલકી રે, તેપર તોરા રહ્યા લલકી રે ।।૩૦।।
મુખ પૂરણશશિ સમાન રે, નયણાં કમળદળ નિદાન રે । મોટાં મોતીની માળા તે લેકે રે, બીજાં સુગંધી પુષ્પની બેકે રે ।।૩૧।।
એવી અંગો અંગ શોભા અતિ રે, રસરૂપ રસિક મૂરતિ રે । સામુદ્રિકે શોભા કહી જેવી રે, દીઠી મૂર્તિ મનોહર તેવી રે ।।૩૨।।
શોભા સાગર સુંદર શ્યામ રે, સારી પ્યારી છબી સુખધામ રે । કોટી કામદેવ દેખી લાજે રે, એવી છબી છબિલાની છાજે રે ।।૩૩।।
એવું રૂપ જોઇ ઋષિરાય રે, પડયાં ભક્તિધર્મ સહુ પાય રે । હાથ જોડી ઉભાં એક પગે રે, કોઇ મટકું ન ભરે દ્રગે રે ।।૩૪।।
જેમ કાષ્ટનાં હોય પુતળાં રે, એમ ઉભા આગળ સઘળાં રે । દોય ઘડી રહ્યાં એમ જન રે, પછી સર્વે થયા સચેતન રે ।।૩૫।।
કરી સ્તુતિ પછી જોડી હાથ રે, કહે જય જય મારા નાથ રે । જય જય તેજ પુંજરાશી રે, જય અકળરૂપ અવિનાશી રે ।।૩૬।।
ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કાળ રે, કરવા સમર્થ તમે દયાળ રે । ક્ષર અક્ષરપર અકળ રે, રહો તેજપુંજને મંડળ રે ।।૩૭।।
ધર્મ રક્ષા કરવા મુરાર રે, ધાર્યા મત્સ્યાદિક અવતાર રે । જનહિતે એ જુજવાં તન રે, ધરી કરો જનની જતન રે ।।૩૮।।
જય ગોલોકપતિ ગોવિંદ રે, જય નિજજન સુખકંદ રે । જય રાધાપતિ રસરૂપ રે, જય સુંદર શ્યામસ્વરૂપ રે ।।૩૯।।
જય મનોહર મહારાજ રે, જય વ્રજજન સુખસાજ રે । જય નિજજન મનરંજન રે, જય મહાદુઃખ ભયભંજન રે ।।૪૦।।
જય દુષ્ટદમન દયાળ રે, જય કુકર્મી જીવના કાળ રે । જય ભક્ત ભવદુઃખહારી રે, તમે સંતના છો સુખકારી રે ।।૪૧।।
જય અનાથના નાથ આપ રે, સ્વામી હરો અમારા સંતાપ રે । જય દીનના બંધુ દયાળ રે, જય ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે ।।૪૨।।
તમે ગરીબના છો નિવાજ રે, દુઃખસાગરમાં સુખઝાજ રે । અમે બુડયા દુઃખોદધિમાંય રે, તમ વિના ઝાલે કોણ બાંય રે ।।૪૩।।
તમે સમર્થ છો મારા નાથ રે, માટે કહીએ છીએ જોડી હાથ રે । જે જે આવ્યા છે શરણ તમારી રે, તેની રક્ષા કરી છે મુરારી રે ।।૪૪।।
માટે અમે છીએ તમારે શરણ રે, કરો સુખ મહાદુઃખહરણ રે । એમ સ્તુતિ કરી ધર્મ મુનિ રે, પછી પાય લાગ્યાં સૌ પ્રભુની રે ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે દુર્વાસાશાપ નામે ચૌદમું પ્રકરણમ્ ।।૧૪।।