દશમું પ્રકરણ

ચોપાઇ-
સુંદર શોભે છે સરવાર દેશરે, જ્યાં ધર્મે કર્યો પ્રવેશરે । ધન્ય ધન્ય ધરા એ પાવન રે, ધન્ય દેવહા નદી તટે વન રે ।।૧।।
અંબ કદંબ અશોક કેરીરે, જાંબુ લીંબુ વળી જામફળીરે । કરમુક કુટટિમ કણેરી રે, બહુ બદરી ને નાળીયેરીરે ।।૨।।
તિયાં સારસ હંસ શુક મોરરે, કરે કોયલ કોકિલા ઝિંગોરરે । ઘણે વૃક્ષે વિટાણાં જ્યાં ગામરે, જાણું બીજું આ ધર્મનું ધામરે ।।૩।।
તિયાં શોભે શહેર રૈકહટરે, તેમાં વર્તે આનંદ અમટરે । ખાન પાને પટે સુખી લોકરે, ભય વિગ્રહ ને નહિ શોકરે ।।૪।।
તિયાં વસે છે વર્ણ ચારરે, તેણે શોભે છે શહેર અપારરે । દ્વિજ ક્ષત્રિય વૈશ્ય વળી શુદ્રરે, તર્યા ધર્મથી શોકસમુદ્ર રે ।।૫।।
વસે વિપ્ર તિયાં સરવરિયારે, અતિ ભાવ ભક્તિના ભરિયા રે । દયાવાળા દિલના ઉદારરે, પાપ રહિત પુણ્ય ભંડારરે ।।૬।।
ઉચ્ચે કુળે આચાર છે અતિરે, સદા સ્વધર્મ માંહિ છે મતિરે । ગોત્ર સાવર્ણિ ને સામવેદ રે, શાખા કૌથમી સાંભળો ભેદરે ।।૭।।
ત્રણ પ્રવર તેનાં સુજસ રે, ભાર્ગવ વૈતહવ્ય સાવેતસરે । પાંડે ઇટાર ગામના કહીએરે, પૂજ્ય શિરનેત્ર રાજાના લહીએ રે ।।૮।।
અતિ કૃપાળુ કનહિરામરે, તેના સુત બાલશર્મા નામરે । વેદ શાસ્ત્રને પઢયા પુરાણરે, શુદ્ધ આત્માવાળા તે સુજાણરે ।।૯।।
સત્યવાદી અતિ ઇંદ્રિય જીતરે, ધીર ગંભીર ધર્મમાં પ્રીત રે । શીલ સંતોષ દલ ઉદારરે, શુભ શાંતિ ગુણના ભંડાર રે ।।૧૦।।
એવા બાળશર્મા મહામતિરે, જેને ઘેર છે ભાગ્યવતી સતીરે । ગુણવાન પતિવ્રતા ધારી રે, પુણ્ય પવિત્ર નિર્મળ નારીરે ।।૧૧।।
એવાં નરનારી ગુણ ભંડારરે, તિયાં ધર્યો ધર્મે અવતારરે । સંવત્ સત્તર વર્ષ છનું રે, પ્રમોદ નામ સંવત્સરનું રે ।।૧૨।।
દક્ષિણાયનમાં રવિ રમેરે, વર્તે શરદઋતુ તે સમેરે । માસ કાર્તિકશુદિ સારરે, એકાદશી સુંદર બુધવારરે ।।૧૩।।
નક્ષત્ર ઉત્તરા વ્રજ યોગ રે, વિષ્ટિ કરણ હરણ રોગરે । કુંભ લગ્ન માંહિ ભાગ્યવતી રે, જન્મ્યા ધર્મદેવ મહા મતિ રે ।।૧૪।।
ધર્મ જન્મ જાણી ત્રણ લોક રે, થયા વિબુધ સાધુ અશોક રે । આવ્યા સુર તેત્રીશ ક્રોડિ રે, તેતો કરે સ્તવન કર જોડી રે ।।૧૫।।
આવ્યા બ્રહ્મા ને તિયાં બ્રહ્માણીરે, આવ્યા શિવને ગિરિજા રાણીરે । ગાય શારદા શેષ ત્યાં ગાનરે, તાંડવ નૃત્યે ત્રોડે શિવ તાન રે ।।૧૬।।
ગાય ગાંધર્વ ને અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે । આવ્યાં વૈકુંઠ થકી વિમાન રે, નયણે નિરખવા ધર્મ નિદાનરે ।।૧૭।।
કરે સુર તે વૃષ્ટિ સુમને રે, બહુ વાજીંત્ર વાજે ગગને રે । વાજે ઢોલ ને દુંદુભિ ગડે રે, તેની ખબર મુક્તને પડે રે ।।૧૮।।
થાય નભે ઉત્સવ અપારરે, થયો જાણી ધર્મ અવતાર રે । જેમ ગેકિ રહ્યો છે ગગન રે, તેમ ભૂમિએ ભક્ત મગન રે ।।૧૯।।
નરનારી પામ્યાં છે આનંદરે, ધર્મ પ્રકટયા પૂરણ ચંદ રે । ઘેરઘેરથી માનિની મળી રે, ગાયે વધાઇ મંગળ વળીરે ।।૨૦।।
કરે ઉત્સવ નર ને નારરે, બાંધ્યાં તરિયાં તોરણ બારરે । ભરી ગજ મોતિડાંના થાળ રે, ચાલી નારી વધાવા દયાળ ।।૨૧।।
વધાવે છે વનિતાનાં વૃંદરે, મુખ જોઇને પામ્યાં આનંદ રે । પછી ભામિની ગઇ ભવન રે, તેડયા વિપ્ર વિદ્યાએ સંપન્ન રે ।।૨૨।।
જોયાં વાર ઘડી ને લગન રે, જોઇ વિપ્ર મનમાં થયા મગન રે । કહે એવી પળે બાળ આવ્યો રે, જાણું ત્રિભુવનને સુખ લાવ્યો રે ।।૨૩।।
આવી પળે પ્રકટ જે થાય રે, તે તો ધર્મ મૂર્તિ કહેવાય રે । માટે આ વાત તમે છપાડો રે, એનું નામ દેવશર્મા પાડો રે ।।૨૪।।
તન શોભિત સુંદર અતિરે, માટે દેવશર્મા મહામતિ રે । પછી હરખ્યા બાળશર્મા મન રે, આપ્યાં દાન થઇને પ્રસન્ન રે ।।૨૫।।
બ્રાહ્મણ ભિક્ષુક ને ભરિ ભાંગ્યાં રે, દીધાં દાન બહુ મુખ માગ્યાંરે । થઇ રાજી અતિ વિપ્ર જન રે, ગયા પોતપોતાને ભવન રે ।।૨૬।।
પછી મા બાપે વિચાર્યું મન રે, આની કરવી ઝાઝી જતન રે । અતિ હેત રાખી ઉરમાંઇ રે, અર્ધ ઘડી મેલે નહિ ક્યાંઇરે ।।૨૭।।
હૈયે હેત સમેત હુલાવે રે, પ્રેમે પારણિયામાં ઝુલાવે રે । કરે કામ ધામનું જો કાંઇ રે, પણ વૃત્તિ રહે બાળક માંઇ રે ।।૨૮।।
રુડે હર્ષે સુતને રમાડે રે, પય સાકર પાન જમાડે રે । એમ કરતાં મોટા જ્યારે હવારે, ત્યારે માંડયું છે મુખે બોલવારે ।।૨૯।।
કાંઇ બોલે છે કાલું જો કાલું રે, તેતો લાગે માતાજીને વહાલું રે । બાળચંદ્ર પેર્યે અહોનિશ રે, વાધે દેવશર્મા તે હમેશ રે ।।૩૦।।
ધર્યો ધર્મે જે દિનો જનમ રે, મટી સાધુને વેળા વિષમ રે । તર્ત પાપીને પીડા ઉપની રે, આવ્યું અચાનક એવું બની રે ।।૩૧।।
પુર ગ્રામ ઘોષ પૃથ્વી પર રે, તિયાં ઉપજ્યો આનંદ ભર રે । થયા યજ્ઞા અગ્નિ નિર્ધુમ રે, સુખમાં વાયુ નિર્મળ વ્યોમ રે ।।૩૨।।
થયાં સતપુરૂષનાં ચિત્ત રે, અતિ નિર્મળ પરમ પુનિત રે । નદી કૂપ વાવ્યનાં જે જળ રે, થયાં તાલ સરવે અમળ રે ।।૩૩।।
સિદ્ધ ઋષિ સહુ સુખ પામ્યા રે, અંતરેથી અધર્મને વામ્યા રે । થઇ રાજી ને આપે આશિષ રે, ધર્મ જીવજ્યો કોટિ વર્ષ રે ।।૩૪।।
એમ સુખ પામ્યા સત્ય ધર્મી રે, પામ્યા પીડા જે હતા કુકર્મી રે । પાપી પાખંડીનું પડી ભાંગ્યું રે, મન સહુનું ધર્મમાં લાગ્યું રે ।।૩૫।।
ધર્મ પોતે અતિ મહાધીર રે, સુખદુઃખે રહે મન સ્થિર રે । ભૂખ દુઃખ વળી શીત ઉશ્ન રે, હોય તનમાં ન માને મન રે ।।૩૬।।
એવું જોઇ બાળશર્મા બાપરે, જાણ્યા મોટા યોગી છે આ આપરે । વર્ષ આઠ જનમથી થિયાં રે, આપી તાતે ઉપવીત તિયાં રે ।।૩૭।।
આપી જનકે જનોઇ જ્યારે રે, કર્યો મોટો ઉત્સવ તે વારે રે । પછી ધર્મે બટુનો જે વેષ રે, ધારી વધારીયા પંચ કેશ રે ।।૩૮।।
ભણ્યા વેદ શાસ્ત્ર ને પુરાણ રે, થયા પંડિત પોત્યે સુજાણ રે । હુવા બાર વર્ષના આપે રે, ત્યારે પ્રીત્યે શું પુછીયું બાપે રે ।।૩૯।।
પુત્ર પરણો એક મેરારૂ રે, માનો વચન એટલું મારૂં રે । જેવા પુત્ર તમે ગુણવાન રે, જોઇયે સુંદરી તમ સમાન રે ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મ જન્મ એનામે દશમું પ્રકરણમ્ ।।૧૦।।