ચોપાઇ-
હવે સાંખ્યયોગી કહું ભાઇ, જેને પ્રીત પુરૂષોત્તમમાંઇ । સદા રહેછે પ્રભુજી પાસ, થઇ ચરણકમળના દાસ ।।૧।।
હરિપાસે રહે છે હમેશ, અતિત્યાગી ને ઉજ્વળ વેષ । રાખી મુનિ જેવાં વ્રતમાન, ભાવે ભજે છે શ્રીભગવાન ।।૨।।
સર્વ જક્તના જીવશું તોડી, જેણે પ્રીત પ્રભુજીશું જોડી । દેહગેહતણાં સુખ ત્યાગી, થયા પ્રભુપદ અનુરાગી ।।૩।।
ઉઠે બેસે ચાલે જુવે જમે, કરે તેહ જે નાથને ગમે । નિત્ય જોઇ મહારાજની મરજી, વર્તે મનની મમતા વરજી ।।૪।।
આજ્ઞાકારી છે જેહનાં અંગ, કેદિ ન કરે વચનનો ભંગ । જાણે દેશ કાળ વળી સમે, કરે તેજ જે નાથને ગમે ।।૫।।
મરજી વિના પગલું ન ભરે, અંતરમાં નિરંતર ડરે । અતિ સમજુ ને સંત સ્વભાવ, પ્રેમી નિયમી ને ભક્તિભાવ ।।૬।।
દામ વામ જાણી દુઃખદાઇ, અતિ અભાવ છે મનમાંઇ । એવા સાંખ્યયોગીનો સમોહ, જેને કામ ક્રોધ નહિ મોહ ।।૭।।
લોભ લાલચ સ્વાદ સનેહ, આશા તૃષ્ણા તે તજીછે તેહ । હર્ષ શોક નહિ વૃધ્ધિ હાણ્ય, જેણે મેલી તનમન તાણ્ય ।।૮।।
પંચ વ્રતમાનમાંહિ પૂરા, અંતર સાધુ ને ઉપર શૂરા । અતિસમર્થ ને સાવધાન, વળી નિરસ્નેહી નિરમાન ।।૯।।
એવા સાંખ્યયોગી જે સુજાણ, કરૂં તેનાં હું શિયાં વખાણ । બીજાં ગૃહી ઘણાં બાઇ ભાઇ, જેને પ્રીત્ય છે પ્રભુજીમાંઇ ।।૧૦।।
ચોરી અવેરી મદિરા માંસ, તેની કરે નહિ કેદિ આશ । પડયું દ્રવ્ય પારકું ન હરે, ખોટી સાંખ્ય ભૂલે નવ ભરે ।।૧૧।।
ગાંજા ભાંગ્ય લસણ ડુંગળી, કેફ મફર માજમ વળી । કરી કેફ સરવેનો ત્યાગ, રાખે પ્રભુસાથે અનુરાગ ।।૧૨।।
એવાં ગૃહસ્થ ઘણાં નરનારી, જેને મળ્યા છે દેવ મુરારી । અતિ પવિત્ર ને પુણ્યવાન, તેનાં નામ સાંભળો નિદાન ।।૧૩।।
પ્રથમ કહું સાંખ્યયોગી ભાઇ, પછી કહું સાંખ્યયોગી બાઇ । ગૃહસ્થ હરિભક્ત નરનાર, કરૂં કિંચિત નામ ઉચ્ચાર ।।૧૪।।
સાંખ્યયોગી માંહિ શિરોમણિ, ભાવે નામ કહું તેનાં ભણી । મુખ્ય માંચો સોમલો મુગત, સુરો માતરો અલૈયો ભક્ત ।।૧૫।।
કાળો વાલેરો ને રાણસુર, લાખો નાન નાજો સંતસુર । એહ આદિ કાઠિજન કહીએ, સાંખ્યયોગી શ્યામસંગે લહીએ ।।૧૬।।
ભક્ત વેરોજી આતમારામ, ડુંગરજી ભગુજી અકામ । માનસિંહ ને કેશરીસિંઘ, ખરા ક્ષત્રિ એ ભક્ત અનઘ ।।૧૭।।
ભક્ત ભાણો હમીર ભણીજે, ઉમોજી ઉભે ભક્ત ગણીજે । રવોજી રતનજી ગંભીર, લાખો કસલો ભીમ હમીર ।।૧૮।।
વીરો દેવો માન ગુમાનજી, કમો કાજુ નાથુજી કાનજી । લાધોજી નાનજી નારાયણ, એહ ક્ષત્રિ પ્રભુ પરાયણ ।।૧૯।।
ભક્ત મુળજી જાતિ લુવાણો, સદા સખા એ શ્યામના જાણો । એહ આદિ સાંખ્યયોગી કહીએ, છે અપાર પાર કેમ લહીએ ।।૨૦।।
ઉકો હરજી રામજી દોય, કૃષિકર કરમશી સોય । જોધો જેઠો મેઘો હરિનાથ, ભગો અર્જણ બિજલો સાથ ।।૨૧।।
રાઠોડાદિ પ્રભુજીના દાસ, લાલો બાદર બે પ્રભુ પાસ । મિયાં કરિમ રયો હસન, રાજા ભૂલા નાથાદિ યવન ।।૨૨।।
એહ રહે છે પ્રભુજી પાસ, સર્વે તોડી જગતની આશ । એહ સાંખ્યયોગી સહુ જન, ભાવે કરે હરિનું ભજન ।।૨૩।।
કહું પ્રભુતણા પારષદ, જેને કામ ક્રોધ નહિ મદ । મોટા મુક્ત છે મુળજી નામ, વરણિરાટ જન જેરામ ।।૨૪।।
એહ આદિક બીજા જે ઘણા, સદા પારષદ પ્રભુતણા । દીનાનાથ પ્રાગજી પુરાણી, જેની સુધાસમાન છે વાણી ।।૨૫।।
રહે હરિપાસે હમેશ, જેના મનમાં મોહ ન લેશ । એવા બહુ રહે હરિપાસ, થઇ ચરણકમળના દાસ ।।૨૬।।
હવે સાંખ્યયોગી બાઇઓ જેહ, જેને પ્રભુ સાથે છે સનેહ । અતિ ત્યાગી ને વળી અકામ, કહું તેનાં સાંભળજ્યો નામ ।।૨૭।।
મુખ્ય રાજબાઇની એ રીતિ, પ્રભુ વિના નહિ કિયાં પ્રીતિ । જીવુબાઇ જીવનાં ઉદાર, રાખ્યા પ્રભુ ન રાખ્યો સંસાર ।।૨૮।।
લાડુબાઇ પ્રભુજીને પ્યારાં, સુબુધ્ધિ સુલક્ષણે સારાં । મીણબાઇ જેવા મુનિરાજ, જેણે રાજી કર્યા મહારાજ ।।૨૯।।
અમરબાઇ દ્વિજ મર્મવાન, હરિસેવામાં જે સાવધાન । રામબાઇ બેઉ હરિભક્ત, ભજ્યા હરિ તજ્યું જેણે જક્ત ।।૩૦।।
અતિ વિરક્ત અમૃતબાઇ, જેણે ત્રોડિ સંસાર સગાઇ । ઝાઝો ઝમકુબાઇને વૈરાગ, કર્યું પ્રભુસારૂં સુખ ત્યાગ ।।૩૧।।
રતિબા ફુલિબા રૂડાં જન, કર્યું કુળ પોતાનું પાવન । રાજુબાઇ કાજુ હરિદાસ, જેને ન લાગ્યો નાસ્તિક પાસ ।।૩૨।।
અમરબાઇ ને અમુલાંબાઇ, અદિબાને પ્રીત્ય પ્રભુમાંઇ । તન મનનાં સુખને ત્યાગી, પ્રભુચરણે પ્રીત્ય જેની લાગી ।।૩૩।।
એહ આદિ સાંખ્યયોગી જેહ, કહ્યાં એક ગઢડાનાં તેહ । સોમદેબાઇ ને સુરબાઇ, થઇ સોમાબાઇની ભલાઇ ।।૩૪।।
હવે કહું બીજાં હરિજન, જેનાં પ્રભુ પરાયણ મન । કહેવામાત્ર કર્મયોગી નામ, અતિ અંતરમાંહિ અકામ ।।૩૫।।
કહું નામ તેનાં નિરધાર, જેને પ્રભુજી સાથે છે પ્યાર । અતિ પ્રીત્ય જેને પ્રભુમાંઇ, તેહ વિના બીજું દુઃખદાઇ ।।૩૬।।
ખરાં ખીમબાઇ પાંચુબાઇ, જેની કહી ન જાય મોટાઇ । નાનબાઇ ને કુંવરબાઇ, જસુબાઇની થઇ ભલાઇ ।।૩૭।।
સાંખ્યયોગીનાં સેવક જન, તેનાં પણ ભાગ્ય ધન્ય ધન્ય । બેની કલુ હિરૂ ને રતન, પ્રેમાં કરે પ્રભુનું ભજન ।।૩૮।।
ડોસી ગંગામા ને બાઇ દેવ, વિરૂ વળી કરે હરિસેવ । રામબાઇ નાથી કંકુ કૈયે, હરિસેવા વહાલી જેને હૈયે ।।૩૯।।
માનું મઘુ અવલ ઇત્યાદિ, હરિજન જીવી વાલી આદિ । એહ સાંખ્યયોગીનાં સેવક, જાણે સર્વે વિધિએ વિવેક ।।૪૦।।
મન કર્મે કરે સેવકાઇ, એવો નિરધાર અંતરમાંઇ । વળી જાણે છે રાજી મહારાજ, એવું જાણીને કરે છે કાજ ।।૪૧।।
બીજાં ગઢડામાંહિ છે ઘણાં, નિજસેવક મહારાજતણાં । પ્રાણજીવન પ્રભુને જાણી, ભજે ભાવ ભિંતરમાં આણી ।।૪૨।।
પુરપતિ છે અતિ અવલ, કાઠી અનૂપ નામ એભલ । તેના પુણ્ય તણો નહિ પાર, જેનો અતિ પવિત્ર પરિવાર ।।૪૩।।
તેનો સુત તે ઉત્તમ નામ, સર્વે શુભગુણનું છે ધામ । કહીએ મોટયપ શું એની અતિ, કેદિ ન ચળે ધર્મથી મતિ ।।૪૪।।
સોંપી સર્વે હરિને સુજાણ, વર્તે પ્રભુની મરજી પ્રમાણ । જેને ઘેર નિત્ય મુનિજન, લિયે પ્રસાદ કરે ભજન ।।૪૫।।
જીવોખાચર આદિક જાણો, તેપણ ભક્ત પ્રભુના પ્રમાણો । વળી ઉત્તમ સુત જે બાવો, સ્પર્શિ પ્રભુ લીધો જેણે લાવો ।।૪૬।।
ધન્ય ભક્ત તે ધાંધલ ઘેલો, અતિનિર્મળ નહિ મન મેલો । માલો માણશિયો નાગદાન, જેને વહાલા છે શ્રીભગવાન ।।૪૭।।
ભક્ત ઉકો અતિનિર્માન, સંત ટેલમાંહિ સાવધાન । એહાદિ કાઠી ભક્ત અપાર, ભજી હરિ થયા ભવપાર ।।૪૮।।
ભટ્ટ ગોપી પ્રભુજીને પ્યારા, તેના સુત તે ત્રણ છે સારા । રઘુનાથ ને લાલજી નામ, ત્રીજો સુત વારૂ જીવરામ ।।૪૯।।
દ્વિજ મકન કુરજી નામ, ભગો બેચર ને લખીરામ । રામચંદ્ર ને રતનેશ્વર, હરજીવન ડોસો જાગેશ્વર ।।૫૦।।
નાગરાદિ છે વિપ્ર અનેક, ભજે હરિ તજે નહિ ટેક । જુઠા લખા જુગલ વણિક, દો અમરશી ને ડાયો એક ।।૫૧।।
માલજી હીરો કૃષ્ણજી દોય, કાનજી ને રૂગનાથ સોય । કમળશી સુરચંદ્ર દોય, હરિભક્ત વણિક એ સોય ।।૫૨।।
શવો ખીમો ને કૃષ્ણ પ્રેમજી, વાલો વસતો મેઘો મુળજી । એહ આદિ છે ભક્ત સુતાર, જેઠા ભગાદિ કહીએ સોનાર ।।૫૩।।
જગા ગાંગા આદિ જે આહીર, સુણો ક્ષત્રિભકત શૂરવીર । સબલોજી જેસોજી પૂંજોજી, બેચર ને ગોવિંદ કાનજી ।।૫૪।।
એહાદિ ક્ષત્રિ ભક્ત અપાર, બીજા પણ અતિશે ઉદાર । ખીમો કુંભાર રૂગનાથ સઇ, દેવા આદિ દલવાડી કઇ ।।૫૫।।
નાથો હકો મુળજી રામજી, આંબો ખોડો ભાવસાર હરજી । રાજો જગો ને કેશવ કહીએ, રૂડા ભક્ત રાજગર લહીએ ।।૫૬।।
નકિ ભક્ત નાગાજણ રાણો, લખમણાદિ રાવલ જાણો । લાધો પ્રેમજી મેઘો કુરજી, હરજી ગાંગજી તેજો મનજી ।।૫૭।।
કલ્યાણ જીવો ડોશી જાનબાઇ, રાજુબાઇ ખરાં ખોજામાંઇ । કણબી કેશવ જેઠો સુંદર, ભાટ રાવજી ડોસો સાગર ।।૫૮।।
વાઘો માવજી રામો લુહાર, દેવો પુંજા દો ભીમો કુંભાર । કોળી માલો વાણંદ ગોવિંદ, દેવજી સાંગો કાળો સ્વછંદ ।।૫૯।।
એહાદિ જન ગઢડાવાસી, પ્રકટ પ્રભુજીના ઉપાસી । બીજા બહુ જન પ્રભુ પાસ, જેનો દેશ પ્રદેશમાં વાસ ।।૬૦।।
કહું તેનાં હવે ગામ નામ, જેણે પ્રભુ ભજ્યા તજી કામ । સાંખ્યયોગી કર્મયોગી જેહ, કહું સર્વે સાંભળજ્યો તેહ ।।૬૧।।
છે તો અપાર ને અગણિત, કહું તેમાં થકી હું કિંચિત । સમુદ્રમાં સકુન સુજાણ, પીવે પાથ તે ચાંચ પ્રમાણ ।।૬૨।।
પૂર્વછાયો-
આગળ બહુ અવતારના, જન કહ્યા કવિએ વિચાર । પણ આજ જે ઓધરશે, તેનો નહિ થાય નિરધાર ।।૬૩।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગઢડાનાં સાંખ્યયોગી હરિજન તથા સાંખ્યયોગી બાઇયો તથા મહારાજના પારષદનાં નામ કહ્યાં એ નામે એકસો ને બારમું પ્રકરણમ્ ।।૧૧૨।।