પૂર્વછાયો-
પછી ભક્તિએ પુછિયું, સુણો સસરા વૃદ્ધ તાત । પતિવ્રતાના ધર્મની, કહો વિધ્યેવિધ્યે મને વાત ।।૧।।
એવું સુણીને બાળશર્મા, કહે સાંભળજ્યો સુંદરી । ભાખ્યા છે ધર્મશાસ્ત્રમાં, મહામુનિયે દયા કરી ।।૨।।
સતીગીતામાં સતીએ, ધર્મ પતિવ્રતાના પ્રિછવ્યા । રહેજ્યો એવી રીતશું, જેવા શિવાએ વર્ણવ્યા ।।૩।।
દુઃખ પડે દોય દંપતી, તમે સમીરસુત સંભારજ્યો । કુળદેવ એ આપણા, કરશે સંકટમાં સારજ્યો ।।૪।।
ચોપાઇ-
રહેજ્યો સર્વે એકાદશી વ્રત રે, કરજ્યો ઉત્સવ જેવી સામર્થ રે । વળી સતપુરૂષનો સંગ રે, કરજ્યો ઉરે આણી ઉછરંગ રે ।।૫।।
દારી ચોરી મદ્ય માંસ જેહ રે, ભૂલ્યે પણ કરશો માં તેહ રે । ભ્રષ્ટવાડો છે ભૂમિએ ઘણો રે, રખે પાશ લાગે તેહ તણો રે ।।૬।।
કહે સુતપ્રત્યે બાળશર્મા રે, તમે જાજ્યો અયોધ્યા નગ્રમાં રે । એવી સાંભળી શિખની વાણ રે, લાગ્યાં પાય દંપતી સુજાણ રે ।।૭।।
જ્યારે નરનારીએ નામ્યાં શીષરે, ત્યારે આપી છે પાંડે આશિષરે । કહે સુખી રહેજ્યો નરનાર રે, થશે યશ તમારો અપાર રે ।।૮।।
એમ કહી ચાલ્યા બાળશર્મારે, પહોંચ્યા પાંડે પોતાના નગ્રમાંરે । તિયાં વીત્યા થોડા ઘણા દન રે, પછી તરત તજ્યું ત્યાં તન રે ।।૯।।
પછી સાંભળજ્યો શુભ મતિ રે, કહું રહ્યાં જેમ એ દંપતી રે । જેજે તાતે કહ્યાં છે વચન રે, તેતે રીતમાં રહ્યાં મગન રે ।।૧૦।।
રહે વ્રત અખંડ એકાદશી રે, કરે કૃષ્ણ કીર્તન હુલશી રે । ધર્મ ન ત્યાગે આપતકાળ રે, કહે લોક આ ધર્મ દયાળ રે ।।૧૧।।
પછી આવી ત્યાં દ્વાદશ નારી રે, સેવે શ્રદ્ધાદિ પ્રેમ વધારી રે । દેખે ધર્મ ને ભક્તિ દોય રે, બીજા દેખે નહિ જન કોય રે ।।૧૨।।
કરે સંધ્યા તર્પણ કર્મ નિત્ય રે, સત્ય શાસ્ત્ર માંહિ ઘણી પ્રીત્ય રે । એવા ધર્મદેવ ધુરંધર રે, કરે ભક્તિ પ્રભુની સુંદર રે ।।૧૩।।
એમ કરતાં દંપતિ આપ રે, જન્મ્યા સુત શ્રીરામપ્રતાપ રે । ગુણે સંકર્ષણ સમાન રે, દાતાર શૂર ભક્ત નિદાન રે ।।૧૪।।
હવે બીજા મુનિ જે નિષ્પાપ રે, પોતા ભેળો સહ્યો જેણે શાપ રે । તેહ ઋષિએ ધર્યાં છે તન રે, જોઇ દ્વિજનાં કુળ પાવન રે ।।૧૫।।
જિયાં જિયાં રહ્યાતા એ મુનિ રે, કરતા ભક્તિ પ્રેમેશું પ્રભુની રે । દિનદિન પ્રત્યે અતિ ઘણી રે, કરતા કથા શ્રીકૃષ્ણજી તણી રે ।।૧૬।।
ત્યારે અભક્ત નર જે અભાગીરે, તેને વાત એ વસમી લાગીરે । પછી જિયાં તિયાંથી અદેવ રે, વૈર આદરિયું તતખેવ રે ।।૧૭।।
ધર્મવાન ભક્તિવાન જન રે, તેને આદર્યું કરવા વિઘન રે । વળી ભક્તિ ધર્મ ઋષિ જેહ રે, તેને સમઝે સાચા શત્રુ તેહ રે ।।૧૮।।
જેમ જેમ પીડા પામે ધર્મ રે, એવાં કરે તે કુકર્મી કર્મ રે । જેમ જેમ પીડા પામે ભક્તિ રે, એવાં કષ્ટ ઉપજાવે કુમતિ રે ।।૧૯।।
જેમ જેમ દુઃખી થાય મુનિ રે, એવી મતિ છે સહુ અસુરની રે । પરઠે ગુણમાં અવગુણ અતિ રે, મહા પાપમય જેની મતિ રે ।।૨૦।।
પુર ગ્રામ દેશમાં જે દૈત્ય રે, પીડે છે ભક્તિ ધર્મને નિત્ય રે । તેને દુઃખે ભક્તિ ધર્મદેવ રે, આવ્યાં અયોધ્યામાં તતખેવ રે ।।૨૧।।
તોય કુકર્મી કેડ ન મુકે રે, દેતાં દુઃખ ઘડીએ ન ચુકે રે । પછી એ દુઃખ ટાળવા કાજ રે, ગયા કાશીમાંહિ ધર્મરાજ રે ।।૨૨।।
જાણી શિવની પુરી સુંદર રે, તિયાં કરાવિયો મહારૂદ્ર રે । કષ્ટ મટાડવા કર્યો ઉપાય રે, પણ કષ્ટ મટયું નહિ કાંય રે ।।૨૩।।
તિયાં પણ દનુજ સમૂહ રે, વેષ મનુષ્ય ને કરે દ્રોહ રે । પામ્યાં પીડા ત્રણે ત્યાં અતિ રે, પછી ગુપ્ત પણે કરી ગતિ રે ।।૨૪।।
કષ્ટ મટવા કરે છે ઉપાય રે, પણ કષ્ટ મટે નહિ કાંય રે । પછી ત્યાંથી આવિયા પ્રયાગે રે, અતિકૃશ છે તનમાં ત્યાગે રે ।।૨૫।।
કર્યું સંધ્યાતર્પણ ગંગા નાઇ રે, કર્યો તીર્થ ઉપવાસ ત્યાંઇ રે । રહ્યાં ઘણું એ સ્થળ મોઝાર રે, તિયાં મળ્યા શ્રીવૈષ્વાચાર રે ।।૨૬।।
નામ રામાનંદ મહામતિ રે, સ્વયં સદ્ગુરુ રૂપ મૂરતિ રે । મહા તપેશ્વર ત્યાગ તને રે, ધીર ગંભીર મોટા છે મને રે ।।૨૭।।
આપે મુમુક્ષુને ઉપદેશ રે, રાખે છે બ્રહ્મચારીનો વેષ રે । ઊર્ધ્વપુંડ્ર કર્યું ત્યાં કેસરે રે, કુંકુમ ઇંદુ મધ્યે મન હરે રે ।।૨૮।।
કંઠે માળા તુલસીની દોય રે, જોઇ જનતણાં મન મોય રે । એવે વેષે રામાનંદ મુનિ રે, ફરે સાર લેવા જિજ્ઞાસુની રે ।।૨૯।।
બહુ શિષ્યે સહિત ફરે છે રે, સહુને જ્ઞાનોપદેશ કરેછે રે । શબ્દબ્રહ્મ પરબ્રહ્મ પ્રિછે રે, યથાર્થપણે જેમ ઇચ્છે રે ।।૩૦।।
એવા સ્વામી જેહ રામાનંદ રે, તેને મળીને પામ્યા આનંદ રે । બહુ હેતે કરી ધર્મદેવરે, કરે મોટા જાણી નિત્ય સેવરે ।।૩૧।।
એક દિવસ ચાંપતા ચરણ રે, આવી નિદ્રા ને ઢળિયા ધરણ રે । સુખે સુતા ત્યાં થયું સ્વપન રે, પામ્યા તેજમંડળનું દર્શન રે ।।૩૨।।
તેમાં શ્રીકૃષ્ણ મૂર્તિ શ્યામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણકામ રે । પામ્યા અંતરે દર્શન એહ રે, જાણીકૃપા શ્રી સ્વામીની તેહ રે ।।૩૩।।
જાણ્યા સગ્દુરુ એક આ સ્વામીરે, પામ્યા શરણ બેઉ શીષ નામીરે । પછી સ્તુતિ દંપતીએ કિધી રે, એથી ભાગવતી દીક્ષા લીધી રે ।।૩૪।।
આપી સ્વામીએ માળા તે દોય રે, બાંધી ધર્મે તુલસીની સોય રે । પછી શ્રીકૃષ્ણના મંત્ર જેહ રે, અષ્ટાક્ષરના કહાવે છે તેહ રે ।।૩૫।।
તેનો હેતે ઉપદેશ કીધો રે, પોતા શરણે ધર્મને લીધો રે । કહ્યો શરણમંત્ર તે સમાન રે, વિશેષ મહામંત્ર નિદાન રે ।।૩૬।।
એહ બેઉ મંત્ર સુખકારી રે, સુણી ધર્મ લીધા મને ધારી રે । પછી નર નારીનાં જે નિયમ રે, પુછયાં પાળવાનાં કરી પ્રેમ રે ।।૩૭।।
કહું સુણો સહુજન હવે રે, જેજે કહ્યું છે એના ગુરુવે રે । સર્વે સંપ્રદાયની જે રીત રે, કહી અતિપરમ પુનિત રે ।।૩૮।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ભક્તિધર્મને રામાનંદ સ્વામી મળ્યા એ નામે બારમું પ્રકરણમ્ ।।૧૨।।